ગુજરાત વૃક્ષાચ્છાદિત વિસ્તારમાં ત્રીજા ક્રમે; ગોવા-દિલ્હી જેવા નાના રાજ્યો આગળ
‘વન છે તો જીવન છે’ આ સૂત્રને ગુજરાત વન વિભાગે સાચા અર્થમાં સાર્થક કર્યું છે. રાજ્યમાં 67મા રાજ્યકક્ષાના વન મહોત્સવ-2016 ઉજવણીના ભાગરૂપે વિવિધ સ્થળોએ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના હસ્તે મહિસાગર વન, આમ્ર વન, એકતા વન અને શહીદ વન એમ કુલ ચાર નવા સાંસ્કૃતિક વનનું નિર્માણ કરવામાં આવશે. જેમાંથી તાજેતરમાં મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં વહેરાખાડી ખાતે મહીસાગર વનનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં ચાર નવા સાંસ્કૃતિક વનના નિર્માણની સાથે કુલ 16 વન થશે.
રાજ્યમાં વન મહોત્સવ ઉજવણી સાથે સાંસ્કૃતિક વનનું નિર્માણ કરી લોકાર્પણની પહેલ સને 2004માં રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી. ગયા વર્ષ સુધી ગુજરાત રાજ્યમાં વન મહોત્સવ ઉજવણીના ભાગરૂપે 12 સાંસ્કૃતિક વનનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે આ મુજબ છે.
ક્રમાંક | સાંસ્કૃતિક વન | સ્થળ | વર્ષ | વિસ્તાર(હે.) | વાવેલ વૃક્ષો | વાવેલ અન્ય છોડ |
1 | પુનિતવન | ગાંધીનગર | 2004 | 6.0 | 4800 | 54000 |
2 | માંગલ્યવન | અંબાજી | 2005 | 3.5 | 3500 | 42000 |
3 | તીર્થકર વન | તારંગા | 2006 | 5.4 | 4300 | 51000 |
5 | હરિહર વન | સોમનાથ | 2007 | 1.6 | 1000 | 10000 |
5 | ભકિત વન | ચોટીલા | 2008 | 5.8 | 5600 | 44000 |
6 | શ્યામલ વન | શામળાજી | 2009 | 6.3 | 4800 | 62000 |
7 | પાવક વન | પાલીતાણા | 2010 | 7.4 | 6300 | 77000 |
8 | વિરાસત વન | પાવાગઢ | 2011 | 6.5 | 5200 | 62000 |
9 | ગોવિંદગુરૂ સ્મૃતિવન | માનગઢ | 2012 | 5.0 | 4000 | 20000 |
10 | નાગેશ વન | દ્વારકા | 2013 | 6.0 | 4800 | 54000 |
11 | ભકિતવન | કાગવડ | 2014 | 7.5 | 7500 | 75000 |
12 | જાનકી વન | ભીનાર | 2015 | 9.0 | 3600 | 45000 |
કુલ | 70.00 | 55400 | 596000 |
સાંસ્કૃતિક વનની તમામ જગ્યાઓ ઐતિહાસિક, ધાર્મિક, સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે, એ જગ્યાઓનું મહત્વ સામાન્ય જનતા સુધી પહોંચે, સાથો સાથ તે જ જગ્યાની મુલાકાત લેતા વ્યકિતઓને વૃક્ષ ઉછેર અને વૃક્ષો અંગે જાણકારી મળે સાથો સાથ તે સ્થાનનું મહત્વ પર્યટનની દૃષ્ટિએ વધે તેવા ઉદ્દેશથી સાંસ્કૃતિક વનનું નિર્માણ કરવામાં આવે છે.
ચાલુ વર્ષે રાજ્યમાં ચાર સ્થળોએ રાજ્ય કક્ષાના વધુ ચાર સાંસ્કૃતિક વનનું નિર્માણ થનાર છે, જેની વિગત આ મુજબ છે.
ક્રમાંક | સાંસ્કૃતિક વન | સ્થળ | વર્ષ | વિસ્તાર(હે.) | વાવેલ વૃક્ષો | વાવેલ અન્ય છોડ |
1 | મહીસાગર | વહેરાખાડી | 2016 | 6.0 | 4000 | 85000 |
2 | આમ્રવન | બાલચૌંઢી | 2016 | 5.0 | 5100 | 55000 |
3 | એકતા વન | મોતા | 2016 | 6.8 | 5000 | 85000 |
4 | શહીદ વન | ભૂચરમોરી | 2016 | 10.0 | 8000 | 95000 |
કુલ | 27.80 | 22100 | 320000 |
રાજ્યકક્ષાના વન મહોત્સવ ઉપરાંત તમામ જિલ્લાઓમાં જે તે જિલ્લા પ્રભારીમંત્રીઓના હસ્તે જિલ્લાકક્ષાના વન મહોત્સવ-2016ની ઉજવણી કરવામાં આવી રહી છે. વધુમાં તમામ મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, તાલુકાઓ તથા 45000 ગામોમાં વન મહોત્સવ ઉજવણી કરી લોકોને વૃક્ષ ઉછેર માટે પ્રેરિત કરી લોકો થકી રાજ્યમાં અંદાજિત 13.95 કરોડ રોપાની વાવણી થાય તેવા પ્રયાસ-લક્ષ્યાંક વન વિભાગ દ્વારા નક્કી કરવામાં આવ્યો છે.
રાજ્યના વન વિભાગના અથાગ પ્રયાસો અને ગુજરાતની ખમીરવંતી જનતાની સક્રિય ભાગીદારીથી ગુજરાતમાં વન સર્વેક્ષણ સંસ્થા દહેરાદૂનના અહેવાલ મુજબ 15 વર્ષમાં 96 ટકા વધારો નોંધાયેલ છે. જ્યારે આજ સમયગાળામાં ભારતમાં 13 ટકાનો વધારો થયેલ છે. 2001માં ગુજરાત વૃક્ષાચ્છાદિત વિસ્તારના ક્ષેત્રે સોળમા ક્રમે હતું, જ્યારે 2015માં દેશમાં ત્રીજો ક્રમ મેળવ્યો છે. ફક્ત ગોવા અને દિલ્હી જેવા બે નાના રાજ્યો ગુજરાત કરતા આગળ છે.
ગુજરાત વન વિભાગ દ્વારા કરાયેલી વૃક્ષ ગણતરી મુજબ 2004માં વન બહારના વિસ્તારમાં 25.1 કરોડ વૃક્ષો હતા તે વધીને 2014ના અભ્યાસ મુજબ 30.14 કરોડ થવા પામેલ છે. જેથી વૃક્ષોની સંખ્યામાં પણ 20 ટકાનો વધારો એકદશકમાં નોંધાયેલ છે. 1995માં ચેરનો વન વિસ્તાર 297 ચો.કી.મી. હતો તે 2015માં વધીને 1103 ચો.કી.મી. એટલે કે, આશરે ત્રણ ગણો થયો છે., એવી જ રીતે વન વિસ્તાર 1991માં 11907 ચો.કી.થી વધીને 2015માં 14660 ચો.કી.મી. થયો છે, એટલે 25 વર્ષમાં વન આવરણમાં 23 ટકાનો વધારો થયો છે. આમ, વૃક્ષાચ્છાદિત વિસ્તાર, ચેર વિસ્તાર, વન આવરણ વિસ્તારમાં નોંધપાત્ર વધારાનો શ્રેય ગુજરાતની જનતાને જાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આપણા જીવનપર્યંત આર્થિક સમૃદ્ધિ તેમજ આરોગ્ય માટે વૃક્ષો અતિ મહત્વના છે. વૃક્ષની મહત્તા સમજી કેન્દ્ર સરકારના ભુતપૂર્વ કૃષિમંત્રી તથા ગુજરાતના પનોતા પુત્ર અને દીર્ઘદૃષ્ટા કનૈયાલાલ મુનશીએ સને 1950માં લોકોને વૃક્ષ ઉછેર સાથે સાંકળવા વન મહોત્સવની ઉજવણીનો શુભારંભ કરાવ્યો હતો ત્યારથી વન મહોત્સવ આખા દેશમાં યોજવામાં આવે છે.
સંકલન : જનક દેસાઇ, માહિતી વિભાગ, ગાંધીનગર
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp