- Gujarat
- વડોદરાના પ્લોટને લઈને યુસુફ પઠાણને ગુજરાત હાઈકોર્ટે ખખડાવીને કહ્યું- ‘લાંબા સમય સુધી પૈસા આપ્યા વિના...
વડોદરાના પ્લોટને લઈને યુસુફ પઠાણને ગુજરાત હાઈકોર્ટે ખખડાવીને કહ્યું- ‘લાંબા સમય સુધી પૈસા આપ્યા વિના જમીન પર કબજો...’
ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટર અને TMCના સાંસદ યૂસુફ પઠાણ માટે મુશ્કેલી વધી ગઈ છે. ગુજરાત હાઈકોર્ટે વડોદરામાં અતિક્રમણના કેસ અંગે તેમને ઠપકો આપ્યો છે. કોર્ટે પ્રશ્ન કર્યો હતો કે જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા વિના પઠાણ જમીનના પ્લોટમાં કેવી રીતે પ્રવેશ કરી શકે છે. કોર્ટે કહ્યું હતું કે જમીન ફાળવણી માટે કોઈ સ્થાપિત પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું નથી; પરંતુ, ફક્ત એક દરખાસ્ત હતી, જેને સરકારે નકારી કાઢી હતી.
મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલ અને ન્યાયાધીશ ડી.એન. રેની ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા વિના સરકારી જમીન પર કબજો કરનારા કોઈપણ વ્યક્તિ પ્રત્યે કોઈ ઉદારતા દાખવી શકાય નહીં. કોર્ટે પઠાણના વકીલને પૂછ્યું કે જમીન ખાલી કરવા માટે કેટલો સમય લાગશે. સુનાવણી દરમિયાન, કોર્ટે આ મામલે દંડ ફટકારવાના પણ સંકેત આપ્યા હતા. આગામી સુનાવણી 15 જૂનના રોજ નક્કી કરવામાં આવી છે.
પઠાણે હાઈકોર્ટના સિંગલ જજ દ્વારા ઓગસ્ટ 2025માં જાહેર કરાયેલા આદેશને એ આદેશને પડકાર્યો હતો, જેમાં તેમને અતિક્રમણ કરનાર જાહેર કર્યા હતા. જજે સરકારી જમીન પરનો કબજો ગેરકાયદેસર ગણાવ્યો હતો. કોર્ટે કહ્યું કે લાંબા સમય સુધી પૈસા આપ્યા વિના જમીન પર કબજો કરવાથી કોઈ વ્યક્તિ તેનો માલિક બની જતો નથી. સેલિબ્રિટી હોવાનો ખોટો ફાયદો ન ઉઠાવવો જોઈએ; સેલિબ્રિટીઓ સમાજ માટે રોલ મોડેલ હોય છે, અને લોકો તેમનું આચરણ જુએ છે. એટલે, ફક્ત પ્રખ્યાત હોવાને કારણે તેમને કાયદા હેઠળ કોઈ છૂટ આપી શકાતી નથી, કારણ કે આમ કરવાથી સમાજમાં ખોટો સંદેશ જશે.
આ અગાઉ, પઠાણે 6 જૂન, 2024ના રોજ રાજ્ય સરકારના આદેશને સિંગલ જજ સમક્ષ પડકાર્યો હતો. જેમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા પઠાણને 978 ચોરસ મીટર જમીન જાહેર હરાજી વિના 99 વર્ષ માટે ભાડે આપવામાં આવી રહી હતી. સરકારે આદેશ જાહેર કરીને આ જમીન ફાળવણી રદ કરી દીધી હતી અને કોર્પોરેશનને સ્થળ પરના કોઈપણ ગેરકાયદેસર અતિક્રમણને તાત્કાલિક દૂર કરવાનો નિર્દેશ આપ્યો હતો.
સરકારના આ નિર્ણયની વિરુદ્ધ પઠાણે શરૂઆતમાં હાઇકોર્ટના સિંગલ જજ પાસે પહોંચ્યા હતા. પઠાણે 2012માં, વડોદરા મહાનગરપાલિકા પાસેથી સરકારી જમીનનો એક ટુકડો તેમના નામે કરવાની વિનંતી કરી હતી. વડોદરા મહાનગરપાલિકા હરાજી કર્યા વિના પઠાણને બજાર ભાવે જમીન ફાળવવાનું વિચારી રહી હતી.

