- Opinion
- શું ડે. સીએમ. હર્ષ સંઘવી યોગી આદિત્યનાથની કામ કરવાની સ્ટાઇલ કોપી કરે છે?
શું ડે. સીએમ. હર્ષ સંઘવી યોગી આદિત્યનાથની કામ કરવાની સ્ટાઇલ કોપી કરે છે?
શું ગુજરાતના યુવા ઉપ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અને હિંદુત્વનો ચહેરો ગણાતા યોગી આદિત્યનાથથી પ્રભાવિત છે. શું તેઓ તેમની સ્ટાઇલને કોપી કરે છે. કે પછી તેમની કામ કરવાની પોતાની સ્ટાઇલ છે. આવો સવાલ હર્ષ સંઘવીને એક ખાનગી ચેનલના કાર્યક્રમમાં પત્રકારે પૂછ્યો તો તેમનો જવાબ રસપ્રદ હતો. તેમના જવાબમાંથી શું સૂર નીકળે છે તે તો તમે આ રિપોર્ટ વાંચ્યા પછી જ જાણી શકશો.
થોડા દિવસ અગાઉ એક ખાનગી નેશનલ ચેનલના કોનક્લેવમાં હર્ષ સંઘવીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હર્ષ સંઘવીની રાજકારણમાં એન્ટ્રીથી લઇને હાલ સુધીની તેમની સફરના સવાલો પૂછાયા હતા.

ડે. સીએમને પૂછાયું કે તમારી રાજકીય પ્રગતિ ખૂબ જ ઝડપી થઇ છે અને ધારાસભ્યથી મંત્રી અને પછી સીધા ડે. સીએમ બની ગયા. તો હર્ષ સંઘવીએ આનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપતા કહ્યું કે તેમણે ઘણા યુવાનોને તક આપી છે. તેમણે આ અંગે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નબીનનો દાખલો પણ આપ્યો.
હર્ષ સંઘવીને જ્યારે પૂછાયું કે તેઓ ચંડોળા તળાવથી લઇને જંગલેશ્વર સુધી બુલડોઝરો મોકલી ડિમોલિશન કરાવે છે. એન્કાઉન્ટર બંધ થઇ ગયા હતા તે હવે શરૂ થઇ ગયા છે. ગુનેગારોને પગમાં ગોળી મારવામાં આવે છે. શું તે આ બધુ કરવા માટે યોગીથી પ્રેરણા લે છે કે પછી હર્ષ સંઘવીની પોતાની જ સ્ટાઇલ છે.
આ અંગે જવાબ આપતા સંઘવીએ કહ્યું કે ચંડોળા તળાવથી લઇને જંગલેશ્વર બધે જ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયા હતા. ઘણા બાંગ્લાદેશીયો ત્યાંથી પકડાયા હતા. ડ્રગ્સના અડ્ડા બની ગયા હતા. એટલે ત્યાં ડિમોલિશન કરવું જરૂરી હતું. તેમણે એમ પણ કહ્યું કે ચંડોળા તળાવ હવે લોકોને હરવા ફરવાની જગ્યા બની જશે.
તેમને એમ પૂછાયું કે તમે કહ્યું કે કોઇ સલીમ સુરેશ બનીને મારા રાજ્યની દીકરીઓને છેતરશે તો નહીં ચલાવી લેવાય તો આ માત્ર સલીમ માટે જ કેમ. તો તેમણે કહ્યું કે મારૂં આખું વાક્ય તમે બતાવતા જ નથી. મેં કોઇ સુરેશ સલીમ બનશે તો પણ નહીં ચલાવીએ તેમ કહ્યું છે. આ ઉપરાંત લગ્ન માટે છોકરા છોકરીએ માતા પિતાની પરવાનગી લેવાના વિષય પર પૂછાયેલા સવાલમાં સંઘવીએ કહ્યું કે માતા-પિતા જો ન માને તો છોકરા છોકરી લગ્ન ન કરી શકે તેવું નથી. માત્ર માતા-પિતાના અજાણતા લગ્ન ન થઇ શકે તેવો જ નિયમ લાવવામાં આવ્યો છે.

જોકે, પત્રકારે બીજા એક સવાલમાં ફરી તેમને પૂછ્યું કે શું તેઓ યોગી આદિત્યનાથથી પ્રેરણા લઇને આ બધુ કરી રહ્યા છે તો તેમણે કહ્યું કે મારા સિનિયર્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પહેલાથી જ ગુજરાતના સુરક્ષિત અને સમૃદ્ધ બનાવીને ગયા છે. હું તો માત્ર તેમાં ટોપિગ્સં નો ઉમેરો કરી રહ્યો છે. આ રીતે તેમણે કહી દીધું કે યોગી આદિત્યનાથ પણ ગુજરાત મોડેલને જ અનુસરી રહ્યા છે. તેમનાથી પ્રેરણા લેવાની જરૂર નથી. ગુજરાતમાંથી કેન્દ્રમાં ગયેલા નેતાઓ પહેલાથી જ અહીં પ્રેરણા પૂરી પાડી ગયા છે.
આ ઇન્ટરવ્યૂ ઉપરાંત જો હર્ષ સંઘવીનું રાજકારણ જોઇએ તો યોગી આદિત્યનાથથી પ્રેરિત ભલે ન હોય પરંતુ હિંદુત્વનો ચહેરો બનવાની દિશામાં તો જરૂર છે. તેઓ ગણેશ ઉત્સવ વખતે સતત મીડિયામાં ચમકે છે. નવરાત્રિ વખતે સતત નિવેદનો આપતા રહે છે. સલીમ અને સુરેશની વાત કરતા રહે છે. લવ જેહાદને ગુજરાતમાં કોઇ સ્થાન નથી. આવા નિવેદનો સતત આપતા રહે છે. એટલે નેશનલ મીડિયા પણ તેમને સતત ચમકાવે છે અને ભવિષ્યના સીએમ તરીકે પ્રોજેક્ટ કરવાનો કોઇ મોકો છોડતું નથી.

