- National
- એક શાકભાજી વેચનાર 11 કરોડની લોટરી જીત્યો, પૈસા ઉછીના લઈને ઇનામની રકમ લેવા પંજાબ ગયો
એક શાકભાજી વેચનાર 11 કરોડની લોટરી જીત્યો, પૈસા ઉછીના લઈને ઇનામની રકમ લેવા પંજાબ ગયો
જ્યારે કોઈની પાસે અચાનક ઘણા બધા પૈસા આવી જાય તો આપણે સામાન્ય રીતે એવું કહીએ છીએ કે, 'શું તમને કોઈ લોટરી લાગી કે?' રાજસ્થાનના એક શાકભાજી વેચનાર સાથે પણ કંઈક આવું જ બન્યું. વિચિત્ર વાત તો એ છે કે, જ્યારે શાકભાજી વેચનારને તેણે જીતેલા રૂ. 11 કરોડ લેવા માટે બોલાવવામાં આવ્યો, ત્યારે તેની પાસે ત્યાં જવા માટે પણ પૈસા નહોતા. તેને રૂ. 11 કરોડ લેવા માટે પંજાબ જવું પડે તેમ હતું. આ પછી, એક મિત્રએ તેને મદદ કરી, અને તે ઇનામ લેવા માટે પંજાબ જઈ શક્યો. ચાલો આપણે સંપૂર્ણ વિગત જાણી લઈએ.

અમિત સેહરા રાજસ્થાનના જયપુરમાં રહે છે. મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, તે લારી પર શાકભાજી વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. થોડા સમય પહેલા, તેણે પંજાબના ભટિંડામાં એક દુકાનમાંથી લોટરી ટિકિટ ખરીદી હતી. આ લોટરીનું નામ પંજાબ સ્ટેટ લોટરી-દિવાળી બમ્પર 2025 હતું. લોટરીના પરિણામો 31 ઓક્ટોબરે જાહેર થયા હતા, અને અમિત સેહરાએ રૂ. 11 કરોડ જીત્યા હતા. ખુશી વ્યક્ત કરતા અમિતે કહ્યું, 'ઉપરવાળાએ મને ખુબ મોટી ભેટ આપી છે. હું આ જીતથી ખૂબ ખુશ છું. હવે મારી બધી સમસ્યાઓનો અંત આવશે. મારી પરિસ્થિતિ સુધારી જશે.' મંગળવારે, અમિત, તેની પત્ની અને બે બાળકો સાથે, ચંદીગઢમાં પંજાબ સ્ટેટ લોટરી ઓફિસમાં પહોંચ્યા, જ્યાં તેમને જીતેલી રકમના 11 ચેક આપવામાં આવ્યા.

કૌન બનેગા કરોડપતિમાં જ્યારે કોઈ મોટી રકમ જીતે છે, ત્યારે અમિતાભ બચ્ચન તેમને પૂછતા હોય છે, 'તમે આટલી મોટી રકમનું શું કરશો?' હવે, અમિત સેહરાએ તો 11 કરોડ રૂપિયા જીતી લીધા છે. આ પ્રશ્ન પૂછવામાં આવતા, તે કહે છે કે, તે જીતેલા પૈસા તેના બે બાળકોના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે તેમના શિક્ષણ પર ખર્ચ કરશે.

પરંતુ આ વાર્તામાં અમિતનો એક મિત્ર પણ છે. તે જ મિત્ર જેણે તેને પંજાબ જવા માટે મદદ કરી હતી. તેના કારણે જ અમિત પંજાબ પહોંચી શક્યો અને લોટરીના પૈસા મેળવી શક્યો. તેથી, કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે, અમિતે તેના મિત્ર મુકેશને પણ 1 કરોડ રૂપિયા આપવાનું નક્કી કર્યું છે. આ એક ઉદાહરણ છે કે, કેવી રીતે એક નાની મદદ કોઈનું ભાગ્ય બદલી શકે છે. સેહરાની વાર્તા દર્શાવે છે કે નસીબ સામાન્ય માણસના જીવનમાં તેનું નસીબ ક્યારેય પલટી જઈ શકે છે.

સૌથી રસપ્રદ વાત એ છે કે, ઇનામ જાહેર થયા પછી અમિતનો સંપર્ક કરવો મુશ્કેલ હતો. લોટરી ટિકિટ ખરીદતી વખતે તેણે પોતાનો મોબાઇલ નંબર આપ્યો હતો, પરંતુ ત્યારપછી તેનો મોબાઇલ ફોન ખરાબ થઈ ગયો, જેના કારણે તેનો નંબર બંધ હતો. લોટરી વિભાગ અને ટિકિટ વેચનારએ તેને શોધવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ આખરે અમિતે સામેથી તેઓનો સંપર્ક કર્યો અને પોતાનો દાવો રજૂ કર્યો.

