- Gujarat
- ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતાએ કાર્યકર્તાઓને કહ્યું- ‘જે કરવું પડે એ કરજો, પરંતુ આપણાં ઉમેદવારો...’
ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતાએ કાર્યકર્તાઓને કહ્યું- ‘જે કરવું પડે એ કરજો, પરંતુ આપણાં ઉમેદવારો...’
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પ્રચાર પડઘમ વાગી રહ્યા છે. ત્યારે સામાન્ય રીતે રાજકીય નિવેદનબાજીઓ પણ વધતી હોય છે. આ દરમિયાન કેટલાક નિવેદનોને કારણે ગરમાવો પણ આવી જતો હોય છે. એવી જ રીતે વડોદરા જિલ્લાના ડભોઇ વિસ્તારમાં રાજકીય માહોલ ફરી એકવાર ગરમાયો છે.
ઉલ્લેખનીય છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ડભોઇના થુવાવી ગામે યોજાયેલી સભામાં ધારાસભ્ય શૈલેષ મહેતાના નિવેદનો બાદ રાજકીય ગરમાવો આવી ગયો છે. VTV ગુજરાતીના અહેવાલ મુજબ, આ સભામાં તેમણે આગામી ચૂંટણીને લઈને કાર્યકરોને સંબોધતા કેટલાક કડક અને ઉગ્ર શબ્દોનો ઉપયોગ કર્યો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારના રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય ઉભો થયો છે. જેનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
https://twitter.com/VtvGujarati/status/2046882477978079459?s=20
તેઓ કહે છે કે, ‘આ તો તમારે તાકાત પર જવાબદારી લેવાની છે, બહેનો તમારે કરવાનું છે. 5 દિવસ બાકી છે. જે કરવું પડે એ કરજો. પરંતુ આપણાં ઉમેદવારોને જંગી બહુમતિથી જિતાડવાના છે. જે તમે કરશો તેમાં તમારી જોડે અમે ઊભા છીએ. જેમ 13 તારીખે થયું ને કોઈને કઈ થવા દીધા નથી. તેમ ફરી વાર પણ કોઈને કશું થવા નહીં દઈએ.’
VTV ગુજરાતીના અહેવાલ મુજબ, આ સભામાં ધારાસભ્યએ કાર્યકરોને સંબોધતા જણાવ્યું કે, ચૂંટણી માટે થોડા દિવસો જ બાકી છે અને આ સમય દરમિયાન જીત મેળવવા માટે સંપૂર્ણ પ્રયાસ કરવા જોઈએ. તેમના નિવેદનમાં કાર્યકરોમાં આત્મવિશ્વાસ વધારવાનો પ્રયાસ થયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ સાથે MLAએ પોલીસ અને તંત્ર પર પોતાની પકડ હોવાનો ગર્ભિત સંકેત આપ્યો છે. જેમાં ખાસ કરીને 13 તારીખે થયેલી બબાલમાં કાર્યકર્તાઓને બચાવી લીધાનો પણ ઉલ્લેખ કરી જીત માટે કાર્યકરોને આક્રમક થવાના MLAના આહ્વાનથી રાજકીય ગરમાવો વધી રહ્યો છે .
આ નિવેદનો બાદ રાજકીય માહોલમાં અલગ-અલગ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. કેટલાક લોકો તેને કાર્યકરોમાં ઉત્સાહ વધારવાના પ્રયાસ તરીકે જોઈ રહ્યા છે, તો કેટલાક તેને અતિ ઉગ્ર ભાષા અને ચૂંટણી માહોલને વધુ તણાવપૂર્ણ બનાવનારું નિવેદન ગણાવી રહ્યા છે. સભામાં કરાયેલા સંબોધનમાં તંત્ર અને વ્યવસ્થાપન સંબંધિત સંકેતો પણ આપવામાં આવ્યા હોવાની ચર્ચા છે, જેના કારણે સ્થાનિક રાજકીય વાતાવરણમાં વધુ ગરમાવો આવ્યો છે. ચૂંટણી નજીક આવતા જ આવા નિવેદનોને લઈને વિરોધ અને સમર્થન બંને પ્રકારની ચર્ચાઓ તેજ બની છે.
આ અગાઉ પણ તેઓ વિવાદાસ્પદ નિવેદન આપી ચૂક્યા છે. હનુમાન જયંતિ નિમિત્તે આયોજિત એક ભજન કાર્યક્રમમાં હાજરી આપતી વખતે તેમણે ચૂંટણી અને ધર્મને સાંકળીને વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યા હતા. શૈલેષ મહેતાએ જાહેર મંચ પરથી કહ્યું હતું કે, ‘જે ઉમેદવારને જય શ્રી રામ બોલવામાં તકલીફ હોય, તેનું આપણે 'જય શ્રી રામ' કરી નાખીશું.’ તેમણે વધુમાં ઉમેર્યું કે જે ઉમેદવારો જય શ્રી રામ બોલે છે અને આ વિચારધારા સાથે સંકળાયેલા છે, તેઓ જંગી મતે જીતે તેવા મારા આશીર્વાદ છે.

