- National
- TMC સાંસદ અભિષેક બેનર્જી પર હુમલો; કપડા ફાડ્યા-ઇંડા ફેંક્યા, મમતા-અખિલેશ-કોંગ્રેસ બધા ભડક્યા
TMC સાંસદ અભિષેક બેનર્જી પર હુમલો; કપડા ફાડ્યા-ઇંડા ફેંક્યા, મમતા-અખિલેશ-કોંગ્રેસ બધા ભડક્યા
TMC સાંસદ અભિષેક બેનર્જી પર આજે સાંજે કેટલાક લોકોએ હુમલો કર્યો. એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિષેક એક પાર્ટી કાર્યકરના ઘરે મળવા જઈ રહ્યા હતા ત્યારે કેટલાક લોકોએ તેમના પર હુમલો કર્યો. સુરક્ષા કર્મચારીઓ મહામહેનતે તેમને બચાવીને બહાર નીકળ્યા હતા. હેલ્મેટ પહેરીને તેમને ઘટનાસ્થળેથી બહાર કાઢવામાં આવ્યા. તેમના પર ઇંડા પણ ફેંકવામાં આવ્યા. અભિષેકને જોઈને ત્યાંના લોકોએ 'ચોર, ચોર!'ની બૂમો પાડવાનું શરૂ કર્યું અને તેમનો શર્ટ પણ ફાડી નાખ્યો. અભિષેકે કહ્યું કે, હેલ્મેટ પહેરીને તેમનો જીવ બચી ગયો, નહીંતર આ લોકો તેમને મારી નાખવા જ આવ્યા હતા.
https://twitter.com/MamataOfficial/status/2060705457610858918
આખો બનાવ સોનારપુરના કમરાબાદ વિસ્તારમાં બન્યો હતો. TMC સાંસદ શનિવારે સાંજે એક મૃતક પાર્ટી કાર્યકરના ઘરે ગયા હતા. તેઓ સાંજે 4:30 વાગ્યાની આસપાસ કમરાબાદ પહોંચ્યા. આ દરમિયાન BJP નેતાઓ પોતાના કાર્યકરો સાથે મોટી સંખ્યામાં વિરોધ કરવા માટે પહેલેથી જ ત્યાં હાજર હતા. આ પ્રદર્શનમાં મહિલાઓને આગળ રાખવામાં આવી હતી, તેમના હાથમાં કાચા ઈંડાઓ હતા.
આટલા બધા વિરોધીઓને જોઈને, અભિષેક બેનર્જી પોતાની કાર છોડીને બાઇક પર તે વિસ્તારમાં પ્રવેશવા લાગ્યા. ત્યાર પછી, વિરોધીઓએ પીડિતના ઘરથી થોડાક સો મીટર દૂર તેમને રોક્યા. તેઓ 'ચોર, ચોર!'ની બૂમો પાડવા લાગ્યા, આ દરમિયાન ગુસ્સે ભરાયેલા ટોળાએ બે મોટરસાયકલ પણ રસ્તા પર ફેંકી દીધી, જેનાથી ત્યાં અરાજકતા ફેલાઈ ગઈ.
https://twitter.com/ANI/status/2060690846660657470
મીડિયા સાથે વાત કરતા, અભિષેકે પાછળથી કહ્યું, 'મને ખૂબ માર મારવામાં આવ્યો.' પોતાના ચશ્મા બતાવતા તેમણે કહ્યું, 'મને ચહેરા પર મુક્કો મારવામાં આવ્યો. મારા ચશ્મા તૂટી ગયા. જો મેં હેલ્મેટ ન પહેર્યું હોત, તો મારું માથું તોડી નાખવામાં આવ્યું હોત.' તેણે આરોપ લગાવ્યો કે, સવારે 11 વાગ્યાથી આ વિસ્તારના એક કોમ્યુનિટી સેન્ટરમાં કેટલાક લોકોને ભેગા કરીને રાખવામાં આવ્યા હતા અને તેઓએ જ હુમલો કર્યો હતો. આ ઘટનાના થોડા સમય પહેલા, CIDની ટીમ અભિષેકના ઘરે પહોંચી હતી. ત્યારે અભિષેકે કહ્યું હતું, 'તેઓ નમશે નહીં. ભલે તેઓ મારું ગળું કાપી નાખે, હું નમીશ નહીં.'
અભિષેક બેનર્જી સોનારપુરમાં ચૂંટણી પછીની હિંસાના ભોગ બનેલા લોકોના પરિવારોને મળવા જઈ રહ્યા હતા, ત્યારે તેમના પર હુમલો થયો. હુમલા પછી, તેમણે આરોપ લગાવ્યો કે હુમલો BJP પ્રાયોજિત હતો. તેમણે કહ્યું, 'આ BJPની લોકશાહીનું ઉદાહરણ છે. હજુ એક મહિનો પણ થયો નથી. પોલીસ ક્યાંય દેખાતી નથી.' અભિષેકે કહ્યું, 'હું જોઈશ કે તેઓમાં કેટલો દમ છે. ઘટનાસ્થળે એક પણ વહીવટી અધિકારી હાજર નથી.' તેમણે કહ્યું, 'જ્યાં સુધી પરિસ્થિતિ સુધરશે નહીં, ત્યાં સુધી હું અહીંથી નહીં જાઉં.' અભિષેકે કહ્યું, 'આ આખી ઘટનાનો વીડિયો છે. BJPના લોકોએ આ હુમલો કરાવ્યો છે. હું આ મામલો કોર્ટમાં લઈ જઈશ.'
https://twitter.com/yadavakhilesh/status/2060691826504519860
અહીં તમને બતાવી દઈએ કે, અભિષેક બેનર્જીની આ મુલાકાતથી સ્થાનિકોમાં ભારે રોષ હતો, પ્રદર્શન કરનારાઓએ કહ્યું કે, છેલ્લા 15 વર્ષથી આ વિસ્તારમાં કોઈ વિકાસ થયો નથી. રસ્તાઓ ખરાબ હાલતમાં છે, અને પીવાનું શુદ્ધ પાણી પણ ઉપલબ્ધ નથી. આ દરમિયાન, ટ્રેનમાં ગીત ગાઈને પોતાનું ગુજરાન ચલાવતા એક સ્થાનિક રહેવાસીએ પોતાની વ્યથા વ્યક્ત કરતા કહ્યું કે, તેના માતા-પિતા વૃદ્ધ છે અને તેનો પુત્ર અપંગ છે, પરંતુ કોઈ નેતાએ ક્યારેય તેમની સંભાળ લીધી નથી. લોકોએ આરોપ લગાવ્યો કે જ્યારે જનતા મૂળભૂત જરૂરિયાતો માટે વલખા મારી રહી છે, ત્યાં અભિષેક બેનર્જીએ પોતાના માટે 17 ઘર બનાવી લીધા છે. સ્થાનિકોના મતે, હવે નવી સરકાર આવવા પર તેમની આશા ટકેલી છે.
રાજ્યમાં BJP સરકાર આવતાની સાથે જ સુવેન્દુ સરકારે ઘણા લોકોની સુરક્ષા દૂર કરી અથવા ઘટાડી દીધી. અભિષેક બેનર્જીની Z-પ્લસ સુરક્ષા રદ કરવામાં આવી. સત્તામાં આવ્યા પછી, BJPએ TMC શાસન દરમિયાન થયેલા ભ્રષ્ટાચારના દરેક સ્તરને બહાર લાવવાનું વચન આપ્યું હતું. આ સંદર્ભમાં, સુરક્ષા એજન્સીઓએ અભિષેક બેનર્જીના ઘરની ઘણી મુલાકાતો પણ લીધી છે.

