કોરોના કાળમાં ધનવાન દેશોની લાલચે લીધા 10 લાખ કરતા વધુના જીવઃ સ્ટડી

PC: hopkinsmedicine.org

દુનિયા કેટલી મતલબી અને સ્વાર્થી બની ગઈ છે, તેનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે, કોરોના કાળમાં આખી દુનિયામાં 10 લાખ કરતા વધુ લોકોના મોત માત્ર વેક્સિનની જમાખોરીના કારણે થયા છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, કોરોના કાળ દરમિયાન વધુમાં વધુ વેક્સિન પોતાની પાસે રાખવાની દેશોની લાલચના કારણે આશરે 13 લાખ લોકોના અનાવશ્યક મોત થયા છે જ્યારે, ધનવાન દેશોએ બાદમાં બચેલી વેક્સિનને બરબાદ જ કરી અથવા તો તે એક્સ્પાયર થઈ ગઈ. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જો ધનવાન દેશ વેક્સીનની બીજા દેશો સાથે શેરિંગની વાત પર ધ્યાન આપતે તો આ મોતનો આંકડો ઓછો થઈ શકતો હતો અને કોરોનાના નવા વેરિયન્ટ પણ ના બનતે.

જર્નલ નેચર મેડિસિનમાં પ્રકાશિત નવા સંશોધનમાં એ વાતનો દાવો કરવામાં આવ્યો છે કે, કરોના વેક્સિનના મામલામાં કેટલાક દેશોએ માણસના જીવન કરતા વધુ પોતાના ફાયદાને મહત્ત્વ આપ્યું, જેનું પરિણામ એ આવ્યું કે સમગ્ર દુનિયામાં 1.3 મિલિયન (આશરે 13 લાખ) લોકો અનાવશ્યકરીતે મોતના મુખમાં પહોંચી ગયા, તેમજ 300 મિલિયન એટલે કે આશરે 30 કરોડ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા. સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે, ધનવાન દેશોએ કોરોના વેક્સિનની જમાખોરી કરી, એટલું જ નહીં, તેને બરબાદ થવા દીધી અને સમગ્ર દુનિયામાં કોરોનાનો તાંડવ ચાલવા દીધો અને આ પ્રકારે અટકાવી શકાતા મોતને થવા દીધા. એટલું જ નહીં, કોરોના કાળને લાંબો કરવા અને તેના સબ વેરિયન્ટના ફેલાવામાં પણ પોતાના ફાયદા માટે ધનવાન દેશોનું યોગદાન છે.

152 વિવિધ દેશોના ગણિતીય મોડલ ક્રંચિંગ ડેટાનો ઉપયોગ કરતા યૂકેના કોવેન્ટ્રીમાં વારવિક યુનિવર્સિટીના મહામારી વિજ્ઞાનીઓએ મહામારીની શરૂઆતથી 2021ના અંત સુધી કોરોના વેક્સિન વિતરણમાં અંતરને રેખાંકિત કર્યું છે. એક્સપર્ટની ટીમને પોતાની શોધમાં જણાયુ કે વેક્સીનના વિતરણમાં ઘણો તફાવત હતો. કેટલાક દેશોના 90 ટકા કરતા વધુ વયસ્કોએ વેક્સિન લઈ લીધી હતી જ્યારે, કેટલાક દેશોમાં માત્ર 0.9 ટકા લોકોને જ વેક્સિન મુકી શકાઈ હતી. અહીં તેની પાછળ બધો ખેલ પૈસા અને ગરીબ-ધનવાન દેશોની વચ્ચેના તફાવતનો હતો.

શોધમાં કહેવામાં આવ્યું છે કે, કોરોના વેક્સિનના વિતરણમાં જરૂરિયાત કરતા વધુ ધનને મહત્ત્વ આપવામાં આવ્યું. સ્ટડીના લીડ ઓથર સેમ મૂરે અને તેમના સહયોગિઓએ કહ્યું કે, અમને જણાયુ કે, વધુ વેક્સિન શેર કરવાથી બીમારીનો કુલ વૈશ્વિક બોજ ઓછો થઈ શકતો હતો. અમને શોધમાં સ્પષ્ટ રીતે જાણવા મળ્યું કે, ભવિષ્યમાં આવશ્યકતાને બદલે ધનના અનુપાતમાં વેક્સિનનું વિતરણ તમામ માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આ પ્રકારના વિતરણે માત્ર સ્થાનિક સ્તર પર જ નહીં પરંતુ ઈન્ટરનેશનલ લેવલ પર પણ ગંભીર પરિણામ પડે છે.

WHOના અનુમાન અનુસાર, દુનિયાભરમાં અનુમાનિત આશરે 630 મિલિયન કોરોના સંક્રમણના કેસ આવ્યા છે અને 6.5 મિલિયન કરતા વધુ મોત થયા છે. WHO અનુસાર, આશરે 12.8 બિલિયન વેક્સિનના ડોઝ લોકોને લગાવવામાં આવ્યા છે, પરંતુ તે કોરોનાને વધતો રોકવા માટે પર્યાપ્ત નથી. સમગ્ર દુનિયામાં કોરોના કાળમાં વેક્સિન માટે હાહાકાર મચ્યો હતો. મોટાભાગના ગરીબ દેશોમાં સમય પર વેક્સિન એટલા માટે ના પહોંચી શકી કારણ કે, તેમની પાસે પૈસા નહોતા.

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ઘણા દેશ વેક્સિનનો ખર્ચ ઉઠાવવામાં સક્ષમ નહોતા. એટલું જ નહીં, વેક્સિન પ્રાપ્ત કરવાની રાહમાં બૌદ્ધિક સંપદા કાયદો અને પેટન્ટ પણ એક મોટી મુશ્કેલી હતી, જેના કારણે ઘણા ગરીબ દેશોમાં વેક્સિનના અભાવમાં લોકો કોરોનાથી મરતા ગયા અને તેનાથી સંક્રમિત થતા ગયા. દરમિયાન, ઘણા ધનવાન દેશોએ પોતાના વેક્સિન ડોઝને બરબાદ કરવા જ યોગ્ય સમજ્યું, જેને કારણે તેમણે એ વેક્સિન ફેંકવા માટે મજબૂર થવુ પડ્યું છે. છેલ્લાં કેટલાક મહિના સ્વિટ્ઝર્લેન્ડે મોડર્ના વેક્સિનના 90 લાખ ડોઝ ફેંકી દીધા જ્યારે, ઓસ્ટ્રેલિયામાં તેમના વેક્સિન ભંડારમાં આશરે પાંચમો હિસ્સો બરબાદ થઈ ગયો. જોકે, અમેરિકા હજુ પણ આ મામલામાં ટોપ પર છે. અમેરિકામાં ડિસેમ્બર 2020 અને મે 2022ની વચ્ચે 82 મિલિયન કરતા વધુ વેક્સિનના ડોઝ બરબાદ થયા છે.

જો કેટલાક ધનવાન દેશો દ્વારા વેક્સિનને લઈને બેદરકારી દાખવવામાં ના આવતે અને વધુ વ્યાપકરીતે વેક્સિનને અન્ય દેશો સાથે શેર કરવામાં આવતે તો કદાચ દુનિયાભરમાં કોરોનાથી 1.3 મિલિયન મોતને અટકાવી શકાતે. દુનિયાની દરેક સરકાર ઈચ્છતી હતી કે તેમના દેશના નાગરિકો સુધી કોરોના વેક્સિન વહેલામાં વહેલી પહોંચે જેથી સંક્રમણ અને તેનાથી થતા મોતના જોખમને ઓછું કરી શકાય. આના માટે WHOની આગેવાનીમાં બનેલા એક પ્લાન અંતર્ગત 76 ધનવાન દેશોએ સહીં કરી હતી. આ પ્લાન અંતર્ગત કોરોનાની વેક્સિન ખરીદવી અને તેના ડિસ્ટ્રીબ્યૂશનની વાત થઈ હતી જેથી, તમામને એ વેક્સીન મુકી શકાય. આ પ્લાનને COVAX નામ આપવામાં આવ્યું હતું. જો ધનવાન દેશ વેક્સીનને શેર કરતે તો તેમને પણ ફાયદો થતે અને કોરોનાના નવા વેરિયન્ટથી પણ બચી શકાતે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp