- Politics
- લગ્ન નોંધણીના કાયદામાં સુધારા અંગે ચૈતર વસાવા બોલ્યા- ‘આદિવાસી દીકરીઓ સાથે લગ્ન કરીને તેનો ઉપયોગ અના...
લગ્ન નોંધણીના કાયદામાં સુધારા અંગે ચૈતર વસાવા બોલ્યા- ‘આદિવાસી દીકરીઓ સાથે લગ્ન કરીને તેનો ઉપયોગ અનામત બેઠકો પર..’
આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત વિધાનસભાના સત્રમાં નિયમ-44 હેઠળ લગ્ન નોંધણીના કાયદામાં મોટા સુધારાની જાહેરાત કરી છે. આ સુધારા અંતર્ગત સરકારે 30 દિવસમાં જનતા અને ધારાસભ્યો પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા છે. આ મામલે ડેડિયાપાડાના AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસી દીકરીઓની સુરક્ષાને લઈને આકરા પ્રહારો કર્યા છે.
ચૈતર વસાવાએ કહ્યું- ‘હું સૂચન આપીશ કે, હજારો આદિવાસી દીકરીઓની મજબૂરીનો લાભ લઈને અન્ય જ્ઞાતિઓમાં લઈ જવામાં આવે છે. ઘણીવાર 'લવ જેહાદ' જેવી વાતો કરીને દીકરીઓને લલચાવવામાં આવે છે. અમારો હેતુ છે કે અમારી દીકરીઓ સુરક્ષિત રહે અને તેમની મજબૂરીનો કોઈ ફાયદો ન ઉઠાવે.
તેમણે કહ્યું કે, આદિવાસી દીકરીઓ સાથે લગ્ન કરીને તેનો ઉપયોગ અનામત બેઠકો પર ચૂંટણી લડવા માટે અથવા આદિવાસીઓની જમીનો હડપવા માટે કરવામાં આવે છે. આ પ્રકારના 'સ્વાર્થના લગ્નો' પર કડક નિયંત્રણ આવવું જોઈએ’ તેવું સૂચન તેઓ સરકારને આપશે.
વસાવાએ વધુમાં કહ્યું કે, જો આજે UCCની વાતો થતી હોય, તો આદિવાસી સમાજમાં અન્ય જ્ઞાતિની દીકરી વહુ બનીને આવે તો તેને કેમ મંજૂરી મળતી નથી? તેમણે માંગ કરી છે કે જો અમારી દીકરીઓ અન્ય જ્ઞાતિમાં જતી હોય, તો બીજી જ્ઞાતિની દીકરીઓ પણ આદિવાસી સમાજમાં આવે તેવી વ્યવસ્થા થવી જોઈએ.
સરકારે નવા નિયમો (જેમ કે માતા-પિતાની મંજૂરી અને 30 દિવસની નોટિસ) જાહેર કર્યા છે, તેના પર ચૈતર વસાવા અને તેમનો પક્ષ આગામી દિવસોમાં આદિવાસી સમાજના હિતોની રક્ષા કરવા માટે લેખિત રજૂઆતો કરશે.
ગુજરાત સરકારે લગ્નની નોંધણી પ્રમાણપત્ર જાહેર કર્યા
ગુજરાત સરકારે લગ્ન નોંધણી પ્રમાણપત્ર એટલે કે મેરેજ સર્ટિફિકેટ મેળવવા માટે નવા નિયમ જાહેર કર્યા છે. હવે લગ્ન નોંધણી માટે વર વધુના માતાપિતાના ડિક્લરેશનની પણ જરૂર પડશે. લગ્ન નોંધણી પ્રમાણપાત્ર માટે અરજી કરનાર યુવક યુવતીના માતાપિતાને આ મામલે આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર દ્વારા જાણ કરવામાં આવશે. નિયમોનું સંતોષજનક રીતે પાલન થયા બાદ જ 30 દિવસમાં મેરેજ સર્ટિફિકેટ આપવામાં આવશે. અહીં લગ્ન નોંધણી પ્રમાણપત્ર માટે અરજી કરવાની પ્રક્રિયા અને માન્ય દસ્તાવેજ વિશે સંપૂર્ણ વિગત આપી છે.
લગ્ન નોંધણી પ્રમાણપત્ર મેળવવાની અરજી માટે બંને પક્ષ વર- કન્યા અને બે સાક્ષીઓની સહી સાથે નિર્ધારિત ફોર્મમાં અરજી કરવાની રહેશે.
રજી કાયદેસર રીતે નોટરાઇઝ કરીને રજૂ કરવાની રહેશે અને તેની સાથે બંને પક્ષ દ્વારા કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા આપેલા ઓળખના પુરાવા જેમ કે - ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ, ફોટો ઓળખપત્ર આપવાના રહેશે.
પ્રત્યેક લગ્ન નોંધણીની અરજીની આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર સમક્ષ રજૂ કરવામાં આવશે અને આ લગ્ન નોંધણી અરજીનો નમૂનો-I (i) મુજબ વિગત અને દસ્તાવેજો સાથે રજૂ કરવાનો રહેશે.
મેરેજ સર્ટિફિકેટ માટે અરજી મળ્યા બાદ આસિસ્ટન્ટ રજસ્ટ્રાર કામકાજના 10 દિવસની અંદર વર- કન્યાના માતા-પિતાને જાણ કરશે. આ જાણકારી ઇલેક્ટ્રોનિક કે રૂબરૂ રીતે આપવામાં આવશે. (સરકારે નક્કી કરેલા માધ્યમો દ્વારા)
આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર લગ્ન નોંધણી પ્રમાણપત્રની અરજી મળ્યા બાદ સંબંધિત જિલ્લા કે તાલુકાના રજિસ્ટ્રારને મોકલશે. સંતોષજનક નિયમ પાલન અને પુરતી ખાતરી થયા બાદ આ રજિસ્ટ્રાર સમક્ષ પેટા નિયમો ( 1 થી 7)માં દર્શાવ્યા મુજબ 30 દિવસ સમાપ્ત થયા બાદ લગ્ન નોંધણી કરવામાં આવશે.
રજિસ્ટ્રાર આ તમામ વિગતો સરકારના ઓનલાઇન પોર્ટલ ઉપર અપલોડ કરશે અને તે માટે સિરિયલ નંબર, પેજ નંબર, વોલ્યૂમ સહિતની વિગતો અપલોડ કરવામાં આવશે. ઉપરોક્ત કાર્યવાહી પૂર્ણ થયા બાદ રજિસ્ટ્રાર દ્વારા લગ્ન નોંધણી પ્રમાણપત્ર ફોર્મ- 2 મુજબ તૈયાર કરવામાં આવશે અને આ પ્રમાણપત્ર વ્યક્તિગત કે પોસ્ટ દ્વારા પક્ષકારો સુધી પહોંચડવામાં આવશે.

મેરેજ સર્ટિફિકેટ માટે દસ્તાવેજ
વર, વધુ અને સાક્ષીઓના આધાર કાર્ડ
વર અને વધુનું જન્મ પ્રમાણપત્ર અથવા શાળા છોડ્યાનું પ્રમાણપ્તર
લગ્નની કંકોત્રી કે આમંત્રણ પત્રિકા
વર, વધુ અને સાક્ષીના બે - બે પાસપોર્ટ ફોટા
વર-વધુની લગ્ન વિધિનો ફોટો
મેરેજ સર્ટિફિકેટની અરજી સાથે વર-કન્યાએ તેમના માતા-પિતાને આ લગ્ન બાબતે જાણ કરેલ છે કે તેનું ડિક્લેરેશન.

