- Maharashtra Assembly Election
- અખિલેશની MVAને ચેતવણી, 'રાજનીતિમાં બલિદાનને સ્થાન નથી, જો સીટ નહીં મળે તો...'
અખિલેશની MVAને ચેતવણી, 'રાજનીતિમાં બલિદાનને સ્થાન નથી, જો સીટ નહીં મળે તો...'

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે 20 નવેમ્બરે મતદાન કરવામાં આવશે અને મતગણતરી 23 નવેમ્બરે થશે. આ દરમિયાન સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે એક મોટું નિવેદન આપ્યું છે. અખિલેશ યાદવ INDIA ગઠબંધન હેઠળ મહારાષ્ટ્રમાં SP માટે કેટલીક બેઠકો ઈચ્છે છે. જો કે હજુ સુધી આ અંગે મહાવિકાસ અઘાડી (MVA) તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. આ દરમિયાન સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું છે કે, જો અમને INDIA ગઠબંધનમાં નહીં રાખવામાં આવે તો અમે જ્યાં મજબૂત છીએ, ત્યાં ચૂંટણી લડીશું.
SP અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું, 'સમાજવાદી પાર્ટીના રાજ્ય (મહારાષ્ટ્ર) અધ્યક્ષ નિર્ણય લેશે. પહેલા અમે INDIA ગઠબંધનમાં રહેવાનો પ્રયાસ કરીશું. પરંતુ જો તેઓ (મહાવિકાસ આઘાડી) અમને INDIA ગઠબંધનમાં નહીં રાખે તો અમે તે બેઠકો પર ચૂંટણી લડીશું, જ્યાં અમને મત મળશે અથવા જ્યાં અમારું સંગઠન કામ કરી રહ્યું છે. અમે તે બેઠકો પર ચૂંટણી લડીશું, જેનાથી INDIA ગઠબંધનને નુકસાન નહીં થાય. રાજકારણમાં બલિદાન માટે કોઈ સ્થાન નથી.'
અહીં તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી (MVA)માં મુખ્યત્વે કોંગ્રેસ, શિવસેના (UBT) અને NCP (શરદ પવાર)નો સમાવેશ થાય છે. ત્રણેય પક્ષો 85-85 બેઠકો પર ચૂંટણી લડવા સંમત થયા છે. 33 બેઠકો પર હજુ નિર્ણય લેવાયો નથી.
જો કે કોંગ્રેસે 87 સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. સમાજવાદી પાર્ટી મહારાષ્ટ્રમાં 12 સીટોની માંગ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જો SPને પાંચ બેઠકો પણ મળે છે તો તે મહાગઠબંધનમાં સામેલ થવા તૈયાર છે. મહારાષ્ટ્ર SP પ્રમુખ અબુ આઝમીએ સ્પષ્ટ કહ્યું છે કે, અમે ચૂંટણી લડીશું.
અહીં તમને જણાવી દઈએ કે, SP દ્વારા દાવો કરવામાં આવેલી પાંચ સીટોમાંથી મહાવિકાસ અઘાડી (MVA)એ ત્રણ પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. સમાજવાદી પાર્ટીએ ધુલે સિટી, ભિવંડી પૂર્વ, માનખુર્દ, ભિવંડી પશ્ચિમ અને માલેગાંવ સેન્ટ્રલ બેઠકો માંગી હતી. શનિવારે શિવસેના UBTએ ધુલે સિટીથી અનિલ કોટેને તેના ઉમેદવાર બનાવ્યા, જ્યારે કોંગ્રેસે માલેગાંવ સેન્ટ્રલથી એજાઝ બેગ અને ભિવંડી પશ્ચિમથી દયાનંદ મોતીરામને ઉમેદવાર જાહેર કર્યા.