1200 વર્ષ જૂનું મા ખોડલનું મંદિર, જ્યાં ત્રિશૂલની ઊંચાઈ વધતી હોવાની માન્યતા

PC: twitter.com

સમગ્ર ગુજરાતમા દેવી-દેવતાઓના ઘણા મંદિરો આવેલા છે. માન્યતા છે કે સતયુગમા સૃષ્ટિ પર દેવી-દેવતા રહેતા હતા. તેમની ઔલિકીક ગાથાઓ આજે પણ પૃથ્વી પર પ્રચલિત છે. જેમાંથી એક ખોડિયાર માતાના પ્રાગટ્ય વિશેની કથા રસપ્રદ છે. લોકવાણી અનુસાર મા ખોડલનું મૂળ નામ જાનબાઈ હતું. તેમની અન્ય છ બહેનનાં નામ આવળ, જોગળ, તોગળ, બીજબાઇ, હોલાઇ અને સોસાઇ હતાં. જ્યારે તેમના માતાનું નામ દેવળબા અને પિતાનું નામા મામળિયા હતું.

સૌનાં દુ:ખ હરતા અને સૌનું સાંભળતા ખોડિયાર માતાજી દરેક ભક્તોની મનોકામના પુર્ણ કરે છે. લોકો અહીં ચાલીને આવવાની માનતા પણ રાખે છે. અહીં ચૈત્રી અને આસો નવરાત્રિ ઉપરાંત અષાઢી બીજ ધામધૂમથી ઉજવવામાં આવે છે.

વરખડીના ઝાડ નીચે આવેલું માતાજીનું મંદિર મુખ્ય આકર્ષણ છે. અહીં એક ત્રિશૂલ દર વર્ષે એક ઈંચ જેટલું વધતું હોવાની પણ માન્યતા છે. આ ઉપરાંત માટેલ ગામમાં મંદિરમાં પ્રવેશ થતાં પહેલા માટેલ ધરો આવે છે. ખોડિયાર માતાના દર્શન કર્યા બાદ ધરાનું પાણી ભક્તો માથે અવશ્ય ચઢાવે છે. માટેલિયા ધરામાં ભરઉનાળામાં પણ પાણી ખૂટતું નથી. પાણીને ગાળ્યા વગર જ પીવાની પ્રથા છે. લોકવાણી મુજબ, ધરામાં મોતાજીનું સોનાનું મંદિર પણ આવેલું છે.

લોકવાણી મુજબ, ખોડિયાર માતાજીનું મંદિર 1200 વર્ષ જૂનું છે. મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના માટેલ ગામે આવેલું ખોડિયાર માતાજીનું મંદિર ભક્તોમાં શ્રદ્ધાની જ્યોત જલાવી રહ્યું છે. ગુજરાતમાં ખોડિયાર માતાજીનાં મુખ્ય ત્રણ મંદિરો છે. જેમાં ધારી પાસે ગળધરા, ભાવનગર પાસે રાજપરા અને વાંકાનેર પાસે માટેલ ગામે આવેલાં છે. ત્રણેય મંદિર પાણીના ધરાની બાજુમાં આવેલા છે.

માટેલમાં ઊંચી ભેખડ પર વરખડીના ઝાડ નીચે ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. થોડોક ઢોળાવ ચડીને મંદિરે જવાય છે. મંદિરમાં માતાજીનાં બે સ્થાનક છે. જૂના સ્થાનકમાં ખોડિયાર માતાજીની મૂર્તિ ઉપર સોના-ચાંદીના છત્ર ઝૂમે છે. બાજુમાં ખોડિયાર માતાજીની આરસ પથ્થરની સુંદર મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. અહીં ભક્તો ચાંદલો અને ચૂંદડી અર્પણ કરે છે.

મૂળ ભાવનગરના વલ્લભીપુર પાસે રોહિશાળા ગામના ચારણ એવા ખોડિયાર માતાજી પિતાને પહેલા કોઈ સંતાન ના હોવાથી લોકો વાંઝિયાનું મહેણું મારતા હતા. આ જ કારણે વલ્લભીપુરના રાજા શિલાદિત્ય સાથેની તેમની મિત્રતા તૂટી ગઈ. આ વાતથી ખૂબ લાગી આવતાં મામળિયા ભગવાન શિવની આરાધના કરવા નીકળી ગયા.

દરમિયાન મામળિયાની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન શિવજીએ તેમને વરદાન આપ્યું કે પાતાળલોકના નાગદેવતાની સાત પુત્રીઓ અને નાગપુત્ર તમારા ઘરે જન્મ લેશે. દંતકથા અનુસાર, મહાસુદ આઠમના દિવસ દેવળ બાએ ઘરમાં આઠ પારણાં મૂક્યાં. જે સાત પુત્રીઓ અને એક પુત્રથી ભરાઈ ગયાં.

દંતકથા અનુસાર, સાત બહેનના એકના એક ભાઈ ''મેરખિયાને'' ઝેરી સાપે દંશ માર્યો. કોઈએ ઉપાય સૂચવ્યો કે સૂર્ય ઊગે એ પહેલાં પાતાળરાજા પાસેથી અમૃતકુંભ લઈને આવો તો જીવ બચી શકે. આવડ માતાની આજ્ઞાથી જાનબાઈ કુંભ લેવા ગયા.

સવારે સૂર્ય ઊગવાની થોડીક જ વાર હતી જાનબાઈ ન આવતાં આવડ માતાથી બોલાઈ ગયું કે જાનબાઈ ક્યાંક ખોડાઈ તો નથી ગયા ને? એટલું બોલ્યા ત્યાં જાનબાઈ આવ્યા ને તેમનો પગ ખોડાઈ ગયો, અને એ રીતે જાનબાઈનું નામ પડ્યું ખોડિયાર... મગરની સવારી કરીને આવેલા ખોડિયાર માતાએ અમૃતકુંભથી ભાઈને સજીવન કર્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp