- Politics
- અન્નામલાઈએ નીતિન નબીનને 5 પાનાંનું રાજીનામું સોંપ્યું, ટૂંક સમયમાં નવી પાર્ટીની જાહેરાત કરશે
અન્નામલાઈએ નીતિન નબીનને 5 પાનાંનું રાજીનામું સોંપ્યું, ટૂંક સમયમાં નવી પાર્ટીની જાહેરાત કરશે
કે. અન્નામલાઈએ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નો સાથ છોડી દીધો છે. અન્નામલાઈએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનને પોતાનું રાજીનામું સુપરત કર્યું છે. ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ સુત્રોના સંદર્ભે જણાવ્યું કે તમિલનાડુ ભાજપના ભૂતપૂર્વ અધ્યક્ષ કે. અન્નામલાઈએ આજે,મંગળવારે નવી દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન અને પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ (સંગઠન) બી.એલ. સંતોષ સાથે મુલાકાત કરી અને તેમને પાંચ પાનાંનો રાજીનામું પત્ર સોંપ્યો. ત્યારબાદ તેમણે કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ સાથે પણ મુલાકાત કરી હતી.

અહેવાલો અનુસાર, ભૂતપૂર્વ IPS અધિકારી અન્નામલાઈ એક નવો પ્રાદેશિક રાજકીય પક્ષ શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છે, જેને તેમના સહયોગીઓ ધર્મનિરપેક્ષ અને તમિલ-પ્રથમ વિચારવાળી પાર્ટી ગણાવી રહ્યા છે. સૂત્રોના મતે આ પ્રસ્તાવિત સંગઠન 6-8 મહિનાની અંદર લોન્ચ કરી શકાય છે. અને તે તમિલનાડુમાં ભાજપ અને હાલમાં તમિલનાડુમાં પ્રભુત્વ ધરાવતા દ્રવિડિયન પક્ષો બંનેના વિકલ્પ તરીકે પોતાને સ્થાપિત કરવાનો પ્રયાસ કરશે. અન્નામલાઈના નજીકના લોકોએ ખુલાસો કર્યો કે તેઓ એક એવું રાજકીય પ્લેટફોર્મ બનાવવા માંગે છે જે તમિલ ઓળખને રાષ્ટ્રીય દૃષ્ટિકોણ સાથે જોડે અને સાથે જ હરીફ પક્ષોનો વિરોધ કરતા મુદ્દાઓ પર આધારિત રહે.
અન્નામલાઈ અને ભાજપ વચ્ચે મતભેદ
કેટલાક મહિનાઓથી તમિલનાડુમાં ભારતીય જનતા પાર્ટી અને અન્નામલાઈ વચ્ચે રાજકીય વ્યૂહરચના અંગે મતભેદો ચાલી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અન્નામલાઈ AIADMK સાથે ફરી ગઠબંધન શરૂ કરવાના ભાજપના નિર્ણયથી તેમજ તાજેતરમાં પૂર્ણ થયેલી વિધાનસભા ચૂંટણીઓ પહેલાં ઉમેદવારોની પસંદગીના કેટલાક પાસાઓથી નારાજ હતા એટલે અન્નામલાઈએ ચૂંટણી પછી ભાજપનો સાથ છોડી દીધો.

કોણ છે અન્નામલાઈ?
અન્નામલાઈ 2011 બેચના IPS અધિકારી છે. 4 જૂન, 1984ના રોજ તમિલનાડુના કરુર જિલ્લામાં જન્મેલા અન્નામલાઈએ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા બાદ IIM લખનૌમાંથી MBA કર્યું. તેઓ 2011 બેચના કર્ણાટક કેડરના IPS અધિકારી રહ્યા અને 2019માં પોલીસ સેવામાંથી રાજીનામું આપીને રાજકારણમાં આવ્યા હતા. 2020માં ભાજપમાં જોડાયા પછી, તેમણે ઝડપથી પ્રગતિ કરી અને જુલાઈ 2021 થી એપ્રિલ 2025 સુધી તમિલનાડુ ભાજપના પ્રદેશ અધ્યક્ષ રહ્યા. તેમની સ્વચ્છ છબી, આક્રમક શૈલી અને ભ્રષ્ટાચાર સામેના મક્કમ વલણને કારણે તેઓ યુવાનોમાં ખાસ લોકપ્રિય થયા.

