- Politics
- ‘વિજય'ના તોફાનમાં બધા ઊડી ગયા, પણ માત્ર આ એક વ્યક્તિએ ભાજપનું ખાતું ખોલ્યું
‘વિજય'ના તોફાનમાં બધા ઊડી ગયા, પણ માત્ર આ એક વ્યક્તિએ ભાજપનું ખાતું ખોલ્યું
બંગાળ પછી જો કોઈ રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં જો કોઈએ આંચકો આપ્યો હોય, તો તે છે તમિલનાડુ. અભિનેતા વિજયની બે વર્ષ જૂની પાર્ટી TVKએ દ્રવિડિયન રાજકારણના દિગ્ગજ પાર્ટીઓ DMK અને AIDMKને પછાડી દીધી છે. 1977 પછી પહેલી વાર આ બંને પક્ષોમાંથી કોઈ પણ રાજ્યના શાસનમાં નહીં હોય. 234માંથી 108 બેઠકો જીતીને, વિજયે બધી ભવિષ્યવાણીઓને ખોટી પાડી દીધી છે અને ચેન્નાઈમાં સત્તાના દરવાજા ખખડાવ્યા છે. TVK સિવાય, બધાને કારમી હારનો સામનો કરવો પડ્યો છે; છતા આ ચૂંટણી હાર વચ્ચે એક બેઠક એવી છે જ્યાં ભાજપનું 'કમળ' ખીલ્યું છે.
ભાજપે ઉટી ક્ષેત્રમાં સ્થિત ઉધગમંડલમ બેઠક પર જીત હાંસલ કરી છે. આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર એમ. ભોજરાજન, TVK હરીફને માત્ર 976 મતોના નાના માર્જિનથી હરાવીને વિજયી બન્યા. 2021ની ચૂંટણીમાં ભાજપે ચાર બેઠકો જીતી હતી, પરંતુ આ વખતે પાર્ટીને એક જ બેઠક પર સંતોષ માનવો પડ્યો. પ્રદેશ અધ્યક્ષ નાગેન્દ્રન સહિત પાર્ટીના તમામ અગ્રણી નેતાઓને હારનો સામનો કરવો પડ્યો.
આ ચૂંટણીઓમાં, ભાજપે AIDMK સાથે ગઠબંધનકરીને 27 બેઠકો પર ચૂંટણી લડી હતી. AIDMKને 47 બેઠકો પર સફળતા મળી, જ્યારે શાસક DMKને 54 બેઠકો મળી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિજય નાના પક્ષો સાથે ગઠબંધન કરીને તમિલનાડુમાં સરકાર બનાવશે. પાંચ બેઠકો જીતનારી કોંગ્રેસ તેમને સમર્થન આપી શકે છે.
ભોજરાજન કોણ છે?
અહેવાલ મુજબ, ચાના બગીચાના માલિક ભોજરાજન એક સમયે કોંગ્રેસ પાર્ટીના સભ્ય હતા. 1980ની લોકસભા ચૂંટણી દરમિયાન, કોંગ્રેસે તેમને નીલગિરિ મતવિસ્તારમાંથી ચૂંટણી લડવા માટે ટિકિટ પણ આપી હતી; જોકે, છેલ્લી ઘડીએ ટિકિટ બીજા કોઈને સોંપી દેવામાં આવી. આ ઘટનાક્રમથી નિરાશ થઈને ભોજરાજને કોંગ્રેસ અને સક્રિય રાજકારણ બંનેથી દૂરી બનાવી લીધી. તેઓ 2014માં ભાજપમાં જોડાયા હતા.
2021માં, ભાજપે તેમને ઉટી વિધાનસભા બેઠક માટે ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા, પરંતુ તેઓ તે પ્રયાસમાં નિષ્ફળ રહ્યા હતા. જોકે, આ વખતે તેઓ ચૂંટણી જીતવામાં સફળ રહ્યા. ભોજરાજન વિશે એવું કહેવામાં આવે છે કે તેઓ ચા ઉદ્યોગ સાથે જોડાયેલા છે અને તેમના પરોપકારી કાર્યને કારણે ગરીબ ચા ખેડૂતોમાં ખૂબ જ લોકપ્રિય છે.

