- Gujarat
- હર્ષ સંઘવીનો કોંગ્રેસ પર આકરો પ્રહાર, બોલ્યા- ‘ઘણા કોંગ્રેસીઓને પેટમાં દુઃખે છે અને દુઃખવું પણ જોઈએ....
હર્ષ સંઘવીનો કોંગ્રેસ પર આકરો પ્રહાર, બોલ્યા- ‘ઘણા કોંગ્રેસીઓને પેટમાં દુઃખે છે અને દુઃખવું પણ જોઈએ..’
હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજ્યમાં માહોલ ગરમાયો છે. ફોર્મ ભરવાની અંતિમ તારીખ પૂર્ણ થઈ ચૂકી છે અને હવે ઉમેદવારો પોત-પોતાના પ્રચાર-પ્રસારમાં વ્યસ્ત થઈ ગયા છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રવિવારે વડોદરા અને ભરૂચની મુલાકાતે હતા. અહી તેમણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર અર્થે ‘જનસેવા સંકલ્પ કાર્યક્રમ’માં અને ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટનમાં હાજરી આપી હતી.
દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, હર્ષ સંઘવી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર 1, 3 અને વોર્ડ 6માં ચૂંટણી પ્રચાર અર્થે પણ પહોંચ્યા હતા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી ચૂંટણી માટે ભાજપે જાહેર કરેલા તમામ 76 ઉમેદવારોને જનસેવા સંકલ્પ લેવડાવ્યો હતો. આ સંકલ્પમાં વિકાસની રાજનીતિ, ભારતીય સંસ્કૃતિની વિચારધારા તેમજ વારસાના ગૌરવને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહાનગર પાલિકામાં ઊભેલા તમામ ઉમેદવારોને જનસેવા સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા. અહીંથી આજે ચૂંટણી પ્રચારની શરૂઆત કરવામાં આવી હતી. આ અવસરે સ્થાનિક નેતાઓ તેમજ ભાજપના કાર્યકરોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી હતી. ઉમેદવારોએ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના વિઝનને વાસ્તવિક બનાવવા માટે સંપૂર્ણ તત્પરતા સાથે કામ કરવાનો સંકલ્પ લીધો હતો. આ કાર્યક્રમ ભાજપના ચૂંટણી પ્રચારને વેગ આપવા માટેની મહત્ત્વની ક્ષણ તરીકે જોવામાં આવી રહ્યો છે.
વડોદરામાં વોર્ડ-1ના ચૂંટણી કાર્યાલય ખાતે હર્ષ સંઘવીનો બુથ કાર્યકર્તા સાથે સંવાદ કાર્યકમ યોજાયો હતો. જેમાં હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ‘આગામી દિવસોમાં હજુ મહત્ત્વના અનેક નેશનલ લેવલના પ્રોજેકટો આવી રહ્યા છે. જેમાં વડોદરા શહેરમાં શિવજીની પ્રતિમા નજીક ફાઉન્ટન અને લાઇટ શૉ આવનારા દિવસોમાં ચાલુ થશે. વિદેશમાં ન દેખાય એવો શો આયોજન થશે, શિવજીની આરતીનું સમૂહ માટેનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. મહત્ત્વના સ્પોર્ટ્સ સંકુલો રાષ્ટ્રીય અને ‘આંતરરાષ્ટ્રીય ગેમ’નું આયોજન થાય તેવું આયોજન કરી રહ્યા છે.’

હર્ષ સંઘવી અહી કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, ‘ઘણા કોંગ્રેસીઓને પેટમાં દુઃખે છે અને દુઃખવું પણ જોઈએ. લૂખ્ખા-ટપોરીઓને હું નહીં જ છોડું. જોર-જોરથી કૂદી-કૂદીને અશાંતધારાના કાયદાને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ સરકારે અશાંતધારો કાયદો વિધાનસભામાં મંજૂર કરાવ્યો છે.’
બીજી તરફ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભરૂચ પહોંચીને શહેરના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ધારાસભ્યો રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રાણા, ડી.કે. સ્વામી, રિતેશ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચના પ્રભારી પરાક્રમસિંહ જાડેજા અને પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
અહી તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. ઉદ્ઘાટન પહેલા તેમણે રાજપૂત છાત્રાલય ખાતે ભાજપના સ્થાનિક આગેવાનો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં સંગઠનને મજબૂત બનાવવા અને આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. હર્ષ સંઘવીએ ભાજપ સરકારના વિકાસ કાર્યો અને રાજ્યમાં થયેલી પ્રગતિના મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો.

તેમણે કોંગ્રેસ પાર્ટીની નીતિઓ અને કાર્યપદ્ધતિ પર સવાલો ઉઠાવ્યા હતા. આ ઉપરાંત, તેમણે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે દ્વારા ગુજરાતની જનતા અંગે કરવામાં આવેલી ટિપ્પણીનો પણ ઉલ્લેખ કરીને કોંગ્રેસની ટીકા કરી હતી. પોતાના સંબોધનમાં, નાયબ મુખ્યમંત્રીએ ભૂતકાળના ભરૂચ અને હાલના ભરૂચ વચ્ચેનો તફાવત રજૂ કર્યો. તેમણે જણાવ્યું કે ભાજપ સરકારના શાસનમાં શહેરમાં નોંધપાત્ર વિકાસ થયો છે અને લોકોના જીવનસ્તરમાં સુધારો આવ્યો છે. તેમણે આગામી સમયમાં ભરૂચ જિલ્લામાં 3 લાખ કરોડ રૂપિયાના રોકાણની પણ વાત કરી હતી.
સંઘવીએ ભાજપ સરકાર દ્વારા અશાંતધારાને વધુ મજબૂત બનાવવામાં આવી હોવાનો દાવો કર્યો હતો. આ પછી, તેમણે પાંચબત્તી અને ઝાડેશ્વર ખાતેના ચૂંટણી કાર્યાલયોનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.

