ગુજરાત સરકારના 14000 કરોડના પેકેજમાં કોના માટે શું છે વિગતવાર જાણો

PC: khabarchhe.com

ગુજરાત સરકારના 14000 કરોડના પેકેજમાં કોને શું મળ્યું વિગતવાર જાણો

ગુજરાત સરકારે પોતાની એક પ્રેસ રીલિઝમાં કહ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વૈશ્વિક મહામારી કોરોના સંક્રમણની સ્થિતિમાં લોકડાઉનને કારણે જે પરિસ્થિતિ ઉદભવી છે તેમાંથી જનજીવન, વેપાર-ધંધા રોજગાર ઊદ્યોગ પૂન: ધબકતા કરવા રાજ્ય સરકાર 14 હજાર કરોડનું ગુજરાત આત્મનિર્ભર પેકેજ જાહેર કર્યુ છે.

ભારત સરકારના પૂર્વ નાણાં સચિવ ડૉ. હસમુખ અઢિયાના અધ્યક્ષ પદે રાજ્ય સરકારે જે કમિટિની રચના ઇકોનોમીક રિવાઇવલની ભલામણો સુચવવા કરી હતી. આ કમિટિએ તેનો ઇન્ટરીમ રિપોર્ટ રાજ્ય સરકારને ત્રણ દિવસ પહેલાં આપ્યો હતો. આ રિપોર્ટનો સર્વગ્રાહી તલસ્પર્શી અભ્યાસ કરીને રાજ્યના મંત્રીઓ, વરિષ્ઠ સચિવો, સમાજજીવનના આગેવાનો, ઊદ્યોગ-વેપાર મંડળો, વિવિધ સમાજવર્ગોના પ્રતિનિધિઓ સૌ સાથે મળીને ચર્ચા-વિચારણા પરામર્શની મેરેથોન ચિંતન બેઠકો કરી હતી તેની ફલશ્રુતિ રૂપે આ પેકેજ જાહેર કરાયું છે એમ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તથા મંત્રીઓ ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સૌરભ પટેલની ઉપસ્થિતિમાં આ પેકેજની મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે પેકેજ સમાજના કોઇ એકલ-દોકલ વર્ગ કે વ્યકિતઓને નહિ પરંતુ નાનામાં નાના, છેવાડાના ગરીબ વંચિત, પીડિત, શ્રમિક, નાના વેપારી, ઊદ્યોગ, ધંધા રોજગાર સૌના હિતની પ્રતિબદ્ધતા સાથે બનાવવામાં આવેલું ‘સબ સમાજકો લિયે સાથ મેં આગે હૈ બઢતે જાના’ની ભદ્ર ભાવનાવાળું પેકેજ છે.

 

સહાય/રાહત (રૂ. કરોડમાં)

વાણિજ્યિક એકમો જેવા કે દુકાનો, ઓફિસો, હોટેલ્સ, રેસ્ટોરન્ટ, દવાખાનાઓ અને નર્સિગ હોમ્સ વગરે ને વાર્ષિક પ્રોપર્ટી ટેક્સના ચુકવણામાં 20%ની રાહત

600

રહેણાંક મિલકતોના 31 જુલાઈ 2020 સુધી ચુકવવાના થતા વર્ષ 2020-21ના પ્રોપર્ટી ટેક્સમાં 10%ની રાહત

144

માસિક 200 યુનિટ કરતા ઓછો વીજ વપરાશ કરનાર રહેણાંક વીજ ગ્રાહકોનું વીજળી બીલમાં 100 યુનિટ ની માફી

650

વાણિજ્યિક વીજ ગ્રાહકો અને ઉદ્યોગો માટે લો ટ્રાન્સમિશન વીજ કનેકશન ધરાવતા ગ્રાહકો ને વીજ બિલમાં મે-2020નો ફિક્સ્‍ડ ચાર્જ માફી

200

નાની દુકાનો કરીયાણા, કાપડ, રેડીમેઇડ કપડા, મેડીકલ સ્ટોર, હાર્ડવેર, કલરકામ, પ્રોવિઝનલ સ્ટોર, કટલરી, વગેરે ને જુન, જુલાઇ અને ઓગષ્ટના એમ ત્રણ મહિના માટે લાગતો વીજકર 20 ટકાથી ઘટાડી 15 ટકા

80

હાઇ ટ્રાન્સમિશન ગ્રાહકોને ફિક્સ ચાર્જિસના મે મહિના ના ચુકવણા ની મુદતમાં  વધારો કરી સદર રકમ  સપ્ટેમ્બર  2020 થી ડિસેમ્બર 2020 એમ ચાર મહિનામાં વ્યાજ વગર સરખા ભાગે ચુકવવાની છુટ

 

400

કોન્ટ્રાકટ કેરેજ બસો તથા મેક્સી કેબના ઉદ્યોગ ધંધાને એપ્રિલ 2020 થી સપ્ટેમ્બર 2020 સુધી 6 મહિનાના ટેક્ષ ભરવામાં માફી

221

ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટસ માટે હંગામી ધોરણે ફિક્સડ વીજ બિલને માફી

5

 

 

ઉદ્યોગ વ્યવસાયો માટે પ્રોત્સાહક સબસીડી

ઔદ્યોગિક પ્રવૃત્તિને વેગવંતી બનાવવા માટે ઉદ્યોગને કેપીટલ અને વ્યાજ સબસીડીનું ચૂકવણું

768

ટેક્ષટાઇલ ઉદ્યોગોને કેપીટલ અને વ્યાજ સબસીડીનું ચૂકવણું

450

મેગા ઇન્ડસ્ટ્રીઝને પણ કેપીટલ અને વ્યાજ સબસીડીનું ચૂકવણું

150

રાજ્યના વધુ ઉદ્યોગ સાહસિકોને બાજપેયી બેન્કેબલ યોજનામાં સબસીડીની રકમનું  સત્વરે ચુકવણું

190

સોલર રૂફ ટોપ યોજના

190

ગુજરાત એગ્રો-ઈન્‍ડસ્ટ્રીઝ કાર્પોરેશનના માધ્યમથી એગ્રો & ફુડ પ્રોસેસીંગ એક્મો ને કેપીટલ અને વ્યાજ સબસીડી

90.00

વેટ-જીએસટી કાયદા હેઠળ વહીવટી સરળતા

રૂ. 10 કરોડથી ઓછુ વાર્ષિક ટર્ન-ઓવર ધરાવતા વેપારીઓના કિસ્સામાં આકારણી માટે આપવામાં આવેલ નોટિસ પરત ખેચવામાં આવશે

વેરા સમાધાન યોજના-2019 હેઠળ 15 માર્ચ 2020 સુધી પ્રથમ હપ્તો ભર્યો છે તેઓને ત્રણ માસની મુદત વધારી આપવામાં આવશે.

વેટ અને કેન્દ્રીય કાયદાકીય જોગવાઇઓ હેઠળની લોકડાઉન દરમ્યાન પૂરી થતી મર્યાદાઓ અને મનાઇ હુકમોની મુદત લંબાવવામાં આવશે

ગુજરાત ઔદ્યોગિક વસાહતોમાં ઉદ્યોગોને આર્થિક પ્રોત્સાહન અને વહીવટી સરળતા

 

સહાય/રાહત (રૂ. કરોડમાં)

જીઆઈડીસીને ફાળવણીદારો દ્વારા ભરપાઈ કરવાના થતા તા.31-03-2020 તથા તા.30-06-2020ના હપ્તાની ચુકવણીનો સમયગાળો છ મહિના માટે લંબાવી આપવામાં આવશે તેમજ વિલંબિત ચુકવણીના વ્યાજ તથા દંડનીય વ્યાજની વસુલાત કરવામાં આવશે નહિ અને બાકીના સમયગાળા માટે વિલંબિત ચુકવણીના વ્યાજની વસુલાત 7%ના રાહત દરે કરવામાં આવશે

41.10

ફાળવેલ પ્લોટ ઉપરની વિલંબીત વ્યાજ માફીની સમયમર્યાદા 30 જુન, 2020 સુધી વધારી આપવામાં આવશે

3.31

જીઆઇડીસી દ્વારા પ્લોટની ફાળવણીની કિંમતની સમીક્ષા સ્થગિત રાખવામાં આવશે.

60.43

ચાલુ વર્ષ 2020-21 માટે કોઇ વણવપરાશી રહેલ પ્લોટનો દંડ વસુલ લેવાનો રહેશે નહી

    60

નવા ઉદ્યોગોને જમીનની કિંમતની ચુકવણીમા સુવિધા મળી રહે તે માટે ત્રિમાસિક હપ્તાઓમાં ચુકવણુ કરવાની સુવિધા આપવામાં આવે છે. તેમજ તેમના હાલના વ્યાજ દરને 12% થી ઘટાડીને 10% કરવામાં આવશે

16.12

કોવિડ-19ને કારણે જીઆઇડીસીએ માર્ચ અને એપ્રિલ- 2020ના પાણીના બીલો પરના વ્યાજ તેમજ દંડનીય વ્યાજ માફ કરવાનો નિર્ણય

1.32

જીઆઇડીસીના ઉદ્યોગકારોના બાકી લેહણા માટે વન-ટાઇમ-સેટલમેન્ટ યોજના અમલમાં મૂકવામાં આવશે, વિલંબિત ચુકવણાના વ્યાજની રકમ 50% માફી અને દંડકીય વ્યાજની રકમ 100% માફી

133.00

જીઆઇડીસીના નોટીફાઇડ વિસ્તારના ઉદ્યોગકારોએ તેઓના તમામ વિલંબિત ચુકવણાના વ્યાજ ઉપર 50 ટકા વ્યાજ માફી

95.00

ચાલુ નાણાંકીય વર્ષમાં જીઆઇડીસી આ પ્રકારની તમામ મિલકતોનો વપરાશ શરૂ કરવા માટે  મોરેટોરિયમ પીરીયડ 1 વર્ષ વધારી આપવામાં આવશે

7.89

ઔદ્યોગિક પ્લોટનો મોરેટોરિયમ પીરીયડ પૂર્ણ થઇ ગયો છે કે જે ખુલ્લા હોય અથવા ઉત્પાદન શરુ કરવાનુ બાકી છે તેવા ઉદ્યોગકારો ઉત્પાદન તા.31-03-2022 સુધીમાં શરૂ કરે તે માટે ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવા વણવપરાશી દંડમાં માફીનો લાભ મેળવી શકે

 

સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને MSMEને પ્રોત્સાહન મળે તે માટે જીઆઇડીસી દ્વારા 3000 ચો.મી. સુધીના પ્લોટ ફાળવણી માટેની મળતી ઓનલાઇન અરજીઓને સમિતિ સમક્ષ મૂકયા વગર- પૂરાવા આધારિત ફાળવણીની મંજૂરી

 

2 વર્ષ કરતાં વધુ સમય માટે બંધ રહેલ હોય તો વણવપરાશી દંડ પ્રતિ વર્ષ 20 ટકાના સ્થાને ફકત 5 ટકા વસુલ કરવામાં આવશે

40.42

હાઉસિંગ ક્ષેત્ર

એફોર્ડેબલ હાઉસિંગ ક્ષેત્રમાં સબસિડી આપીને આ ક્ષેત્રને ચેતનવંતુ બનાવવામાં આવશે

1.60 લાખ મકાનો

1000 કરોડ

કૃષિ, પશુપાલન અને મત્સ્યોધ્યોગ

 

લાભાર્થી

સહાય/રાહત

(રૂ. કરોડમાં)

પાક ધિરાણ: ખેડુતોને ‘શુન્‍ય’ ટકા વ્યાજના દરે ધિરાણ મળશે. પાક ધિરાણ ઉપરનું 3% વ્યાજ ભારત સરકાર અને 4% વ્યાજ ગુજરાત સરકાર ચુકવશે.

24 લાખ

410.00

દેશી ગાય આધારિત કુદરતી ખેતી માટે ખેડુતને દર મહિને રૂ. 900 લેખે વાર્ષિક રૂ.10,800ની આર્થિક સહાય

61,574 ખેડુતો

66.50

કૃષિ અર્થતંત્રને વેગ આપવાના હેતુ સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ પધ્ધતિ દ્વારા જિવામૃત બનાવવા સારુ લાભાર્થીઓને નિદર્શન કિટમાં 75 ટકા સહાય

એક લાખ લાભાર્થીઓ

13.50

વિવિધ કુદરતી પરિબળોથી પાક ઉત્પાદન બાદનું નુકસાન અટકાવી કૃષિ અર્થવ્યવસ્થાને વધુ મજબુત બનાવવા મુખ્ય મંત્રી પાક સંગ્રહ યોજના અંતર્ગત ખેડૂતોને ખેતરમાં નાના ગોડાઉન (ઓન ફાર્મ સ્ટોરેજ સ્ટ્રકચર) બનાવવા માટે એકમ દીઠ રૂ.30,000 સહાય

1.2 લાખ

350

ખેડૂતોને હળવા ભારવાહક વાહનની ખરીદી માટે રૂ.50 હજાર થી 75 હજાર સુધીની સહાય.

10 હજાર

50

કુદરતી આફતો સમયે ખેતપેદાશોનેા રક્ષણ માટે બજાર સમિતિઓને 5000 મેટ્રિક ટન સુધીની ક્ષમતા ધરાવતા ગોડાઉન બનાવવા સહાય

-

100

ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ યોજનાને અનુરૂપ મત્સ્ય ઉદ્યોગ માટે જરુરી ફિશીંગ નેટ, ફિશીંગ બોટ, મત્સ્ય બીજ વગેરે 40 ઇનપૂટ સાધનો ખરીદવા માટે ની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે.

આ પેકેજને પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના સાથે સાંકળીને આ ક્ષેત્રે રાજ્યમાં રોજગારીની વિપુલ તકો.

1 લાખ માછીમાર

200

સ્વરોજગાર

 

લાભાર્થી

સહાય/રાહત

(રૂ. કરોડમાં)

આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના-2 હેઠળ નાના વેપારીઓ, મધ્યમ વર્ગની વ્યક્તિઓ, કારીગરો તથા શ્રમિકોને રૂપિયા 1 લાખથી વધુ અને મહત્તમ રૂપિયા 2.50 લાખની મર્યાદામાં સહકારી બેંકો તથા ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી મારફત ધિરાણ પ્રાપ્ત થશે.

3 લાખ

300

મહિલાઓને સ્વરોજગારી માટે પ્રોત્સાહન આપવા મહિલા ઉત્કર્ષ જૂથને ઝીરો ટકા દરે લોન મળી રહે તે માટે વ્યાજ સહાય

10 લાખ બહનો અને 1 લાખ

સ્વ-સહાય

200

સ્વરોજગાર મળે તે હેતુથી માનવ ગરિમા યોજનાની કીટનું વિતરણ કરવામાં આવશે

32000થી વધુ લાભાર્થીઓ

11.11

શ્રમિક કલ્યાણ

 

લાભાર્થી

સહાય/રાહત

(રૂ. કરોડમાં)

લારીવાળા નાના વ્યવસાયકારોને ગરમી, ઠંડી અને વરસાદથી રક્ષણ આપવા માટે તથા તેમની લારીઓમાં રાખવામાં આવતાં ફળફળાદી, શાકભાજી બગડી ન જાય તે માટે મોટી સાઇઝની છત્રીઓ આપવામાં આવશે

1 લાખ

10

અમદાવાદ,સુરત,વડોદરા અને રાજકોટના શ્રમિકોને કડિયાનાકા તેમજ કામના સ્થળે સિટી બસ મારફતે આવવા-જવા માટે મુસાફરી ખર્ચમાં સહાય

1,20,000 બાંધકામ શ્રમિકો

50

બાંધકામ શ્રમિકોના પત્ની તેમજ મહિલા બાંધકામ શ્રમિકોને બે બાળકો સુધી પ્રસૃતિ સહાય પેટે કુલ રૂ.27,500 આપવામાં આવશે

2500

6

જે આદિવાસી શ્રમિકોને પોતાનું આવાસ નથી તેવા શ્રમિકોને વતનમાં પાકુ ઘર બનાવવા માટે લાભાર્થીદીઠ રૂ. 35000 સબસીડી આપવામાં આવશે.

1લાખલાભાર્થીઓ

350

અન્ય રાહતો

 

લાભાર્થી

સહાય/રાહત (રૂ. કરોડમાં)

ગરીબ કુટુંબોને મફત અનાજ, ગરીબ કુટુંબોના બેંક ખાતામાં ડી.બી.ટી.થી રૂપિયા 1000 નું ચુકવણું, વૃધ્ધ સહાય પેન્શન, દિવ્યાંગ પેન્શન, વિધવા સહાય પેન્શનનું  આગોતરું ચુકવણુ વગેરે અનેકવિધ રાહતો

 

4375.68

પ્રોટીનયુકત આહાર મળી રહે તે માટે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ લાભાર્થીદીઠ વાર્ષિક 12 કિલોગ્રામ તુવેરદાળનું રાહત દરે વિતરણ

62લાખ કુટુંબો

300

લોકડાઉનના નિયંત્રણો પછી સોશીયલ ડિસ્ટન્સીંગના નિયમોનુ પાલન કરી જાહેર સેવા આપવાની થાય છે જેના કારણે એસ.ટી.ને સહાય

 

120

મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના સિરામિક ટાઇલ્સ ઉદ્યોગ માટે પ્રાકૃતિક ગેસ માં રાહત

1250 ઉદ્યોગ

30

મુખ્યમંત્રીએ જાહેર કરેલા રૂ. 14022 કરોડના ગુજરાત આત્મનિર્ભર પેકેજની વિસ્તૃત વિગતો આ મુજબ છે.

પ્રોપર્ટી ટેક્સ, વીજ બીલ અને વાહન કરમાં માફી અને રાહતો (રૂ. 2300 કરોડ)

વાણિજ્યિક એકમોને વર્ષ 2020-21ના વાર્ષિક પ્રોપર્ટી ટેક્સના ચુકવણામાં 20%ની માફી આપવામાં આવશે. રૂપિયા 600 કરોડની આ માફીનો લાભ રાજ્યના અંદાજિત 23 લાખ વાણિજ્યિક એકમોને મળશે. જેમાં શહેરી વિસ્તારના તમામ રહેણાંક મિલકતોના વર્ષ 2020-21ના ભરવાના થતા પ્રોપર્ટી ટેક્સજો 31 જુલાઈ 2020 સુધી ચુકવવામાં આવશે તો 10%ની માફી આપવામાં આવશે. જેનો લાભ અંદાજીત 72 લાખ પ્રોપર્ટી ધારકોને થશે અને તેમને રૂ. 144 કરોડની રાહત મળશે.

માસિક 200 યુનિટ કરતા ઓછો વીજ વપરાશ કરનાર રહેણાંક વીજ ગ્રાહકોનું 100 યુનિટનું વીજળી બીલ એક વખત માટે માફ કરવામાં આવશે. આથી રૂ. 650 કરોડ ના વીજ બીલ માફીનો લાભ રાજ્યના આશરે 92 લાખ વીજ ગ્રાહકોને મળશે.

અંદાજે 33 લાખ વાણિજ્યિક વીજ ગ્રાહકો અને ઉદ્યોગો માટે LT વીજ કનેકશન ધરાવતા વીજ ગ્રાહકોને વીજ બિલમાં મે-2020નો ફિક્સ્‍ડ ચાર્જ માફ કરવાનો નિર્ણય કર્યો છે. જેનાથી કુલ રૂ. 200 કરોડનો ચાર્જ માફ કરવામાં આવશે.

આ ઉપરાંત વીજળીનું HT(ઔધોગિક) કનેકશન ધરાવતા વીજ ગ્રાહકોને મે 2020ના ફિકસ ચાર્જિસનું રૂ. 400 કરોડનું ભારણ હાલમાં ન પડે તે હેતુથી આ ફિક્સ ચાર્જિસના ચુકવણા માટે મુદત વધારી સદર રકમ સપ્ટેમ્બર 2020 થી ડિસેમ્બર 2020 એમ ચાર મહિનામાં વ્યાજ વગર સરખા ભાગે ચુકવવાની છુટ આપવામાં આવે છે.

વિવિધ નાની દુકાનો જેવી કે કરીયાણા, કાપડ, રેડીમેઇડ કપડા, મેડીકલ સ્ટોર, હાર્ડવેર, કલરકામ, પ્રોવિઝનલ સ્ટોર, કટલરી, બેકરી, સ્ટેશનરી, મોબાઇલ શોપ્સ, ગેરેજ, શોપીંગ સેન્ટરો અને મોલમાં આવેલી દુકાનો તેમજ વિવિધ સેવાઓ જેવી કે વકીલો, ચાર્ટેડ એકાઉન્ટ, ટ્રાવેલ એજન્સીઓ, ટાન્સપોર્ટની ઓફિસો, કોચીંગ ક્લાસ, ફોટો સ્ટુડીઓ, બ્યુટી પાર્લર, સલુન ચલાવતા દુકાનદારોને કોરોના મહામારીના સમયમાં લોકડાઉનના કારણે આવક થઇ ન હતી.

આથી તેમને આર્થિક રાહત આપવાના હેતુથી જુન, જુલાઇ અને ઓગષ્ટના એમ ત્રણ મહિના માટે લાગતો વીજકર 20 ટકાથી ઘટાડી 15 ટકા કરવામાં આવશે. આનો લાભ રાજયના 30 લાખ જેટલા દુકાનદારો / વેપારીઓ / કારીગરોને મળશે. આ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા રૂ. 80 કરોડની આર્થિક રાહત આપવામાં આવશે.

લોક ડાઉનના કારણે નાગરિકોને પરિવહન માટે નિયંત્રણ હોવાથી ખાનગી લક્ઝરી બસો (કોન્ટ્રાકટ કેરેજ બસો) તથા જીપ, ટેક્ષી (મેક્સી કેબ)ના વગેરેના ધંધાને ઘણી મોટી અસર થઇ છે. આવા સંજોગોમાં તેમને 1લી એપ્રિલ-2020 થી 30 સપ્ટેમ્બર-2020 સુધીના 6 મહિનાના રોડ ટેક્સ ભરવામાં સંપૂર્ણ માફી આપવામાં આવશે. જે અંતર્ગત 63 હજાર વાહન ધારકોને રૂ. 221 કરોડની રોડ ટેક્સ માફી મળશે.

આ ઉપરાંત રાજ્યના માર્ગ અને મકાન, સિંચાઇ, પાણી પુરવઠા અને નર્મદા જેવા વિભાગોના સરકારી કામો માટે કોન્ટાક્ટરોને હંગામી ધોરણે વીજ કનેક્શન આપવામાં આવે છે. લોકડાઉન દરમ્યાન પ્રોજેક્ટનું કામ બંધ હોવાથી આ દરમિયાન ચાર્જ કરવામાં આવેલ ફિક્સ્ડ વીજ બિલને માફ કરીને રૂ.5 કરોડની સહાય આપવામાં આવશે.

ઉદ્યોગ વ્યવસાયો માટે પ્રોત્સાહક સબસીડી (રૂ.3,038 કરોડ)

રાજ્યમાં કોવિડ-19ની મહામારીની પરિસ્થિતિને કારણે ધીમી પડેલી ઔધોગિક પ્રવૃત્તિને વેગવંતી બનાવવા માટે રૂ.768 કરોડની કેપીટલ અને વ્યાજ સબસીડીનું 31 જુલાઇ 2020 સુધીમાં ચૂકવણું કરવામાં આવશે. જેના કારણે ઉદ્યોગોને નાણા ભીડમાંથી મોટી રાહત મળશે.

રાજ્યમાં ઔધોગિક ક્ષેત્રે ટેક્સટાઇલ ઉદ્યોગ મહત્ત્વનું સ્થાન ધરાવે છે તેમજ વિપુલ પ્રમાણમાં રોજગારી પુરી પાડે છે. આવા ટેક્સટાઇલ ઉદ્યોગોને રૂ. 450 કરોડ કેપીટલ અને વ્યાજ સબસીડીનું ચૂકવણું 31 જુલાઇ 2020 સુધીમાં કરવામાં આવશે.

કોવિડ-19ની મહામારીની વિકટ પરિસ્થિતિમાં રાજ્યના તમામ પ્રકારના ઔધોગિક એકમોને લાભ મળી રહે તે જરુરી છે. જે અન્વયે મેગા ઇન્ડસ્ટ્રીઝને પણ રૂ.150 કરોડ કેપીટલ અને વ્યાજ સબસીડીનું 31 જુલાઇ 2020 સુધીમાં ચૂકવણું કરવામાં આવશે.

રાજ્યના 3200 કરતા વધુ વેપારીઓને રૂ.1,200 કરોડનું પડતર વેટ અને GST રિફંડ 31 જુલાઇ 2020 સુધીમાં ચુકવવામાં આવશે જેથી આ વેપારીઓને નાણાં ભીડમાંથી રાહત મળશે.

રાજ્યના 27 હજારથી વધુ ઉદ્યોગ સાહસિકોને બાજપેયી બેન્કેબલ યોજનામાં રૂ.190 કરોડની સબસીડીની રકમ 31 જુલાઇ 2020 સુધીમાં ચુકવવામાં આવશે.

સોલાર રુફ ટોપ યોજના હેઠળની 65000 કુટુંબો માટેની રુા. 190 કરોડની સબસીડી 31 જુલાઇ 2020 સુધીમાં આપવામાં આવશે.

ગુજરાત એગ્રો-ઈન્‍ડસ્ટ્રીઝ કાર્પોરેશનના માધ્યમથી એગ્રો અને ફુડ પ્રોસેસીંગ એક્મોને રૂ.90 કરોડની કેપીટલ અને વ્યાજ સબસીડી 31 જુલાઇ 2020 સુધીમાં આપવામાં આવશે.

વેટ-GST કાયદા હેઠળ વહીવટી સરળતાઃ

ગુજરાત વેટ કાયદા હેઠળ વર્ષ 2016-17 અને તા.01.04.2017થી તા.30.06.2017 સુધીની આકારણીની કામગીરીમાં રૂા.10 કરોડથી ઓછું વાર્ષિક ટર્નઓવર ધરાવતા વેપારીઓના કિસ્સામાં આકારણી માટે આપવામાં આવેલ નોટીસ પરત ખેંચવામાં આવશે. આ વેપારીઓ પૈકી આંતરરાજ્ય વેચાણો ધરાવતા વેપારીઓના કિસ્સામાં કેન્દ્રીય કાયદા મુજબ માત્ર ધારાકીય ફોર્મ પુરતી જ આકારણી હાથ ધરાશે.

આ પગલાંથી એક લાખથી વધુ કરદાતાઓને લાભ થશે. પરંતુ અન્વેષણના કેસો, બોગસ બિલિંગના કેસો, વેરાશાખમાં વિસંગતતા હોય તેવા કેસો, રિફંડનાં કેસો, જે કિસ્સાઓમાં અગાઉ મોટી રકમનું માંગણું ઉપસ્થિત થયું હોય તેવા અને જે કિસ્સામાં મોટી રકમની વેરાશાખ જી.એસ.ટી.માં તબદીલ કરી હોય તેવા તમામ કેસોમાં નિયમિત આકારણી હાથ ધરાશે.

વેરા સમાધાન યોજના-2019 હેઠળ 15 માર્ચ 2020 સુધી પ્રથમ હપ્તો ભર્યો છે તેઓને ત્રણ માસની મુદત વધારી આપવામાં આવશે. આ યોજનાથી આશરે 26 હજાર વેપારીઓને લાભ મળશે. વેટ અને કેન્દ્રીય કાયદાકીય જોગવાઇઓ હેઠળની લોકડાઉન દરમ્યાન પૂરી થતી મર્યાદાઓ અને મનાઇ હુકમોની મુદત લંબાવવામાં આવશે.

ગુજરાત ઔદ્યોગિક વસાહતોમાં ઉદ્યોગોને આર્થિક પ્રોત્સાહન અને વહીવટી સરળતા (રૂ. 458.59 કરોડ)

જીઆઇડીસીના ઉદ્યોગકારોના બાકી લેહણા માટે વન-ટાઇમ-સેટલમેન્ટ યોજના અમલમાં મૂકવામાં આવશે. આ યોજના અંતર્ગત, ઉદ્યોગકારોએ તેઓના તમામ વિલંબિત ચુકવણાના વ્યાજની રકમ 50% માફી અને દંડકીય વ્યાજની રકમ 100% માફી મેળવવા માટે તમામ ચુકવણા ચોક્કસ સમયમર્યાદામાં ભરપાઈ કરવાના રહેશે. આ યોજનાથી ઉદ્યોગકારોને રૂપિયા 133 કરોડની રાહત મળશે.

જીઆઇડીસીના નોટીફાઇડ વિસ્તારના ઉદ્યોગકારોએ તેઓના તમામ વિલંબિત ચુકવણાના વ્યાજ ઉપર 50 ટકા વ્યાજ માફી મેળવવા માટે તમામ ચુકવણા ચોક્કસ સમયમર્યાદામાં ભરપાઈ કરવાના રહેશે. આ યોજના અંતર્ગત 15315 ઉદ્યોગકારોને રૂ.95 કરોડની રાહત મળશે.

જી.આઇ.ડી.સી. દ્વારા પ્રતિ વર્ષ 2 ટકા લેખે વણવપરાશી દંડ વસુલ લેવામાં આવે છે. ચાલુ વર્ષ 2020-21 માટે કોઇ વણવપરાશી રહેલ પ્લોટનો દંડ વસુલ લેવાનો રહેશે નહી. સદર નીતિથી અંદાજે રૂ.60 કરોડની રાહત આપવામાં આવશે. જેનો 3733 ઉદ્યોગકારોને લાભ મળશે.

જીઆઇડીસીમાં આવેલ યુનિટ કે જે બે વર્ષ કરતાં વધુ સમય માટે બંધ રહેલા હોય તો વણવપરાશી દંડ પ્રતિ વર્ષ 20 ટકાના સ્થાને ફકત 5 ટકા વસુલ કરવામાં આવશે. વધુમાં આ પ્રકારના કિસ્સાઓમાં તબદીલી ફી ઓછી કરી 15 ટકાના સ્થાને 10 ટકા વસુલવામાં આવશે. જે અન્વયે 1991 ઉદ્યોગકારોને રૂ. 40.42 કરોડનો લાભ મળશે.

જીઆઈડીસીને ફાળવણીદારો દ્વારા ભરપાઈ કરવાના થતા તા.31-03-2020 તથા તા.30-06-2020ના હપ્તાની ચુકવણીનો સમયગાળો છ મહિના માટે લંબાવી આપવામાં આવશે. વધુમાં, માર્ચ થી જુનનો સમયગાળો સૌથી વધુ અસરગ્રસ્ત હોઈ આ ત્રિ-માસિક સમયગાળા માટે વિલંબિત ચુકવણીના વ્યાજ તથા દંડનીય વ્યાજની વસુલાત કરવામાં આવશે નહિ. આ નિર્ણયથી ઉદ્યોગોને રૂ. 26.80 કરોડની રાહત મળશે. જી.આઈ.ડી.સી. દ્વારા બાકીના સમયગાળા માટે વિલંબિત ચુકવણીના વ્યાજની વસુલાત 7%ના રાહત દરે કરવામાં આવશે જેનાથી ઉદ્યોગોને રૂપિયા 14.30 કરોડની રાહત મળશે. જેનાથી 3100 ઉદ્યોગકારોને લાભ થશે.

લોકડાઉનની પરિસ્થિતિના કારણે જીઆઇડીસી દ્વારા કેટલાક ઉદ્યોગકારો ફાળવેલ પ્લોટના આંશિક /કુલ રકમ ભરપાઇ કરી શકયા નથી. આ ફાળવેલ પ્લોટ ઉપરની વિલંબીત વ્યાજ માફીની સમયમર્યાદા 30 જુન, 2020 સુધી વધારી આપવામાં આવશે. જેનાથી 518 ફાળવેલ પ્લોટના લાભાર્થીઓને રૂ.3.31 કરોડની રાહતનો લાભ મળશે.

વર્ષ 2020-21 માટેની જીઆઇડીસી દ્વારા પ્લોટની ફાળવણીની કિંમતની સમીક્ષા સ્થગિત રાખવામાં આવશે. આ નિર્ણયથી 727 નવા ઉદ્યોગ સાહસિકોને જમીન સસ્તા ભાવે ઉપલબ્ધ કરાવી શકાશે જેનાથી અંદાજે રૂ. 38.98 કરોડની રાહત મળશે. વધુમાં, આ નિર્ણયથી જીઆઇડીસીની વસાહતોમાં હયાત ઉદ્યોગોને ફાળવણીદર આધારિત વિવિધ ફી તથા ચાર્જીસમાં અંદાજિત રૂ.21.45 કરોડની રાહત મળશે. જેના થકી 2700 ઉદ્યોગકારોને લાભ મળશે.

આ ઉપરાંત જીઆઇડીસી દ્વારા નવા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિતના કરવાના ઉદેશથી નવા ઉદ્યોગોને જમીનની કિંમતની ચુકવણીમાં સુવિધા મળી રહે તે માટે ત્રિમાસિક હપ્તાઓમાં ચુકવણુ કરવાની સુવિધા આપવામાં આવે છે. અગ્રણી રાષ્ટ્રીયકૃત બેંકો દ્વારા સુક્ષ્મ, લઘુ તથા મધ્યમ કદના ઉદ્યોગોને કરવામાં આવતા ધિરાણના સરેરાશ વ્યાજ દરને ધ્યાને લેતાં નિગમ દ્વારા હાલના વ્યાજ દરને 12% થી ઘટાડીને 10% કરવામાં આવશે. જેનાથી 727 ઉદ્યોગકારોને લાભ થશે. આ ઘટાડાથી રૂ.16.12 કરોડની વ્યાજની રાહત આપવામાં આવશે.

ઉદ્યોગોને માસિક પાણીના વપરાશના બીલના ચુકવણા માટે 15 દિવસનો સમય આપવામાં આવે છે. કોવિડ-19ને કારણે જીઆઇડીસીએ પાણીના બીલો પરના વ્યાજ તેમજ દંડનીય વ્યાજ માફ કરવાનો નિર્ણય કર્યો છે. માર્ચ અને એપ્રિલ 2020ના પાણીના બીલો પરના વ્યાજ તથા દંડનીય વ્યાજની રકમ રૂ.1.32 કરોડ થાય છે. જે પૈકી નોટીફાઇડ વિસ્તારમાં સમાવિષ્ટ ઉદ્યોગોના પાણીના બીલો પરના વ્યાજ તેમજ દંડનીય વ્યાજ રૂ. 0.52 કરોડ થાય છે, જેનો લાભ 19267 ઉદ્યોગોને મળવાપાત્ર થશે.

કોવિડ-19ને કારણે ઉદભવેલ પરિસ્થિતિમાં જીઆઇડીસી દ્રારા કામચલાઉ મોબાઈલ (સ્થળાંતર થઈ શકે તેવા) અથવા ભવિષ્યમાં દુર કરી શકાય તેવા બાંધકામને જે તે ઔદ્યોગિક પ્લોટ પર મજુરોને રહેણાંકની સુવિધા માટે લોકડાઉનની માર્ગદર્શિકાને સંતોષવા/ પુર્ણ કરવા લોકડાઉન પુરૂ થાય ત્યાં સુધી અથવા માર્ચ- 2021 બે માંથી જે વહેલુ હોય ત્યાં સુધી મંજૂરી આપવામાં આવશે.

જીઆઇડીસી દ્ધારા ઉદ્યોગકારોને પ્લોટની ફાળવણી કરવામાં આવે છે, જેમાં ઉદ્યોગકારને પ્લોટનો વપરાશ શરુ કરવા 3-4 વર્ષનો સમયગાળો આપવામાં આવે છે. જો આ મોરેટોરિયમ પીરીયડ દરમિયાન કોઇ કારણસર મિલકતનો ઉપયોગ કરવામાં આવેલ ન હોય તો ઉદ્યોગકાર ધ્વારા મિલકતના વપરાશની સમયમર્યાદા વધારી આપવા જીઆઇડીસીને રજૂઆત કરવામાં આવે છે.

આ પ્રકારના કિસ્સાઓમાં જીઆઇડીસી મોરેટોરિયમ પીરીયડ 1-2 વર્ષ વણવપરાશી દંડની રકમ વસુલ લઇ વધારી આપે છે. ચાલુ નાણાંકીય વર્ષમાં જીઆઇડીસીઆ પ્રકારની તમામ મિલકતોનો વપરાશ શરૂ કરવા માટે મોરેટોરિયમ પીરીયડ 1 વર્ષ વધારી આપવામાં આવશે. જેના કારણે 352 ઉદ્યોગકારોને રુ. 7.89 કરોડની રાહત મળશે.

હાલ જીઆઇડીસીના 1635 ઔદ્યોગિક પ્લોટનો મોરેટોરિયમ પીરીયડ પૂર્ણ થઇ ગયો છે કે જે ખુલ્લા હોય અથવા ઉત્પાદન શરુ કરવાનુ બાકી છે તેવા ઉદ્યોગકારો ઉત્પાદન તા.31-03-2022 સુધીમાં શરૂ કરે તે માટે ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવા વણવપરાશી દંડમાં માફીનો લાભ મેળવી શકે છે. જો ઉદ્યોગકાર તેમ કરવામાં નિષ્ફળ જાય છે તો તેવા સંજોગોમાં તમામ વણ વપરાશી સમયગાળા માટે વણવપરાશી દંડ વસુલ લેવામાં આવશે.

સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો- MSME ને પ્રોત્સાહન મળે તે માટે જીઆઇડીસી દ્વારા 3000 ચો.મી. સુધીના પ્લોટ ફાળવણી માટેની મળતી ઓનલાઇન અરજીઓને સમિતિ સમક્ષ મૂકયા વગર રજૂ કરાયેલ દસ્તાવેજી પૂરાવા આધારિત ફાળવણીની મંજૂરી આપવામાં આવશે. આનો લાભ 1428 લાભાર્થીઓને મળશે.

જીઆઇડીસીમાં આવેલી અનસેચ્યુરેટેડ વસાહતોમાં લગત પ્લોટ ફાળવણી માટે મળતી અરજીઓમાં વસાહતની પ્રવર્તમાન વિતરણ કિંમતના 20 ટકા પ્રીમિયમ એકીસાથે વસૂલ લઇ ફાળવણી કરવામાં આવે છે.

આ વસાહતોમાં કોઇપણ પ્રકારનું વધારાનું પ્રીમિયમ વસૂલ્યા સિવાય હયાત ઉદ્યોગકારોને તેમના ઉદ્યોગોના વિસ્તરણ માટે લગત પ્લોટની ફાળવણી વસાહતના પ્રવર્તમાન વિતરણ દર મુજબ કરવામાં આવશે.

હાઉસિંગ સેક્ટર (રૂ. 1,000 કરોડ)

હાઉસિંગ ક્ષેત્ર રાજ્યની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ સમાન છે. આ ક્ષેત્રમા થતા કામોથી લોકોને ઘરનું ઘર તો મળે જ છે સાથે સાથે કડિયા કામ, સુથારીકામ, રંગકામ, ટાઇલ્સનું કામ, ફર્નિચર એવા અનેકવિધ કામો દ્વારા લાખો લોકોને રોજગારી પણ મળે છે.

તદુપરાંત સિમેન્ટ, સ્ટીલ અને અન્ય રો-મટિરિયલના ઉત્પાદન અને વપરાશથી અર્થવ્યવસ્થા મજબૂત થાય છે.

આથી, બાંધકામ પ્રવૃત્તિને વેગ આપવા એફોર્ડેબલ હાઉસિંગ ક્ષેત્રમાં એક લાખ સાઇઠ હજાર મકાનો માટે રૂપિયા 1000 કરોડની સબસિડી આપીને આ ક્ષેત્રને ચેતનવંતુ બનાવવામાં આવશે.

કૃષિ, પશુપાલન અને મત્સ્યોધ્યોગ (રૂ. 1,190 કરોડ)

રાજ્યના 24 લાખ ખેડૂતોને 39 હજાર કરોડ રુપિયાનું ટુંકી મુદતનું પાક ધિરાણ શુન્ય ટકા વ્યાજ દરે સહકારી બેન્કો, રાષ્ટ્રીયકૃત બેન્કો વગેરે મારફતે આપવામાં આવે છે. તેનું સંપૂર્ણ 7% વ્યાજ સરકાર (4% ગુજરાત સરકાર અને 3% ભારત સરકાર) ચુકવે છે. લોકડાઉનના કારણે આ ધિરાણના રીપેમેન્ટની મુદત સરકાર દ્વારા પાંચ મહિના વધારી આપવામાં આવી છે. જે માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. 410 કરોડની ફાળવણી કરવામાં આવશે.

દેશી ગાય આધારિત કુદરતી ખેતી માટે ખેડુતને દર મહિને રૂ.900 લેખે વાર્ષિક રૂ.10,800ની આર્થિક સહાય આપવારૂ.66.50 કરોડઆપવામાં આવશે. જે અંતર્ગત 61,574 ખેડુતોને સહાય કરવામાં આવશે.

કૃષિ અર્થતંત્રને વેગ આપવાના હેતુ સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ પધ્ધતિ દ્વારા જિવામૃત બનાવવા સારુ લાભાર્થીઓને નિદર્શન કિટમાં 75 ટકા સહાય આપવા રૂ.13.50 કરોડ ફાળવવામાં આવશે. જેનાથી એક લાખ ખેડુતોને લાભ થશે.

વિવિધ કુદરતી પરિબળોથી પાક ઉત્પાદન બાદનું નુકસાન અટકાવી કૃષિ અર્થવ્યવસ્થાને વધુ મજબુત બનાવવા મુખ્ય મંત્રી પાક સંગ્રહ યોજના અંતર્ગત ખેડૂતોને ખેતરમાંનાના ગોડાઉન (ઓન ફાર્મ સ્ટોરેજ સ્ટ્રકચર) બનાવવા માટે એકમ દીઠ રૂ.30,000 સહાય આપવા રૂપિયા 350 કરોડ ફાળવવામાં આવશે.

ખેડૂતોને હળવા ભારવાહક વાહનની ખરીદી માટે રૂ.50 હજારથી 75 હજાર સુધીની સહાય આપવા માટે રૂ.50 કરોડ ફાળવવામાં આવશે.

કુદરતી આફતો સમયે ખેતપેદાશોનેા રક્ષણ માટે બજાર સમિતિઓને 5000 મેટ્રિક ટન સુધીની ક્ષમતા ધરાવતા ગોડાઉન બનાવવા સહાય આપવા માટે રૂ. 100 કરોડ ફાળવવામાં આવશે.

તાજેતરમાં ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ યોજનાને અનુરૂપ મત્સ્ય ઉદ્યોગ માટે જરુરી ફિશીંગનેટ, ફિશીંગબોટ, મત્સ્યબીજ વગેરે 40 ઇનપૂટ સાધનો ખરીદવા માટે રૂ.200કરોડની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે.

આમ, પેકેજને પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના સાથે સાંકળીને આ ક્ષેત્રે રાજ્યમાં રોજગારીની વિપુલ તકો ઊભી કરવામાં આવશે.

સ્વરોજગાર (રૂ. 525 કરોડ)

આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના-2 હેઠળ નાના વેપારીઓ, મધ્યમ વર્ગની વ્યક્તિઓ, કારીગરો તથા શ્રમિકોને રૂપિયા 1 લાખથી વધુ અને મહત્તમ રૂપિયા 2.50 લાખની મર્યાદામાં સહકારી બેંકો તથા ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી મારફત ધિરાણ પ્રાપ્ત થશે. રાજ્ય સરકાર દ્વારા વાર્ષિક 4 ટકા વ્યાજ સહાય આપવામાં આવશે, જ્યારે બાકીના 4 ટકા વ્યાજ લાભાર્થીએ ચૂકવવાનું રહેશે.

આ ધિરાણ લાભાર્થીઓને ત્રણ વર્ષની મુદત માટે આપવામાં આવશે, જે પૈકી પ્રથમ છ માસ નો સમયગાળો મોરેટોરીયમ પિરિયડ ગણાશે. આથી લાભાર્થીને 6 માસ દરમિયાન કોઈ હપ્તો ભરવાનો રહેશે નહીં. ત્યારબાદ લાભાર્થી દ્વારા ધિરાણની રકમ 4 ટકાના વ્યાજ સહિત 30 સરખા માસિક હપ્તામાં પરત ચૂકવવાની રહેશે. આ માટે રુા. 300 કરોડ ફાળવવામાં આવશે.

મહિલાઓને સ્વરોજગારી માટે પ્રોત્સાહન આપવા મહિલા ઉત્કર્ષ જૂથને ઝીરો ટકા દરે લોન મળી રહે તે માટે વ્યાજ સહાય આપવા રૂ.200 કરોડની ફાળવણી કરવામાં આવશે.

32 હજારથી વધુ લાભાર્થીઓને સ્વરોજગાર મળે તે હેતુથી માનવ ગરિમા યોજનાની કીટનું વિતરણ કરવામાં આવશે જેનો અંદાજિત ખર્ચ રૂા.25 કરોડ થશે.

શ્રમિક કલ્યાણ (રૂ. 466 કરોડ)

આદિવાસી ખેતમજૂરો કે આદિવાસી બાંધકામ શ્રમિકો પોતાના વતનમાંથી અન્ય જીલ્લામાં રોજગારી મેળવવા માટે જાય છે. જે આદિવાસી શ્રમિકોને પોતાનું આવાસ નથી તેવા શ્રમિકોને વતનમાં પાકુ ઘર બનાવવા માટે લાભાર્થીદીઠ રૂ. 35000 સબસીડી આપવામાં આવશે. 1 લાખ લાભાર્થીઓ માટે રૂ. 350 કરોડની ફાળવણી કરવામાં આવશે.

લારીવાળાનાના વ્યવસાયકારોને ગરમી, ઠંડી અને વરસાદથી રક્ષણ આપવા માટે તથા તેમની લારીઓમાં રાખવામાં આવતાં ફળફળાદી, શાકભાજી બગડી ન જાય તે માટે મોટી સાઇઝની છત્રીઓ આપવા માટે રૂ.10 કરોડની ફાળવણી કરવામાં આવશે.

અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના અંદાજે 1,20,000 બાંધકામ શ્રમિકોને શ્રમિકોને કડિયા નાકા તેમજ કામના સ્થળે સિટી બસ મારફતે આવવા-જવા માટે મુસાફરી ખર્ચમાં સહાય આપવા રૂ.50 કરોડની ફાળવણી કરવામાં આવશે.

ધન્વન્તરી આરોગ્ય રથ યોજના અંતગર્ત બાંધકામ શ્રમિકોને આરોગ્ય વિષયક સુવિધાઓ માટે વધુ 20 આરોગ્ય રથની સુવિધા પુરી પાડવા રૂ.25 કરોડની ફાળવણી કરવામાં આવશે.

બાંધકામ શ્રમિકોના પત્ની તેમજ મહિલા બાંધકામ શ્રમિકોને બે બાળકો સુધી પ્રસૃતિ સહાય પેટે કુલ રૂ.27,500 આપવા માટે રૂ.6 કરોડની ફાળવણી કરવામાં આવશે.

રાજ્યમાં મોટાપ્રમાણમાં અન્ય રાજ્યોમાંથી શ્રમિકો રોજગારી અર્થે આવે છે. બે માસના લોકડાઉનના કારણે આ પ્રવાસી શ્રમિકોને તેમના વતનમાં પરત મોકલવા માટે રૂ. 25 કરોડ ફાળવવામાં આવ્યા છે.

અન્ય રાહતો (રૂ. 5,044.67 કરોડ)

કોરના વાઇરસની અસામાન્ય પરીસ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા પ્રજા હિતને પ્રાધ્યાન્ય આપીને તબક્કાવાર રાહતના સંખ્યાબંધ પગલાઓ જાહેર કરવામાં આવ્યા છે. તે અંતર્ગત ગરીબ કુટુંબોને મફત અનાજ, ગરીબ કુટુંબોના બેંક ખાતામાં ડી.બી.ટી.થી રૂપિયા 1000 નું ચુકવણું, વૃધ્ધ સહાય પેન્શન, દિવ્યાંગ પેન્શન, વિધવા સહાય પેન્શનનું આગોતરું ચુકવણુ વગેરે અનેકવિધ રાહતોનો સમાવેશ થાય છે. આ રાહતો માટે રૂ.4374.67 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

પ્રોટીનયુકત આહાર મળી રહે તે માટે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ લાભાર્થીદીઠ વાર્ષિક 12 કિલોગ્રામ તુવેરદાળનું રાહત દરે વિતરણ કરવા માટે રૂ.300 કરોડની ફાળવણી કરવામાં આવશે.

કોવિડ-19 પરિસ્થિતિનો સામનો કરવા માટે મુખ્ય મંત્રી રાહત નિધીમાંથી આરોગ્ય વિભાગને રુા. 100 કરોડ ફાળવવામાં આવશે.

તેમજ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, મહાનગર પાલીકાઓને અનુક્રમે રુા. 50 કરોડ, રુા. 15 કરોડ રુા. 10 કરોડ અને રુા. 10 કરોડ ફાળવવામાં આવશે. જ્યારે ભાવનગર, જામનગર અને ગાંધીનગર મહાનગર પાલિકાને પ્રત્યેકને રુા. 5 કરોડ ફાળવવામાં આવશે.

કોવિડ-19 પરિસ્થિતિને કારણે રાજ્યની જાહેર પરિવહન સેવાને પણ ગંભીર આર્થિક અસર થઇ છે. લોકડાઉનના નિયંત્રણો પછી સોશીયલ ડિસ્ટન્સીંગના નિયમોનુ પાલન કરી જાહેર સેવા આપવાની થાય છે જેના કારણે એસ.ટી.ને સહાય સ્વરુપે રૂ.120 કરોડ ફાળવવામા આવશે.

મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના સિરામિક ટાઇલ્સ ઉદ્યોગમાં મુખ્યત્વે પ્રાકૃતિક ગેસનો ઉપયોગ થાય છે. ગેસના દરોમાં જૂન માસ માટે રાહત આપવામાં આવશે. જેથી હજારોની સંખ્યામાં રોજગારી આપતા આ એકમો ધમધમતા બનશે. આ માટે રૂ. 30 કરોડ ફાળવવામાં આવશે.

અલંગ શીપ યોર્ડમાં વાર્ષિક લીઝ રકમમાં ચાલુ વર્ષ માટે 30 ટકાની માફી આપવામાં આવશે. જેનાથી રૂ. 20 કરોડનો લાભ મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp