CMએ કહ્યું- ત્રીજી લહેર જો સંભવત: આવી પડે તો ગુજરાતમાં આગોતરું આયોજન કરાશે

PC: khabarchhe.com

CM વિજય રૂપાણીએ કોરોના કોવિડ-19ની થર્ડ વેવ આગામી દિવસોમાં આવી શકે તેવી દુનિયાના મેડીકલ એક્સપર્ટ્સ દ્વારા કરેલી સંભાવનાઓને પગલે ગુજરાતમાં પણ તેનો સતર્કતા-સજ્જતાથી સામનો કરવાના આગોતરા આયોજન રૂપે ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કર્યુ હતું. વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં મુખ્યમંત્રીએ રાજ્ય સરકારની કોવિડ ટાસ્ક ફોર્સના તજજ્ઞ તબીબો તેમજ GBRCના વૈજ્ઞાનિકો અને મંત્રીઓ વરિષ્ઠ સચિવો સાથે ભાવિ રણનીતિ ઘડવા અંગે ત્રણ કલાક ચાલેલી આ બેઠકમાં વિસ્તૃત ચર્ચાઓ હાથ ધરી હતી.

મુખ્યમંત્રીએ આ બેઠકમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, કોરોના સંક્રમણમાં આ બીજી લહેરમાં છેલ્લા એક સપ્તાહથી કેસોની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો થયો છે અને અગાઉના 14000 કેસોથી ઘટીને 11 હજાર જેટલી સંખ્યા થઇ ગઇ છે. તેમણે આ સંદર્ભમાં ઉમેર્યુ કે, રાજ્ય સરકાર, તબીબી જગત અને જનસહયોગના સહિયારા પ્રયાસોથી આપણે આ પરિણામ મેળવી શકયા છીયે.

‘હવે, ત્રીજી લહેર જો સંભવત: આવી પડે તો ગુજરાતમાં આગોતરું આયોજન કરીને મેડીકલ પ્રોટોકોલ, ટ્રીટમેન્ટ, ઓક્સિજન વ્યવસ્થા, હોસ્પિટલોમાં બેડ તેમજ ઇન્ફ્રાસ્ટ્રકચરને વધુ સુદ્રઢ બનાવવા અંગે આપણે માઇક્રોપ્લાનીંગ સાથેનો એકશન પ્લાન ઘડવો પડશે’ એમ મુખ્યમંત્રીએ તજજ્ઞ તબીબો સાથેની ચર્ચામાં જણાવ્યું હતું. વિજય રૂપાણીએ કહ્યું કે, કોરોના સંક્રમણ નિયંત્રણ અને સારવારનો પહેલી લહેર અને બીજી લહેરનો જે અનુભવ, સારવાર પદ્ધતિ આપણી પાસે છે તના આધાર ઉપર ત્રીજી સંભવિત વેવમાં ઓછામાં ઓછા લોકો સંક્રમિત થાય, મૃત્યુદર પણ સાવ ઓછો રહે એ દિશામાં પ્રયત્નશીલ રહેવાની આવશ્યકતા છે.

તેમણે થર્ડ વેવથી બચવા-રક્ષણ મેળવવા રાજ્યમાં મોટાપાયે લોકોનું વેકસીનેશન થાય તે માટે તજજ્ઞ તબીબો પ્રચાર-પ્રસારમાં રાજ્ય સરકાર સાથે જોડાય તેવી અપિલ પણ કરી હતી. આ ટાસ્કફોર્સ કમિટિની ઉચ્ચસ્તરીય બેઠકમાં મ્યુકોરમાયરોસીસના રોગચાળા અને તેની સારવાર અંગે પણ ચર્ચા હાથ ધરાઇ હતી.

રાજ્યના 9 જેટલા વરિષ્ઠ નિષ્ણાંત તબીબોની ટાસ્ક ફોર્સના સભ્યો પૈકી વિશ્વપ્રસિદ્ધ કાર્ડિયોલોજિસ્ટ અને એપેક્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદના ચેરમેન પદ્મ ડૉ. તેજસ પટેલ, ઇન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક હેલ્થ, ગાંધીનગરના ડાયરેક્ટર ડૉ. દિલીપ માવલંકર, ઝાયડસ હોસ્પિટલ, ઈન્ફેક્સિયશ ડિસિઝ કન્સલ્ટન્ટ અને સ્ટર્લીંગ હોસ્પિટલ અમદાવાદના ઇન્ફેક્શન ડિવિઝનના ડાયરેક્ટર ડૉ. અતુલ પટેલ, જાણીતા પલ્મોનલૉજીસ્ટ અને સ્ટર્લિંગ હોસ્પિટલના ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડૉ. તુષાર પટેલ, એપોલો હોસ્પિટલના ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડૉ. મહર્ષિ દેસાઈએ બેઠકમાં સહભાગી થઇને કોવિડ પ્રોટોકોલ તથા લાઇન ઓફ ટ્રીટમેન્ટ વિશે પોતાના અનુભવો શેર કર્યા હતા અને સૂચનો પણ કર્યા હતા.

આ ટાસ્ક ફોર્સના તબીબો અગાઉ પણ રાજ્ય સરકારને કોવિડ પ્રોટોકોલ, ટ્રીટમેન્ટ પ્રોટોકોલ, મેડીસીન મેનેજમેન્ટ વિગેરે અંગે જરૂરીયાત મુજબ માર્ગદર્શન અને સેવાઓ આપતા રહ્યા છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp