મન કી બાત 2.0ના 18મા એપિસોડમાં પ્રધાનમંત્રીનું સંબોધન શબ્દશઃ

PC: PIB

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. મન કી બાતની શરૂઆતમાં હું આજે, હું તમારી બધાની સાથે એક ખુશખબરી વહેંચવા માંગુ છું. દરેક ભારતીયને એ જાણીને ગર્વ થશે કે દેવી અન્નપૂર્ણાની એક બહુ જ જૂની પ્રતિમા, કેનેડાથી ભારત પરત આવી રહી છે. આ પ્રતિમા લગભગ 100 વર્ષ પહેલા, 1913ની આસપાસ, વારાણસીના એક મંદિરમાંથી ચોરી કરીને, દેશની બહાર મોકલી દેવાઈ હતી. હું કેનેડાની સરકાર અને આ પુણ્યકાર્યને સંભવ બનાવનારા બધા લોકોની સહ્રદયતા માટે આભાર વ્યક્ત કરું છું. માતા અન્નપૂર્ણાનો કાશી સાથે બહુ જ વિશેષ સંબંધ છે. હવે તેમની પ્રતિમાનું પાછું આવવું, આપણા બધા માટે સુખદ છે. માતા અન્નપૂર્ણાની પ્રતિમાની જેમ જ આપણા ઘણાં અણમોલ કિંમતી વારસાઓ, રાષ્ટ્રિય ટોળકીઓનો શિકાર થતી રહી છે. આ ટોળકી, આંતરરાષ્ટ્રિય બજારમાં તેને બહુ જ ઉંચી કિંમતમાં વેચે છે. હવે તેમના પર કડકાઈ તો લગાવાઈ જ રહી છે, તેને પરત લાવવા માટે ભારતે પોતાના પ્રયાસો પણ વધાર્યા છે. આવી જ કોશિશોને કારણે વિતેલા કેટલાક વર્ષોમાં ભારત, કેટલીયે પ્રતિમાઓ અને કલાકૃતિઓને પરત લાવવામાં સફળ રહ્યું છે. માતા અન્નપૂર્ણાની પ્રતિમાના પરત આવવાની સાથે, એક સંયોગ એ પણ જોડાયેલો છે કે, કેટલાક દિવસો અગાઉ જ World Heritage Week મનાવવામાં આવ્યું. World Heritage Week, સંસ્કૃતિ પ્રેમીઓ માટે, જૂના સમયમાં પરત જવા, તેના ઈતિહાસના મહત્વની ક્ષણોને જાણવાનો એક શ્રેષ્છ તક પૂરી પાડે છે. કોરોનાના સમય છતાં પણ આ વખતે આપણે ઈનોવેટિવ રીતે લોકોને આ Heritage Week મનાવતા જોયા. Crisis માં

culture ઘણું જ કામ આવે છે, તેની સાથે વ્યવહાર કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. ટેક્નોલોજીના માધ્યમથી પણ કલ્ચર, એક ઈમોશનલ રિચાર્જની રીતે કામ કરે છે. આજે દેશમાં કેટલાય મ્યુઝિયમ અને લાઈબ્રેરીઓ પોતાના સંગ્રહને સંપૂર્ણ રીતે ડિજીટલ બનાવવા પર કામ કરી રહ્યા છે. દિલ્હીમાં આપણા રાષ્ટ્રિય સંગ્રહાલયે આ સંબંધમાં કેટલાક પ્રશંસનીય પ્રયાસો કર્યા છે. રાષ્ટ્રિય સંગ્રહાલય દ્વારા લગભગ દસ વર્ચ્યુઅલ ગેલેરી, introduce કરવાની દિશામાં કામ ચાલી રહ્યું છે – છે ને મજેદાર ! હવે તમે ઘરે બેઠા જ દિલ્હીના નેશનલ મ્યુઝિયમ ગેલેરીની ટૂર કરી શકશો. જ્યાં એક તરફ સાંસ્કૃતિક વારસાઓને ટેક્નોલોજીના માધ્યમથી વધુ ને વધુ લોકો સુધી પહોંચાડવા મહત્વનું છે, તો આ વારસાઓના સંરક્ષણ માટે ટેક્નોલોજીનો ઉપયોગ પણ મહત્વપૂર્ણ છે. હાલમાં જ એક interesting project વિશે વાંચી રહ્યો હતો. નોર્વેના ઉત્તરમાં સ્વૉલબાર્ડ (Svalbard) નામનો એક ટાપુ છે. આ ટાપુમાં એક પ્રોજેક્ટ, Arctic world archive બનાવવામાં આવ્યું છે. આ archive માં બહુમૂલ્ય એવા હેરિટેજ ડેટાને એવી રીતે રાખવામાં આવ્યો છે કે કોઈપણ પ્રકારની પ્રાકૃતિક કે માનવસર્જિત આપત્તિ પણ તેને અસર કરી શકે નહીં. હમણાં હાલમાં જ એ જાણકારી આવી છે કે અજન્તા ગુફાઓના વારસાને પણ ડિજીટાઈઝ કરવાના પ્રોજેક્ટમાં સામેલ કરવામાં આવી રહ્યા છે. તેમાં અજન્તા ગુફાઓની સંપૂર્ણ ઝાંખી જોવા મળશે. તેમાં ડિજીટાઈઝ્ડ અને restored painting ની સાથે સાથે તેનાથી સંબંધિત દસ્તાવેજ અને quotes પણ સામેલ હશે. સાથીઓ. રોગચાળાએ એક તરફ જ્યાં આપણા કામ કરવાની રીત-રિવાજ બદલી નાખ્યા છે તો બીજી તરફ પ્રકૃતિને નવી રીતે અનુભવ કરવાનો પણ મોકો આપ્યો છે. પ્રકૃતિને જોવાના આપણા દ્રષ્ટિકોણમાં પણ બદલાવ આવ્યો છે. હવે આપણે શિયાળાની ઋતુમાં પ્રવેશ કરી રહ્યા છીએ. આપણને પ્રકૃતિના અલગ-અલગ રંગ જોવા મળશે. ગત કેટલાક દિવસોથી ઈન્ટરનેટ ચેરી બ્લોસમ્સની વાઈરલ છબીઓથી ભરેલું છે. તમે વિચાર કરી રહ્યા હશો જ્યારે હું ચેરી બ્લોસમ્સની વાત કરું છું તો જાપાનની આ પ્રસિદ્ધ ઓળખની વાત કરી રહ્યો છું – પરંતુ એવું નથી. આ જાપાનની છબીઓ નથી. આ આપણા મેઘાલયના શિલોંગની છબીઓ છે. મેઘાલયની સુંદરતાને આ ચેરી બ્લોસમ્સે વધારી દીધી છે.

સાથીઓ, આ મહિને 12 નવેમ્બરથી ડોક્ટર સલીમ અલીજી નો 125મો જયંતિ સમારોહ શરૂ થયો છે. ડોક્ટર સલીમે પક્ષીઓની દુનિયામાં બર્ડ વોચિંગને લઈને ઉલ્લેખનીય કાર્ય કર્યું છે. દુનિયાના bird watchers ને ભારત પ્રત્યે આકર્ષિત પણ કર્યા છે. હું હંમેશાથી બર્ડ વોચિંગના શોખીન લોકોનો પ્રસંશક રહ્યો છું. ધણી જ ધીરજ સાથે તેઓ કલાકો સુધી સવારથી સાંજ સુધી Bird watching કરી શકે છે, પ્રકૃતિના અનોખા દ્રષ્ટિકોણનો આનંદ ઉઠાવી શકે છે અને પોતાના જ્ઞાનને આપણા લોકો સુધી પણ પહોંચાડી રહ્યા છે. ભારતમાં પણ ઘણી બર્ડ વોચિંગ સોસાયટી સક્રિય છે. આપ પણ જરૂર આ વિષય સાથે જોડાવ. મારી દોડાદોડથી ભરેલી જિંદગીમાં મને પણ ગત દિવસોમાં કેવડિયામાં પક્ષીઓ સાથે સમય વિતાવવાનો ઘણો જ યાદગાર મોકો મળ્યો. પક્ષીઓ સાથે વિતાવેલો સમય, આપને પ્રકૃતિ સાથે પણ જોડશે અને પર્યાવરણ માટે પણ પ્રેરણા આપશે.

મારા પ્રિય દેશવાસીઓ, ભારતની સંસ્કૃતિ અને શાસ્ત્ર હંમેશાથી આખી દુનિયામાં આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. કેટલાય લોકો તો તેની શોધમાં

ભારત આવ્યા અને હંમેશા માટે અહીંયાના જ થઈને રહી ગયા, તો કેટલાય લોકો પરત પોતાના દેશ જઈને, આ સંસ્કૃતિના વાહક બની ગયા. મને“Jonas Masetti” ના કામ વિશે જાણવાનો મોકો મળ્યો, જેને વિશ્વનાથના નામથી પણ જાણવામાં આવે છે. જોનસ બ્રાઝિલમાં લોકોને વેદાંત અને ગીતા શીખવાડે છે. તેઓ વિશ્વવિદ્યા નામની એક સંસ્થા ચલાવે છે, જે રિયો ડિ જનેરોથી કલાકના અંતરે પેટ્રોપોલિસના પહાડોમાં આવેલી છે. જોનસે મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા પછી સ્ટોક માર્કેટમાં પોતાની કંપનીમાં કામ કર્યું, પછી તેમનું વલણ ભારતીય સંસ્કૃતિ અને ખાસ કરીને વેદાન્ત તરફ થઈ ગયું. સ્ટોકથી લઈને સ્પિરિચ્યુઆલિટી સુધી, ખરેખર તો તેમની એક લાંબી યાત્રા છે. જોનસે ભારતમાં વેદાન્ત દર્શનનો અભ્યાસ કર્યો અને 4 વર્ષ સુધી તેઓ કોઈમ્બતુરના આર્ષ વિદ્યા ગુરુકુલમમાં રહ્યા છે. જોનસમાં વધુ એક ખાસીયત છે કે તેઓ પોતાના મેસેજને આગળ પહોંચાડવા માટે ટેક્નોલોજીનો પ્રયોગ કરી રહ્યા છે. તેઓ નિયમિત રીતે ઓનલાઈન પ્રોગ્રામ્સ કરે છે. તેઓ રોજ પોડકાસ્ટ કરે છે. પાછલા 7 વર્ષોમાં જોનસે વેદાન્ત પર પોતાના Free Open Coursesના માધ્યમથી દોઢ લાખથી વધુ વિદ્યાર્થીઓને ભણાવ્યા છે. જોનસ ન માત્ર એક મોટું કામ કરે છે પરંતુ તેને એક એવી ભાષામાં કરી રહ્યા છે, જેને સમજનારાઓની સંખ્યા પણ ઘણી વધારે છે. લોકોને તેને લઈને ઘણી રૂચી છે કે કોરોના અને ક્વોરન્ટાઈનના આ સમયમાં વેદાન્ત કેવી રીતે મદદ કરી શકે છે? મન કી બાત ના માધ્યમથી હું જોનસને તેમના પ્રયાસો માટે અભિનંદન આપું છું અને તેમના ભવિષષ્યના પ્રયાસો માટે શુભકામનાઓ પાઠવું છું.

સાથીઓ આવી રીતે હમણાં એક ખબર પર તમારું ધ્યાન જરૂર ગયું હશે. ન્યૂઝીલેન્ડમાં ત્યાંના નવનિયુક્ત એમ.પી. ડૉ. ગૌરવ શર્માએ વિશ્વની પ્રાચિન ભાષાઓમાંની એક સંસ્કૃત ભાષામાં શપથ લીધા છે. એક ભારતીય તરીકે, ભારતીય સંસ્કૃતિનો આ પ્રસાર આપણને બધાને ગર્વથી ભરી દે છે. મન કી બાતના માધ્યમથી હું ગૌરવ શર્માજી ને શુભેચ્છાઓ આપું છું. આપણા બધાની શુભેચ્છા છે કે તેઓ ન્યૂઝીલેન્ડના લોકોની સેવામાં નવી સિદ્ધીઓ પ્રાપ્ત કરે.

મારા પ્રિય દેશવાસીઓ, કાલે 30 નવેમ્બરે આપણે શ્રી ગુરુ નાનક દેવજીનું 551મું પ્રકાશ પર્વ મનાવીશું. આખી દુનિયામાં ગુરુ નાનક દેવજીનો પ્રભાવ સ્પષ્ટ રીતે જોવા મળે છે.

Vancouver થી Wellington સુધી, Singapore થી South Africa સુધી તેમના સંદેશ દરેક જગ્યાએ સાંભળવા મળે છે. ગુરુગ્રંથ સાહિબમાં કહેવામાં આવ્યું છે – સેવક કો સેવા બન આઈ, એટલે કે સેવકનું કામ સેવા કરવાનું છે. વિતેલા કેટલાક વર્ષોમાં કેટલાય મહત્વના તબક્કાઓ આવ્યા અને એક સેવક તરીકે આપણને ઘણું બધું કરવાની તક પ્રાપ્ત થઈ. ગુરુ સાહિબે આપણી પાસેથી સેવા લીધી. ગુરુ નાનક દેવજી નો જ 550મું પ્રકાશ પર્વ, શ્રી ગુરુ ગોવિંદ સિંહજીનું 350મું પ્રકાશ પર્વ, આવતા વર્ષે શ્રી ગુરુ તેગ બહાદુરજીનું 400મું પ્રકાશ પર્વ પણ છે. મને અનુભવાય છે કે ગુરુ સાહેબની મારા પર વિશેષ કૃપા રહી કે તેમણે મને તેમના કાર્યોમાં બહુ નજીકથી જોડ્યો.

સાથીઓ, શું તમે જાણો છો કે કચ્છમાં એક ગુરુદ્વારા છે, લખપત ગુરુદ્વારા સાહિબ. શ્રી ગુરુ નાનકજી પોતાના ઉદાસી દરમિયાન લખપત ગુરુદ્વારા સાહિબમાં રોકાયા હતા. 2001માં ભૂકંપથી આ ગુરુદ્વારાને પણ નુકસાન પહોંચ્યું હતું. એ ગુરુ સાહેબની કૃપા રહી હતી કે હું તેનો જીણોદ્ધાર સુનિશ્ચિત કરી શક્યો. ન માત્ર ગુરુદ્વારાની મરામત કરવામાં આવી પરંતુ તેના ગૌરવ અને ભવ્યતાને પણ ફરીથી સ્થાપિત કરવામાં આવ્યા. આપણને બધાને ગુરુ સાહેબના ભરપૂર આશિર્વાદ પણ મળ્યા. લખપત ગુરુદ્વારા સંરક્ષણના પ્રયાસોને 2004માં UNESCO Asia Pacific Heritage Award માં Award of Distinction આપવામાં આવ્યો. એવોર્ડ પ્રદાન કરનારી Jury એ જોયું કે પાયાની મરામત દરમિયાન શિલ્પ સાથે જોડાયેલી બારીકીઓનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું. જ્યુરીએ એ પણ નોંધ્યું કે ગુરુદ્વારાના પુનઃનિર્માણ કાર્યમાં શીખ સમુદાયની ન માત્ર સક્રિય ભાગીદારી રહી પરંતુ, તેમના જ માર્ગદર્શનમાં આ કામ થયું. લખપત ગુરુદ્વારા જવાનું સૌભાગ્ય મને ત્યારે મળ્યું હતું જ્યારે હું મુખ્યમંત્રી પણ નહોતો. મને ત્યાં જઈને અનંત ઉર્જા મળતી હતી. આ ગુરુદ્વારામાં જઈને કોઈપણ પોતાને ધન્ય અનુભવે છે. હું એ વાત માટે ઘણો જ કૃતજ્ઞ છું કે ગુરુ સાહેબે મારી પાસેથી નિરંતર સેવા લીધી છે. ગત વર્ષ નવેમ્બરમાં જ કરતાપુર સાહિબ કોરિડોરનું ખૂલવું ઘણું જ ઐતિહાસિક રહ્યું.

એ વાતને હું જીવનભર મારા હ્રદયમાં સાચવીને રાખીશ. એ આપણા બધાનું સૌભાગ્ય છે કે આપણને શ્રી દરબાર સાહિબની સેવા કરવાનો વધુ એક મોકો મળ્યો. વિદેશમાં રહેનારા આપણા શીખ ભાઈ-બહેનો માટે હવે દરબાર સાહિબની સેવા માટે પૈસા મોકલવાનું વધુ સરળ થઈ ગયું છે. આ પગલાંથી વિશ્વભરની સંગત દરબાર સાહિબની વધુ નજીક આવી ગઈ છે.

સાથીઓ, તે ગુરુ નાનક દેવજી જ હતા, જેમણે લંગરની પરંપરા શરૂ કરી હતી અને આજે આપણે જોયું કે દુનિયાભરમાં શીખ સમુદાયે કેવી રીતે કોરોનાના આ સમયમાં લોકોનો ખાવાનું ખવડાવવાની પોતાની પરંપરા જાળવી રાખી છે, માનવતાની સેવાની – આ પરંપરા, આપણા બધા માટે નિરંતર પ્રેરણાનું કામ કરે છે. હું ઈચ્છું છું કે આપણે બધા સેવકની જેમ કામ કરતા રહીએ. ગુરુ સાહેબ મારી પાસેથી તેમજ દેશવાસીઓ પાસેથી આવી જ રીતે સેવા લેતા રહે. ફરી એકવાર, ગુરુ નાનક જયંતી પર મારી ખૂબ-ખૂબ શુભેચ્છાઓ.

મારા પ્રિય દેશવાસીઓ, ગત દિવસોમાં મને દેશભરની કેટલીયે યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ સાથે વાતચીતનો, તેમની education journeyની મહત્વપૂર્ણ events માં સામેલ થવાનો મોકો પ્રાપ્ત થયો છે. ટેક્નોલોજીના માધ્યમથી IIT-Guwahati, IIT-Delhi, ગાંધીનગરની Deendayal Petroleum University, દિલ્હીની JNU, Mysore University અને લખનૌ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે connect થઈ શક્યો.

દેશના યુવાનોની વચ્ચે રહેવું ઘણું જ તાજગી આપનારું અને ઉર્જાથી ભરેલું હોય છે. વિશ્વવિદ્યાલયના પરિસર તો એક રીતે Mini India જેવા હોય છે. એક તરફ જ્યાં આ કેમ્પસમાં ભારતની વિવિધતાના દર્શન થાય છે, તો બીજી તરફ ત્યાં New India માટે મોટા-મોટા બદલાવનું passion પણ જોવા મળે છે. કોરોનાથી પહેલાના દિવસોમાં જ્યારે હું રૂબરૂ કોઈ ઈન્સ્ટિટ્યૂટની ઈવેન્ટમાં જતો હતો, તો એ આગ્રહ પણ કરતો હતો કે આસપાસની શાળાઓમાંથી ગરીબ બાળકોને પણ આ સમારોહમાં આમંત્રિત કરવામાં આવે. તે બાળકો, તે સમારોહમાં મારા સ્પેશ્યીલ ગેસ્ટ બનીને આવતા રહ્યા છે. એક નાનું બાળક તે ભવ્ય સમારોહમાં કોઈ યુવાનને ડોક્ટર, એન્જિનિયર, સાઈન્ટિસ્ટ બનતા જોવે છે, કોઈને મેડલ લેતા જોવે છે, તો તેનામાં નવા સપનાઓ જાગે છે – હું પણ કરી શકું છું, એ આત્મવિશ્વાસ જાગે છે. સંકલ્પ માટે પ્રેરણા મળે છે.

સાથીઓ, આ ઉપરાંત વધુ એક વાત જાણવામાં મારી હંમેશા રૂચી રહેતી હોય છે કે તે institution ના alumni કોણ છે, તે સંસ્થાના પોતાના alumni સાથે regular engagementની વ્યવસ્થા છે કે કેમ? તેમનું alumni network કેટલું જીવંત છે...

મારા યુવા દોસ્તો, આપ ત્યાં સુધી જ કોઈ સંસ્થાના વિદ્યાર્થી હોવ છો જ્યાં સુધી આપ અભ્યાસ કરો છો, પરંતુ ત્યાંના alumni, આપ

જીવનભર રહો છો. સ્કૂલ, કોલેજમાંથી બહાર નીકળ્યા બાદ બે વસ્તુ ક્યારેય પૂરી થતી નથી – એક, તમારા શિક્ષણનો પ્રભાવ અને બીજું આપનું આપની સ્કૂલ, કોલેજ સાથેનું જોડાણ. જ્યારે પણ ક્યારેક alumni એકબીજા સાથે વાત કરે છે, તો સ્કૂલ, કોલેજની તેમની યાદોમાં, પુસ્તકો અને ભણવાથી પણ વધારે કેમ્પસમાં વિતાવેલો સમય અને દોસ્તો સાથે વિતાવેલી પળો હોય છે, અને એ જ યાદોથી જન્મ લે છે એક ભાવ, institution માટે કંઈક કરવાનો. જ્યાં આપના વ્યક્તિત્વનો વિકાસ થયો છે, ત્યાંના વિકાસ માટે આપ કંઈક કરો તેનાથી મોટી ખુશી શું હોઈ શકે છે? મેં કેટલાક એવા પ્રયાસો વિશે વાંચ્યું છે, જ્યાં પૂર્વ વિદ્યાર્થીઓએ તેમની જૂની સંસ્થાઓને બને તેટલું વધારે આપ્યું છે. આજકાલ alumni તેને લઈને ઘણાં સક્રિય છે. IITians એ તેમની સંસ્થા માટે Conference Centres, Management Centres, Incubation Centres જેવી કેટલીયે અલગ-અલગ વ્યવસ્થાઓ પોતે બનાવીને આપી છે. આ બધા પ્રયાસો વર્તમાન વિદ્યાર્થીઓના learning experience ને સુધારે છે. IIT દિલ્હીએ એક endowment fundની શરૂઆત કરી છે, જે એક ઘણો જ શાનદાર idea છે. વિશ્વની જાણીતી યુનિવર્સિટીમાં આવા પ્રકારના endowments બનાવવાનું કલ્ચર રહેલું છે, જે વિદ્યાર્થીઓની મદદ કરે છે. મને લાગે છે કે ભારતના વિશ્વવિદ્યાલયો પણ આ કલ્ચરને institutionalize કરવામાં સક્ષમ છે.

જ્યારે કંઈક પાછું આપવાની વાત આવે છે તો કંઈ મોટું કે નાનું નથી હોતું. નાનામાં નાની મદદ પણ મહત્વ ધરાવે છે. દરેક પ્રયાસ મહત્વપૂર્ણ હોય છે. ઘણીવાર પૂર્વ વિદ્યાર્થીઓ પોતાની સંસ્થાના ટેક્નોલોજી અપગ્રેડેશનમાં, બિલ્ડીંગના નિર્માણમાં, એવોર્ડ્સ અને સ્કોલરશિપ શરૂ કરવામાં, સ્કિલ ડેવેલપમેન્ટના પ્રોગ્રામ શરૂ કરવામાં, ઘણી મહત્વની ભૂમિકા નિભાવે છે. કેટલીક શાળાઓના old student association એ mentorship programmes શરૂ કર્યા છે. તેમાં તેઓ અલગ-અલગ બેચના વિદ્યાર્થીઓને guide કરે છે. સાથે જ education prospect પર ચર્ચા કરે છે. કેટલીક સ્કૂલોમાં ખાસ કરીને બોર્ડિંગ સ્કૂલોની alumni association બહુ જ strong છે, જે sports tournament અને community service જેવી ગતિવિધીઓનું આયોજન કરતા રહે છે. હું પૂર્વ વિદ્યાર્થીઓને આગ્રહ કરવા માંગીશ કે તેમણે જે સંસ્થામાં અભ્યાસ કર્યો છે, તેની સાથે પોતાના bondingને વધુ મજબૂત કરતા રહે. પછી તે સ્કૂલ હોય, કોલેજ હોય, કે યુનિવર્સિટી. મારો સંસ્થાઓને પણ આગ્રહ છે કે alumni engagementના નવા અને innovative પદ્ધતિઓ પર કામ કરે. Creative platforms develop કરે જેથી alumniની સક્રિય ભાગીદારી થઈ શકે.

મોટી કોલેજ અને યુનિવર્સિટી જ નહીં, આપણાં ગામોની સ્કૂલોનું પણ strong vibrant active alumni network હોય.

મારા પ્રિય દેશવાસીઓ, 5 ડિસેમ્બરે શ્રી અરબિંદોની પુણ્યતિથી છે. શ્રી અરબિંદોને આપણે જેટલા વાંચીએ છીએ, તેટલું જ ઉંડાણ આપણને મળતું જાય છે. મારા યુવાન સાથીઓ શ્રી અરબિંદોને જેટલા જાણશે, તેટલા જ પોતાને જાણશે અને પોતાને સમૃદ્ધ કરશે. જીવનની જે ભાવ-અવસ્થામાં આપ છો, જે સંકલ્પોને સિદ્ધ કરવામાં આપ પ્રયત્નશીલ છો, તેની વચ્ચે આપ હંમેશાથી શ્રી અરબિંદોને એક નવી પ્રેરણા આપતા જોશો, એક નવો માર્ગ દેખાડતા જોશો. જેમ આજે જ્યારે આપણે લોકલ માટે વોકલ એ અભિયાન સાથે આગળ વધી રહ્યા છીએ તો શ્રી અરબિંદોનું સ્વદેશીનું દર્શન આપણને માર્ગ દેખાડે છે. બાંગ્લામાં એક બહુ પ્રભાવશાળી કવિતા છે.

છુઈ શુતો પૉય-મોન્તો આશે તુંગ હોતે |

દિય-શલાઈ કાઠી, તાઉ આસે પોતે ||

પ્રો-દિપ્તી જાલિતે ખેતે, શુતે, જેતે |

કિછુતે લોક નૉય શાધીન ||

એટલે કે આપણે ત્યાં સોય અને દિવાસળી પણ વિદેશી જહાજમાં આવે છે. ખાણી-પીણી, સૂવાનું, કોઈપણ વાતમાં લોકો સ્વતંત્ર નથી.

તેઓ કહેતા પણ હતા, સ્વદેશીનો અર્થ છે કે આપણે આપણા ભારતીય કામદારો, કારીગરોએ બનાવેલી વસ્તુઓને પ્રાથમિકતા આપીએ.

એવું પણ નથી કે શ્રી અરબિંદોએ વિદેશોથી કંઈક શિખવાનો પણ ક્યારેય વિરોધ કર્યો હોય. જ્યાં જે નવું છે ત્યાંથી આપણે શીખીએ, જે આપણા દેશમાં સારું હોઈ શકે છે, તેનો આપણે સહયોગ અને પ્રોત્સાહન આપીએ, આ જ તો આત્મનિર્ભર ભારત અભિયાનમાં વોકલ ફોર લોકલ મંત્રની આ ભાવના છે.

ખાસ કરીને સ્વદેશીને અપનાવવાને લઈને તેમણે જે કંઈપણ કહ્યું તે આ જે દરેક દેશવાસીએ વાંચવું જોઈએ. સાથીઓ, આવી જ રીતે શિક્ષણને લઈને પણ શ્રી અરબિંદોના વિચાર બહુ જ સ્પષ્ટ હતા. તેઓ શિક્ષણને માત્ર પુસ્તકિયું જ્ઞાન, ડિગ્રી અને નોકરી સુધી જ સીમિત નહોતા માનતા. શ્રી અરબિંદો કહેતા હતા, આપણું રાષ્ટ્રિય શિક્ષણ, આપણી યુવા પેઢીના હ્રદય અને મગજની ટ્રેનિંગ હોવી જોઈએ, એટલે કે મસ્તિષ્કનો વૈજ્ઞાનિક વિકાસ થાય અને હ્રદયમાં ભારતીય ભાવનાઓ પણ હોય, ત્યારે એક યુવાન દેશનો વધુ એક સારો નાગરિક બની શકે છે, શ્રી અરબિંદોએ રાષ્ટ્રિય શિક્ષણને લઈને જે વાત તે વખતે કહી હતી, જે અપેક્ષા કરી હતી, આજે દેશ તેને નવી રાષ્ટ્રિય શિક્ષણ નીતિના રૂપમાં પૂરી કરી રહ્યો છે.

મારા પ્રિય દેશવાસીઓ, ભારતમાં ખેતી અને તેનાથી જોડાયેલી વસ્તુઓ સાથે નવા પરિમાણો જોડાઈ રહ્યા છે. વિતેલા દિવસોમાં થયેલા કૃષિ સુધારે ખેડૂતો માટે નવી સંભાવનાના દ્વાર પણ ખોલ્યા છે. વર્ષોથી ખેડૂતોની જે માગ છે, જે માગોને પૂરી કરવા માટે કોઈને કોઈ સમયમાં દરેક રાજકીય દળે તેમને વાયદાઓ કર્યા હતા, તે માગ પૂરી થઈ છે.

ઘણા વિચાર-વિમર્શ બાદ ભારતની સંસદે કૃષિ સુધાર ને કાયદાકીય સ્વરૂપ આપ્યું. આ સુધારાઓથી ન માત્ર ખેડૂતોના બંધનો સમાપ્ત થયા છે પરંતુ તેમને નવા અધિકારો પણ મળ્યા છે, નવી તકો પણ મળી છે. આ અધિકારોએ બહુ જ ઓછા સમયમાં ખેડૂતોની મુશ્કેલીઓને ઘટાડવાનું શરૂ કરી દીધું છે.

મહારાષ્ટ્રના ધૂલે જિલ્લાના ખેડૂત, જિતેન્દ્ર ભોઈજીએ નવા કૃષિ કાયદાઓનો ઉપયોગ કેવી રીતે કર્યો, તે તમારે પણ જાણવું જોઈએ. જિતેન્દ્ર ભોઈજીએ મકાઈની ખેતી કરી હતી અને સારા ભાવ માટે તેને વેપારીઓને વેચવાનું નક્કી કર્યું. પાકની કુલ કિંમત નક્કી થઈ લગભગ ત્રણ લાખ બત્રીસ હજાર રૂપિયા. જિતેન્દ્ર ભોઈને પચ્ચીસ હજાર રૂપિયા એડવાન્સ મળી ગયા હતા. નક્કી એ થયું હતું કે બાકીના પૈસા તેમને પંદર દિવસમાં ચૂકવી દેવામાં આવશે. પરંતુ પછીથી પરિસ્થિતીઓ એવી બની કે તેમને બાકીનું પેમેન્ટ મળ્યું નહીં. ખેડૂતો પાસેથી પાક ખરીદી લો, મહિના – મહિના સુધી પેમેન્ટ ન કરો, સંભવિત મકાઈ ખરીદનારાઓ વર્ષોથી ચાલતી આવતી એ જ પરંપરાને નિભાવી રહ્યા હતા. તેવી જ રીતે ચાર મહિના સુધી જિતેન્દ્રજીનું પેમેન્ટ થયું નહીં. તેવી સ્થિતીમાં તેમની મદદ કરી, સપ્ટેમ્બરમાં જે પાસ થયો છે, જે નવો કૃષિ કાયદો બન્યો છે – તે તેમના કામ આવ્યો. આ કાયદામાં એ નક્કી કરવામાં આવ્યું કે પાક ખરીદના ત્રણ દિવસમાં જ ખેડૂતને પૂરું પેમેન્ટ કરવું પડે છે અને જો પેમેન્ટ નથી થતું તો ખેડૂતો ફરિયાદ દાખલ કરાવી શકે છે. કાયદામાં વધુ એક બહુ મોટી વાત છે, આ કાયદામાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે ક્ષેત્રના એસ.ડી.એમ એ એક મહિનાની અંદર જ ખેડૂતની ફરિયાદનો નિકાલ કરવાનો રહેશે.

હવે જ્યારે આવા કાયદાની તાકાત આપણા ખેડૂતભાઈ પાસે હતી, તો તેમની સમસ્યાનું સમાધાન તો થવાનું જ હતું, તેમણે ફરિયાદ કરી અને થોડા જ દિવસમાં તેમની બાકી રકમ ચૂકવી દેવામાં આવી. એટલે કે કાયદાની સાચી અને પૂરી જાણકારી જ જિતેન્દ્ર જીની તાકાત બની.

ક્ષેત્ર કોઈપણ હોય, દરેક પ્રકારના ભ્રમ અને અફવાઓથી દૂર, સાચી જાણકારી, દરેક વ્યક્તિ માટે બહુ મોટો ટેકો હોય છે. ખેડૂતોમાં જાગૃતિ વધારવાનું આવું જ એક કામ કરી રહ્યા છે રાજસ્થાનના બારાં જિલ્લામાં રહેતા મોહમ્મદ અસલમજી. તેઓ એક ખેડૂત ઉત્પાદક સંઘના સીઈઓ પણ છે. જી હા...તમે સાચું સાંભળ્યું, ખેડૂત ઉત્પાદક સંઘના સીઈઓ. આશા છે, મોટી મોટી કંપનીઓના સીઈઓ ને આ સાંભળીને સારું લાગશે કે હવે દેશના દૂર-દૂરના વિસ્તારોમાં કામ કરી રહેલા ખેડૂત સંગઠનોમાં પણ સીઈઓ બનવા લાગ્યા છે, તો સાથીઓ, મોહમ્મદ અસલમજીએ પોતાના ક્ષેત્રનાં અનેક ખેડૂતોને મેળવીને એક વોટ્સએપ ગ્રુપ બનાવી લીધું છે. આ ગ્રુપ પર તેઓ દરરોજ આસપાસની બજારોમાં શું ભાવ ચાલી રહ્યો છે, તેની જાણકારી ખેડૂતોને આપે છે. એમનું પોતાનું એફપીઓ પણ ખેડૂતો પાસેથી પાક ખરીદે છે, તેથી તેમના આ પ્રયાસથી ખેડૂતોને નિર્ણય લેવામાં મદદ મળે છે.

સાથીઓ, જાગૃતિ છે તો જીવંતતા છે. પોતાની જાગૃતિથી હજારો લોકોનું જીવન પ્રભાવિત કરનારા એક કૃષિ ઉદ્યમી શ્રી વિરેન્દ્ર યાદવજી છે. વિરેન્દ્ર યાદવજી ક્યારેક ઓસ્ટ્રેલિયામાં રહેતા હતા.

બે વર્ષ પહેલાં જ તેઓ ભારત આવ્યા અને હવે હરિયાણાના કૈથલમાં રહે છે. બીજા લોકોની જેમ, ખેતીમાં સૂકા ઘાસની તેમની સામે મોટી સમસ્યા હતી. તેના સોલ્યુશન માટે બહુ વ્યાપક સ્તર પર કામ થઈ રહ્યું છે,

પરંતુ આજે મન કી બાતમાં હું વિરેન્દ્ર જીનો ખાસ કરીને ઉલ્લેખ એટલે કરી રહ્યો છું, કારણ કે તેમના પ્રયાસ અલગ છે, એક નવી દિશા દેખાડે છે. સૂકા ઘાસનું સમાધાન કરવા માટે વિરેન્દ્રજીએ પૂળાની ગાંઠ બનાવનારું straw baler મશીન ખરીદ્યું. તેને માટે તેમને કૃષિ વિભાગ તરફથી આર્થિક મદદ પણ મળી. આ મશીનથી તેમણે સૂકા ઘાંસના ગઠ્ઠા બનાવવાના શરૂ કર્યા. ગઠ્ઠા બનાવ્યા બાદ તેમણે સૂકા ઘાંસને એગ્રો એનર્જી પ્લાન્ટ અને પેપર મીલને વેચી દીધા. તમે જાણીને હેરાન રહી જશો કે વિરેન્દ્રજીએ સૂકા ઘાંસમાંથી માત્ર બે વર્ષમાં દોઢ કરોડ રૂપિયાથી પણ વધુનો વેપાર કર્યો છે, અને તેમાં પણ લગભગ 50 લાખ રૂપિયાનો નફો કમાયા છે. તેનો ફાયદો એ ખેડૂતોને પણ થઈ રહ્યો છે, જેમના ખેતરોમાંથી વિરેન્દ્રજી સૂકુ ઘાંસ ઉઠાવે છે. આપણે કચરામાંથી કંચનની વાત તો ઘણી સાંભળી છે, પરંતુ સૂકા ઘાંસનો નિકાલ કરીને પૈસા અને પુણ્ય કમાવાનું આ અનોખું ઉદાહરણ છે. મારા નવયુવાનો, ખાસકરીને ખેતીનો અભ્યાસ કરી રહેલા લાખો વિદ્યાર્થીઓને આગ્રહ છે કે તેઓ તેમની આસપાસના ગામોમાં જઈને ખેડૂતોને આધુનિક ખેતી વિશે, હાલમાં જ થયેલા ખેતી વિષયક સુધારા વિશે જાગૃત કરે. તેવું કરીને આપ દેશમાં થઈ રહેલા મોટા બદલાવમાં સહભાગી બનશો.

મારા પ્રિય દેશવાસીઓ,

મન કી બાત માં આપણે અલગ-અલગ, વિવિધ અનેક વિષયો પર વાત કરીએ છીએ. પરંતુ એક એવી વાતને પણ એક વર્ષ થઈ રહ્યું છે, જેને આપણે ક્યારેય ખુશીથી યાદ કરવાનું નહીં ઈચ્છીએ. લગભગ એક વર્ષ થઈ રહ્યું છે, જ્યારે દુનિયાને કોરોનાના પહેલા કેસ વિશે ખબર પડી હતી. ત્યારથી લઈને અત્યારસુધી આખા વિશ્વએ અનેક ઉતાર-ચડાવ જોયા છે. લોકડાઉનના તબક્કાની બહાર નીકળીને હવે વેક્સિન પર ચર્ચા થવા લાગી છે. પરંતુ કોરોનાને લઈને કોઈપણ પ્રકારની લાપરવાહી હજુ પણ બહુ જ ઘાતક છે. આપણે કોરોના સામે આપણી લડાઈને મજબૂતી સાથે ચાલુ રાખવાની છે. સાથીઓ કેટલાક દિવસો બાદ જ 6 ડિસેમ્બરે બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથી પણ છે. આ દિવસ બાબાસાહેબને શ્રદ્ધાંજલિ આપવાની સાથે દેશ પ્રત્યે આપણા સંકલ્પો, બંધારણે, એક નાગરિક તરીકે આપણા કર્તવ્યને નિભાવવાની જે શિખ આપણને આપી છે, તેનું પુનરાવર્તન કરવાનું છે. દેશના મોટા ભાગમાં શિયાળાની ઋતુ પણ જોર પકડી રહી છે. અનેક જગ્યાઓ પર બરફવર્ષા થઈ રહી છે. આ ઋતુમાં આપણે પરિવારના બાળકો અને વડિલોનું, બિમાર લોકોનું વિશેષ ધ્યાન રાખવાનું છે, પોતે પણ સાવધાની રાખવાની છે. મને ખુશી થાય છે, જ્યારે હું એ જોવું છું કે લોકો પોતાની આસપાસના જરૂરિયાતમંદોની પણ ચિંતા કરે છે. ગરમ કપડાં આપીને તેમની મદદ કરે છે. નિરાધાર પ્રાણીઓ માટે પણ શિયાળો ઘણી મુશ્કેલી લઈને આવે છે.

તેમની મદદ માટે પણ ઘણાં લોકો આગળ આવે છે. આપણી યુવા પેઢી આવા કાર્યોમાં બહુ વધુ સક્રિય હોય છે. સાથીઓ હવે પછી જ્યારે આપણે મન કી બાતમાં મળીશું તો 2020નું આ વર્ષ સમાપ્તિ તરફ હશે.

નવી આશાઓ, નવા વિશ્વાસ સાથે આપણે આગળ વધીશું. હવે જે પણ સૂચનો હોય, ideas હોય, તેને મારી સાથે ચોક્કસ વહેંચતા રહો. આપ બધાને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ, આપ બધા સ્વસ્થ રહો, દેશ માટે સક્રિય રહો. ખૂબ-ખૂબ ધન્યવાદ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp