CMની જાહેરાતઃ આ તારીખથી સુજલામ સુફલામ જળ અભિયાનનો ચોથો તબક્કો યોજાશે

PC: Khabarchhe.com

ગુજરાત સરકારની પ્રેસ રીલિઝ મુજબ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતને પાણીદાર-વોટર સરપ્લસ સ્ટેટ બનાવી જળ સમૃદ્ધ ગુજરાતની પ્રતિબદ્ધતા સાથે શરૂ કરાવેલા સુજલામ સુફલામ જળ અભિયાનનો ચોથો તબક્કો તા.1 એપ્રિલ-2021 થી શરૂ થશે. મુખ્યમંત્રીએ રાજ્યના જળસંપત્તિ વિભાગને આગામી તા.1 એપ્રિલ-2021થી તા.31-5-2021 દરમ્યાન આ રાજ્યવ્યાપી અભિયાન હાથ ધરવા મંજૂરી આપી છે. આ સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત જળસંગ્રહના મહત્ત્વના કામોમાં તળાવો ઊંડા કરવા, હયાત ચેકડેમના ડિસીલ્ટીંગ અને રિપેરીંગ, હયાત જળાશયોનું ડિસીલ્ટીંગ, તળાવોના પાળા અને વેસ્ટ વિયરનું મજબૂતીકરણ, નહેરોની સાફસફાઇ, મરામત-જાળવણી તેમજ નદી, વોકળા, કાંસની સાફસફાઇને નદી પૂન: જિવીત કરવી જેવા વિવિધ કામો હાથ ધરવામાં આવે છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 2018ના વર્ષથી રાજ્યમાં શરૂ કરાવેલા આ જળ સમૃદ્ધિ અભિયાન સુજલામ-સુફલામ જળ અભિયાન અન્વયે છેલ્લા 3 વર્ષમાં રાજ્યભરમાં જળસંગ્રહ સ્ત્રોતની સાફ-સફાઇ અને વૃદ્ધિ કરવાના કામોમાં 16,170 તળાવો ઊંડા કરવામાં આવ્યા છે. એટલું જ નહિ, 8107 ચેકડેમ અને 46ર જળાશયોના ડિસીલ્ટીંગ, રર39 ચેકડેમના રિપેરીંગ, પ68 નવા તળાવોનું નિર્માણ અને 1079 નવા ચેક ડેમ મળીને સમગ્રતયા 41,488 કામો કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત 38,323 કિ.મી. લંબાઇમાં નહેરોની અને 5113 કિ.મી. લંબાઇમાં કાંસની સફાઇ કરવામાં આવેલી છે. આ બધા જ કામોની સફળતાને પગલે છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યમાં 42,064 લાખ ઘનફૂટ જળસંગ્રહ ક્ષમતા વધી છે. સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત થયેલા આ કામો અને સારા વરસાદને પગલે રાજ્યમાં વિશાળ જળસંગ્રહ થવાથી ભૂગર્ભ જળસ્તર પણ ઊંચા આવ્યા છે. મુખ્યમંત્રીએ 2020ના વર્ષમાં કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે પણ આ જળસંગ્રહ અભિયાન માટે રાજ્ય સરકારના તંત્રને પ્રોત્સાહિત કરતાં તા.20 એપ્રિલ-2020થી તા.10 જૂન-2020 સુધીના માત્ર 51 દિવસના ટુંકાગાળામાં સુજલામ સુફલામ જળ અભિયાનના ત્રીજા તબક્કામાં 11,072 કામો લોકભાગીદારીથી અને મનરેગા હેઠળ હાથ ધરી 30 લાખથી વધારે માનવદિન રોજગારી ઉત્પન્ન કરવામાં આવી હતી.

હવે આ અભિયાનનો ચોથો તબક્કો તા. 1 એપ્રિલ-2021થી તા.31 મે-2021 દરમ્યાન રાજ્યભરમાં યોજાવાનો છે. સુજલામ સુફલામ જળ અભિયાનના કામો અંતર્ગત ખોદાણમાંથી મળતી માટીનો વપરાશ આસપાસના પ્રગતિ હેઠળના સરકારી કામો, ખેડૂતોના ખેતરમાં તેમજ જાહેર કામોમાં કરવામાં આવશે અને આ માટીના વપરાશ બદલ કોઇ પણ રોયલ્ટી ખેડૂતોએ ચુકવવાની રહેશે નહિ, તેમ પણ મુખ્યમંત્રીએ સૂચવ્યું છે.

મુખ્યમંત્રીએ એવા સ્પષ્ટ દિશાનિર્દેશો પણ આપેલા છે કે, આ સુજલામ સુફલામ જળઅભિયાન-4 ના કામોમાં કોવિડ-19 કોરોના વાયરસ સંદર્ભે સરકાર દ્વારા આપવામાં આવતી સૂચનાઓ, માર્ગદર્શિકાઓ તેમજ ભવિષ્યમાં પણ આ અંગે અપાનારી સૂચનાઓનું પાલન કરવાનું રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp