સુરતમાં કૂતરાના કરડવાથી 28 વર્ષીય યુવકનું સારવાર દરમિયાન મોત

PC: khabarchhe.com

સુરતમાં રખડતા ઢોર બાદ હવે રખડતા કૂતરાનો આતંક વધી રહ્યો છે. શહેરમાં રખડતા કૂતરાના હુમલાથી વધુ એક યુવાનનું મોત નીપજ્યું હોવાની માહિતી મળી છે. 28 વર્ષીય યુવકને શ્વાને બચકાં ભરતા તે બીમાર થયો હતો. આથી યુવકને શહેરની સ્મિમેર હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હોવાની માહિતી મળી છે.

માહિતી મુજબ, સુરતમાં રહેતા 28 વર્ષીય રાજન નામના યુવક પર આઠેક દિવસ પહેલા રખડતા શ્વાને હુમલો કર્યો હતો. આ પહેલા ફેબ્રુઆરી મહિનામાં પણ યુવક પર રખડતા શ્વાને હુમલો કરી બચકાં ભર્યા હતા. રખડતા કૂતરાના હુમલા બાદથી યુવક બીમાર રહેતો હતો. આથી તેને શહેરની સ્મિમેર હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું છે. જોકે પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ જાણી શકાશે તેમ હોસ્પિટલ તંત્ર દ્વારા જણાવાયું છે.

નોંધનીય છે કે, આ પહેલા સુરતના ખજોદ વિસ્તારમાં 2 વર્ષની બાળકીને રખડતા શ્વાને 40થી વધુ બચકાં ભર્યા હતા. આથી બાળકીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન બાળકીનું મોત નીપજ્યું હતું. એવી જ અન્ય એક ઘટના શહેરના ભેસ્તાન વિસ્તારમાં બની હતી. જ્યાં રખડતા શ્વાને 5 વર્ષના બાળકને બચકાં ભરી હુમલો કર્યો હતો. આથી બાળકને ગંભીર ઇજાઓ થઈ હતી. તેનું પણ સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. જો કે રખડતા કૂતરાના હુમલાના કિસ્સા વારંવાર સામે આવતા લોકોમાં ડરનો માહોલ છે. જ્યારે બીજી તરફ તંત્રની ઘોર બેદરકારી સામે પણ લોકો સવાલ ઉઠાવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp