- Gujarat
- RBIની કરન્સી ચેસ્ટમાંથી 8.70 કરોડ રૂપિયા સગેવગે કરનાર જોઈન્ટ કસ્ટોડીયન ઝડપાયો
RBIની કરન્સી ચેસ્ટમાંથી 8.70 કરોડ રૂપિયા સગેવગે કરનાર જોઈન્ટ કસ્ટોડીયન ઝડપાયો
અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડામાં RBIની કરન્સી ચેસ્ટમાંથી 8.70 કરોડ રૂપિયા સગેવગે કરનારા જોઈન્ટ કસ્ટોડીયનને પોલીસે દબોચી લીધો છે. કરોડો રૂપિયાની ચોરી કર્યા બાદ આરોપીએ અમદાવાદમાં 2 કરોડનો બંગલો અને 1.40 કરોડની દુકાન ખરીદી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપી પાસેથી 2.20 કરોડની રોકડ કબજે કરી છે. આરોપીની પત્ની રેલવે પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે.
દિવ્યભાસ્કના અહેવાલ મુજબ, અમદાવાદના કાલુપુર ગાંધીરોડ બ્રાંચના ચીફ મેનેજર હરીહર દેવ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ અનુસાર બેંકમાં RBI દ્વારા મોટી તિજોરી રાખવામાં આવી છે, જ્યાંથી અન્ય બેંકોને જરૂરિયાત મુજબ નાણાં મોકલાય છે. આ કરોડોની રોકડના હિસાબ માટે મુખ્ય કસ્ટોડિયન તરીકે સંજય શર્મા અને જોઈન્ટ કસ્ટોડિયન તરીકે હરસિદ્ધ કડિયાર (રહે. ચાંદખેડા, અમદાવાદ) કાર્યરત હતા. બેંકમાં ઓડિટ કરવાનો સમય આવ્યો અને નવા કસ્ટોડિયનોએ તપાસ કરી ત્યારે રૂપિયા 500ના દરની કુલ 174 બંડલો ઓછી હોવાનું જાણવા મળ્યું હતું. જેની કુલ કિંમત 8.70 કરોડ રૂપિયા થતી હતી.
બેંક અધિકારીઓએ તાત્કાલિક CCTV ફૂટેજ તપાસ કરતા જાણવા મળ્યું પડ્યું કે, 13 જાન્યુઆરી 2026ના રોજ આરોપી હરસિદ્ધ કડિયાર બેંકમાંથી કેટલાક બોક્સ લઈને બહાર જઈ રહ્યો હતો. તે સમયે તેણે અન્ય સ્ટાફને એવું બહાનું બતાવ્યું હતું કે, આ બોક્સમાં ભંગાર ભરેલો છે અને તે ભંગાર બહાર ફેંકવા જઈ રહ્યો છે. 13 એપ્રિલ 2026ના રોજ તેણે ચીફ મેનેજરને તબિયત ખરાબ હોવાનો મેસેજ કરીને એક દિવસની રજા લીધી. ત્યારબાદ વધુ 5 દિવસની મેડિકલ લીવ લીધી અને ત્યારબાદ 20 એપ્રિલથી ગાયબ થઈ ગયો હતો.
ફરિયાદ થતા પોલીસે તપાસ શરૂ કરી હતી ત્યારે ઝોન 3 LCB સ્કોડના PSI વી.એચ રાઠોડની ટીમે આરોપીને સોલા વિસ્તારમાંથી ઝડપી લીધો હતો.આરોપી સોલામાં ઔડાના મકાનમાં રોકાયો હતો. ઔડાના મકાનની નીચે પાર્ક કરેલી આર્ટિકા કારમાંથી પોલીસને 2.20 કરોડ રોકડ પણ મળી આવી હતી જે આરોપીએ ચોરી કરી હતી. આરોપીની ધરપકડ કરીને 2.20 કરોડ,આર્ટિકા કાર અને મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યા હતા.
આરોપીની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપીએ જાન્યુઆરી મહિનામાં જ ચોરી કરી હતી. આરોપી ભંગારના ખોખાની આડમાં ચોરી કરી રોકડ પોતાના ઘરે લઈ ગયો હતો. ત્યારબાદ 90 દિવસમાં CCTV ફૂટેજ ડીલિટ થઈ જશે તેવું માનીને 90 દિવસ સુધી નોકરી પણ કરી હતી. ચોરીના 90 દિવસ બાદ બહાના બનાવી નોકરી આવવાનું બંધ કરી દીધું હતું.
આરોપીએ ચોરી કરેલી રકમમાંથી ચાંદખેડામાં 2 કરોડની વધુ રકમનો બંગલો, તેમજ 1.40 કરોડની દુકાન અને એક છોટા હાથી ખરીદ્યું હતું. આ ઉપરાંત કેટલીક રકમથી ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કર્યું હતું. આરોપીએ તેની સાથે કામ કરતા વૈશાલીબેનને મકાન લેવા 23 લાખ આપ્યા હતા અને બાદમાં બીજા 5 લાખ એમ કુલ 28 લાખ રૂપિયા આપ્યા હતા.

આરોપીના પત્ની રેલવે પોલીસમાં હેડ કોન્સ્ટેબલ છે. ફરિયાદ થયા બાદ આરોપી પરિવાર સાથે મનાલી ફરવા ગયો હતો. જોકે આરોપીને મનાલીમાં જાણ થઈ ગઈ હતી કે, ફરિયાદ થઈ છે અને પોલીસ શોધે છે જેથી બહાનું કાઢીને ત્યાંથી પણ ફરાર થઇ ગયો હતો. આરોપી સાથે અન્ય બે ઇસમો પણ સંડોવાયેલા છે જે કેશ ટ્રાન્સફર કરવાનું કામ કરે છે જેમાંથી એક સુલતાન અને બીજો ઝુલ્ફીકાર હતા. બંનેની પોલીસે અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે.
આરોપી છેલ્લા 15 વર્ષથી બેન્ક ઓફ બરોડામાં નોકરી કરતો હતો. વર્ષો નોકરી કર્યા બાદ આરામથી જિંદગી જીવવા આરોપીએ ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. આરોપી સાથે તેની પત્ની સંડોવાયેલી હતી કે કેમ તેની તપાસ ચાલી રહી છે. આરોપી સાથે અન્ય ઇસમો પણ સંડોવાયેલા હોવાની શંકા છે જેની પોલીસ તપાસ કરી રહી છે.
SP હિરેન્દ્ર ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘આરોપીએ ચોરીના પૈસાથી દુકાન, બંગલો અને છોટા હાથીની ખરીદી કરી છે. તેના કબજામાંથી 2.20 કરોડ રોકડા મળ્યા છે. ચોરીના પૈસાથી જે મિલકત ખરીદવામાં આવી છે તે ટાંચમાં લેવા માટે કાર્યવાહી કરાશે.

