- Opinion
- ગુજરાતમાં પાટીદાર સમાજ અને ભાજપ: અટલ વિશ્વાસની ગાથા
ગુજરાતમાં પાટીદાર સમાજ અને ભાજપ: અટલ વિશ્વાસની ગાથા
(ઉત્કર્ષ પટેલ)
ગુજરાતની રાજકીય સાતત્યતામાં પાટીદાર સમાજ એક મહત્વપૂર્ણ અને પ્રભાવશાળી તત્વ તરીકે ભૂમિકા ભજવે છે. આ સમાજે તડકી છાંયડીમાં પણ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને સાથ આપ્યો છે. સમાજના લોકોએ હંમેશા ભાજપને ચૂંટણીઓમાં ખોબલે ને ખોબલે મતો આપી વધાવી લીધો છે અને સતત વિશ્વાસ મૂક્યો છે.

પાટીદાર સમાજ જેને પટેલ તરીકે પણ ઓળખવામાં આવે છે ગુજરાતના ખેડૂત અને વેપારી વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે. આ સમાજ મુખ્યત્વે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સુરત શહેરમાં વસે છે અને રાજ્યની અર્થવ્યવસ્થા તેમજ સમાજિક જીવનમાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. 1980ના દાયકામાં કોંગ્રેસના તત્કાલીન મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના ‘ખામ’ (ક્ષત્રિય-હરિજન-આદિવાસી-મુસ્લિમ) સૂત્રએ પાટીદારોને એકલા અટુલા પાડ્યા. પરિણામે સમાજે કોંગ્રેસથી મોઢું ફેરવ્યુ અને ભાજપ માટે પાટીદાર સમાજની લાગણી વધી. આ પરિવર્તન ગુજરાતની રાજનીતિમાં એક મોટો વળાંક હતો. 1995ની વિધાનસભા ચૂંટણીમાં કેશુભાઈ પટેલ જેવા સમાજને સમર્પિત અને ખેડૂત હિતની વાત કરનાર પાટીદાર નેતાના નેતૃત્વમાં ભાજપે સરકાર બનાવી અને પાટીદાર સમાજે આને પોતાની જીત તરીકે મુલવણી કરી. આ સમયથી જ પાટીદાર સમાજ અને ભાજપ વચ્ચે અટલ સંબંધની શરૂઆત થઈ. હવે વર્ષો વર્ષ પાટીદાર સમાજે ભાજપને હંમેશા વધાવી લીધો. પીએમ નરેન્દ્રભાઇ મોદીના મુખ્યમંત્રી કાળખંડ દરમિયાન ગુજરાતના વિકાસ મોડલે પૂર્ણતઃ પાટીદાર સમાજને આકર્ષ્યો.

પાટીદાર સમાજના ખેડૂત, ઉદ્યોગપતિ અને યુવાનોને ભાજપની નીતિઓમાં હિન્દુત્વ પ્રત્યેનું સમર્પણ, વિકાસ અને સ્થિરતાની આશા જોવા મળી. 2002, 2007 અને 2012ની વિધાનસભા ચૂંટણીઓમાં પાટીદાર પ્રભુત્વવાળા વિસ્તારોમાં ભાજપને અદભૂત સમર્થન મળ્યું. સમાજે પાર્ટીને માત્ર મત આપ્યા એટલુજ નહીં પરંતુ કાર્યકર્તાઓ આપી સંગઠનાત્મક કાર્યમાં પણ પૂર્ણ સહયોગ આપ્યો. પાટીદાર નેતાઓએ ભાજપના વિવિધ નાના મોટા અગત્યના પદો પર કાર્ય કરીને પાર્ટીને મજબૂત બનાવી.

તડકી છાંયડીમાં પણ પાટીદાર સમાજનું ભાજપને સમર્થન અટલ રહ્યું. 2015માં પાટીદાર અનામત આંદોલન દરમિયાન કેટલાક વિરોધ હોવા છતાં સમાજના મોટા ભાગે ભાજપ ને મત આપી વિશ્વાસ જાળવી રાખ્યો. શહેરી વિસ્તારોના પાટીદારોએ પાર્ટીને સતત સમર્થન આપ્યું છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં કેટલાક વિસ્તારોમાં અસર પડી હોવા છતાં ભાજપે સરકાર બનાવી અને પાટીદાર સમાજે તેને સ્વીકારીને આગળ વધવાનો માર્ગ અપનાવ્યો અને આ સમયે પણ સમાજે ભાજપની વિકાસલક્ષી નીતિઓ પર વિશ્વાસ કર્યો. 2021માં ભૂપેન્દ્રભાઇ પટેલને મુખ્યમંત્રી બનાવવાથી સમાજમાં નવી ઉત્સાહની લહેર આવી અને આ નિર્ણય પાટીદાર સમાજના વિશ્વાસને વધુ મજબુત કરવામાં મહત્વનું સાબિત થયો.

2022ની વિધાનસભા ચૂંટણીઓમાં આ વિશ્વાસનું પરિણામ સ્પષ્ટ જોવા મળ્યું. ભાજપે 48 પાટીદાર ઉમેદવારોને ટિકિટ આપી હતી અને તેમાંથી 41 જીત્યા. પાટીદાર પ્રભુત્વવાળા મોટાભાગના મતવિસ્તારોમાં ભાજપે વિજય મેળવ્યો. આ ચૂંટણીમાં સમાજે ફરી એક વાર ભાજપને વધાવી લીધી અને ભાજપની વિકાસલક્ષી કાર્યશૈલી પર વિશ્વાસ મૂક્યો. 2024ની લોકસભા ચૂંટણીઓમાં પણ પાટીદાર સમાજના સમર્થનથી ભાજપે ગુજરાતમાં અદભુત પરિણામો મેળવ્યા. વર્ષોની ચૂંટણીઓના આંકડાઓ દર્શાવે છે કે પાટીદાર સમાજે સતત ભાજપને મત આપીને તેના પ્રત્યેની પ્રતિબદ્ધતા પુરવાર કરી છે.
પાટીદાર સમાજના આ સમર્થન પાછળ અનેક કારણો છે.
પહેલું તો ભાજપની હિન્દુત્વ અને વિકાસની વિચારધારા સમાજના સાંસ્કૃતિક અને આર્થિક મૂલ્યો સાથે જોડાયેલી છે.
બીજું એ કે પાર્ટીએ સમાજના યુવાનો માટે શિક્ષણ, રોજગાર અને ઉદ્યોગ વિકાસ પર ભાર મૂક્યો છે.
ત્રીજું કે ભાજપના નેતૃત્વમાં ગુજરાતના સમગ્ર વિકાસમાં પાટીદારોને લાભ મળ્યો છે. કૃષિ, ડેરી, ગૃહ - લઘુ- મધ્યમ અને મોટા ઉદ્યોગ વેપારમાં તેઓ આગળ વધ્યા છે. સમાજે વિકાસને ભાજપના સ્થિર સરકારના પરિણામ તરીકે સ્વીકૃતિ આપી છે. વિશેષમાં સ્થાનિક સ્તરે પંચાયત, નગરપાલિકાઓ તથા મહાનગરપાલિકાઓ ની ચૂંટણીઓમાં પણ પાટીદારોએ ભાજપને સતત વોટ આપ્યા જેનાથી પાર્ટીનું ગ્રામ્ય અને શહેરી સ્તર પર વર્ચસ્વ અકબંધ જળવાયું છે.

આજે વર્ષ 2026 સુધીના સમયમાં પણ આ સમીકરણ અકબંધ છે. ભૂપેન્દ્રભાઇ પટેલ જેવા પાટીદાર મુખ્યમંત્રીના નેતૃત્વમાં રાજ્ય સરકારે વિવિધ કલ્યાણકારી યોજનાઓ શરૂ કરી ચલાવી છે જેમાં સમાજના યુવાનો અને મહિલાઓને લાભ મળે છે. પાટીદાર સમાજે આને પોતાના વિશ્વાસનું પરિણામ માન્યું છે. બહુમત સમાજ માને છે કે ભાજપ જ સમાજના હિતોનું રક્ષણ કરી શકે છે અને ગુજરાતને વિકસિત રાજ્ય બનાવવામાં મદદ કરી શકે છે.
તારણ રૂપે ચોક્કસથી કહી શકાય કે ગુજરાતમાં પાટીદાર સમાજે ભાજપને હંમેશા વધાવી લીધો છે અને સતત વિશ્વાસ મૂક્યો છે. તડકી છાંયડીમાં પણ આ સમર્થન અવિરત રહ્યું છે. આ સંબંધ માત્ર રાજકીય નહીં પરંતુ વિકાસ, સ્થિરતા અને સાંસ્કૃતિક જોડાણનું ભાવનાત્મક સમીકરણ છે.
(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

