તાજીયાના જૂલુસ અને ગણપતિ મૂર્તિ વિસર્જન અંગે પ્રદિપસિંહે જુઓ શું જાહેરાત કરી

PC: dmcdn.net

ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, રાજ્યમાં પ્રવર્તી રહેલ કોરોનાની મહામારીને ધ્યાને રાખી વિવિધ પદયાત્રા- સંઘો, સેવા કેમ્પના આયોજકો તેમજ ગણપતિ મહોત્સવ મંડળો તરફથી આ વર્ષે આ પ્રકારના તહેવારોમાં જાહેર ઉજવણી ન કરવા અનેક રજૂઆતો મળેલી હતી. જેને ધ્યાનમાં રાખીને તેમજ રાજ્યના નાગરિકોના આરોગ્યના હિતમાં આગામી દિવસોમાં આવતા તમામ પ્રકારના ધાર્મિક તહેવારોની જાહેર ઉજવણી અને લોક મેળાઓ પર પ્રતિબંધ મુકવા રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યું કે, રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વ વાળી અમારી સરકારની દીર્ઘદ્રષ્ટિ અને સમયસરના પગલા તથા અસરકારક કામગીરીના પરિણામે અન્ય રાજયોની સરખામણીએ ગુજરાતમાં સંક્રમણનું પ્રમાણ ઘટાડવામાં સફળતા મળી છે. એમા પણ વ્યાપક જનસહયોગ મળ્યો છે એવો જ સહયોગ આગામી સમયમાં અવિરતપણે મળશે તો ચોકકસ આપણે સંક્રમણને આગળ વધતું અટકાવી શકીશું એવો મને દ્રઢ વિશ્વાસ છે.

મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યુ કે આ માસમાં આવતા તહેવારો જેવા કે જન્માષ્ટમી, પર્યુષણ પર્વ, શ્રાવણી અમાસનો મેળો, તરણેતરનો મેળો, ગણપતિ ઉત્સવ, રામાપીરનો મેળો, ભાદરવી પૂનમનો મેળો તેમજ તેના આનુષાંગિક પગપાળા સંઘો, પદયાત્રીકોના માર્ગમાં યોજાતા સેવા કેમ્પો અને મહોરમ - તાજીયાના જુલુસ તથા શોભાયાત્રા અને વિસર્જન વગેરે જેવા આસ્થાના પ્રતિક સમા તહેવારો અને લોકમેળાઓ યોજાતા હોય છે.

આ વર્ષે કોરોનાના કપરા કાળમાં લોકોનું આરોગ્ય જળવાઈ રહે અને લોકો સ્વસ્થ રહે એ માટે આ તહેવારોમાં જાહેર ધાર્મિક કાર્યક્રમો અને ઉત્સવો ન યોજવા રાજ્ય સરકાર દ્વારા અપીલ કરાઈ છે. તેમણે ઉમેર્યુ કે, ભાદરવી પૂનમ અંબાજીના મેળા સંદર્ભે પણ પગપાળા સંઘો તરફથી પદયાત્રા નહી યોજવા માટે રજૂઆતો મળી છે. એ તમામ લોકોની રજૂઆતો અમે સાંભળી છે અને તેઓની રજૂઆત ધ્યાને લઇને હાલની પરિસ્થિતિને અનુરૂપ રહી કોરોનાના કાળમા પગપાળા સંઘ નહી કાઢવા અને સેવાકેન્દ્રો ન ખોલવા માટે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

એ જ રીતે ગણપતિ મહોત્સવમાં પણ લોકો માટીની મૂર્તિનુ પોતાના ઘરમાં જ સ્થાપન અને વિસર્જન કરે તેમજ આ વેળાએ યોગ્ય સોશ્યલ ડિસ્ટન્સ જાળવે તેવી અપીલ છે. આ તમામ તહેવારોમાં નાગરિકોનો વ્યાપક જન સહયોગ મળી રહેશે તો ચોકકસ સંક્રમણ ઘટશે એવો મને વિશ્વાસ છે. મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આગામી સમયમા આવતા તમામ તહેવારોમા કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે તમામ તકેદારી રાખી તહેવારો ઉજવવા નાગરિકોને અપીલ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp