- Gujarat
- બોટાદમાં સ્થિતિ ખરાબ, ખેડૂત-પોલીસ આમને-સામને, જાણો આખી ઘટના વિશે
બોટાદમાં સ્થિતિ ખરાબ, ખેડૂત-પોલીસ આમને-સામને, જાણો આખી ઘટના વિશે
સૌરાષ્ટ્રના બોટાદમાં રવિવારનો દિવસ એકદમ ભારે રહ્યો, APMCમાં કપાસના કડદાને લઇને છેલ્લાં 3 દિવસથી ચાલી રહેલો વિવાદ વકર્યો હતો. પોલીસનો મોટો કાફલો બોટાદમાં સવારથી ખડકી દેવામાં આવ્યો હતો. મોડી સાંજે બોટાદના હડદડ ગામમાં ખેડુતો મહા પંચાયત કરી અને વાત વણસી ગઇ. પોલીસનું કહેવું હતું કે, મહા પંચાયતને કોઇ પરવાનગી આપવામાં નહોતી આવી અને ભવિષ્યમાં પણ નહીં આપવામાં આવે છતા ખેડુતોએ મહા પંચાયત કરી. પોલીસે જ્યારે ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો તો લોકોએ પોલીસ પર પત્થરમારો કર્યો હતો અને પોલીસ વાહનોને નુકશાન પહોંચાડ્યું હતું. 3 પોલીસ કર્મીઓને ઇજા થઇ છે. બોટાદના sp ધર્મેન્દ્ર શર્માએ મીડિયાની સાથે વાત કરતા કહ્યુ હતું કે, ટોળાએ પત્થરમારો કરતા અમારે ટીયરગેસના સેલ છોડવા પડ્યા હતા અને કોમ્બિંગ શરૂ કરવામાં આવ્યું છે. અત્યારે હડદડમાં શાંતિ છે.
બીજી તરફ આમ આદમી પાર્ટીનો આરોપ છે કે, પોલીસે ભાજપના ઇશારે ખેડુતો સાથે દંડાવાળી કરી છે. ગોપાલ ઇટાલિયાએ વીડિયોમાં કહ્યું છે કે, ખેડુતોને બર્બરતાથી માર મારવમાં આવ્યો.
બોટાદ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માએ કહ્યું કે હડદડ ગામમાં ગેરકાયદેસર મહાપંચાયતનું એલાન કરવામાં આવ્યું હતું અનેલોકો અહીંયા ભેગા થયા હતા. પોલીસ એમને ડિટેન કરવા માટે અને ગેરકાયદેસર મંડળી બનાવી હતી એને વિખેરવા માટે આવી હતી. ત્યારે લોકોએ પોલીસ ઉપર પથ્થરમારો ચાલુ કરી દીધો અને પોલીસનીગાડીમાં પણ નુકસાન કરી તોડફોડ કરી. પોલીસે લોકોને વોર્નિંગ આપી કે તમે અહીંયાથી નીકળો અને આવું ન કરો. પોલીસ ઉપર પથ્થરમારો કર્યો તો પોલીસે એમના ટીયર ગેસ સેલનો પ્રયોગ કરીને એ ટોળાને વિખેર્યા અને પછી હાલ પરિસ્થિતિ કાબુમાં છે. લગભગ ત્રણ પોલીસકર્મીઓને ઈજા થઈ છે અને એમને ગંભીર માથામાં ઈજા થઈ છે. તો એમાં ગુનો દાખલ કરવામાં આવશે. એ જે લોકોએ પોલીસ ઉપર જે આવી રીતે હમલો કરવામાં આવ્યો છે અને જેનાથી મોત નીપજી શકે એવા પથ્થરોની તૈયારી કરીને કરવામાં આવ્યું છે, તો એમાં આપણે ગુનો દાખલ કરીશું અને બધા આરોપીઓને પકડીશું.
આ ઘટના પહેલા જ બોટાદ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માએ સ્પષ્ટતા કરી હતી કે કિસાન પંચાયત દ્વારા જાહેર કરાયેલા એલાનને કોઈ મંજૂરી આપવામાં આવી નથી અને ભવિષ્યમાં પણ આપવામાં આવશે નહીં.
પોલીસ વડાએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણયની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, "કોઈપણ વ્યક્તિનું અહીં આવવું કે ભેગા થવું ગેરકાયદેસર ગણાશે. જો કોઈ વ્યક્તિ અહીં એકઠા થશે, તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે."

