- Gujarat
- ગોપાલ ઇટાલિયાએ DyCM હર્ષ સંઘવીને લઈને એવો શું દાવો કર્યો હતો કે વિધાનસભામાં માફી માંગવી પડી?
ગોપાલ ઇટાલિયાએ DyCM હર્ષ સંઘવીને લઈને એવો શું દાવો કર્યો હતો કે વિધાનસભામાં માફી માંગવી પડી?
ગુજરાત વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા (UCC) બિલ પર ચર્ચા દરમિયાન ભારે ડ્રામેબાજી જોવા મળી હતી. આમ આદમી પાર્ટી (AAP)ના નેતા ગોપાલ નાયબ મુખ્યમંત્રીને લઈને એક એવો દાવો કર્યો હતો, જેને કારણે સત્તાધારી પક્ષે આક્રમક વલણ અપનાવ્યું હતું, જેથી ગોપાલ ઇટાલિયાએ ગૃહમાં માફી માંગવી પડી હતી.
શું છે આખો મામલો?
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૃહમાં સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, સરકાર લગ્ન નોંધણીનો કોઈ નવો કાયદો લાવી રહી નથી, પરંતુ માત્ર હાલની પ્રક્રિયામાં સુધારણા કરી રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ‘અમે માત્ર લગ્ન નોંધણી પ્રક્રિયામાં સુધારણા કરી રહ્યા છીએ, જેમાં માતા-પિતાની પરવાનગી અંગેના પાસાઓનો સમાવેશ થાય છે. આ સુધારણા વહેલી તકે અમલી બનશે જ. આ સુધારાને UCC સાથે કોઈ લેવાદેવા નથી.
આ દરમિયાન ગોપાલ ઇટાલિયાએ દાવો કર્યો કે, ‘નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 'લગ્ન નોંધણી જન્મ સ્થળ પર જ થશે તેવું નિવેદન આપ્યું છે.’ આ દાવાને હર્ષ સંઘવીએ નકારી કાઢ્યો હતો અને પડકાર ફેંક્યો હતો કે, જો આ વાત સાચી ઠરશે તો તેઓ ગૃહમાંથી રાજીનામું આપી દેશે, પરંતુ જો વાત ખોટી હશે તો ગોપાલ ઇટાલિયાએ માફી માંગવી પડશે.
Zee ન્યૂઝના અહેવાલ મુજબ, મામલો ગરમાતા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ગૃહના રેકોર્ડ્સ તપાસવાની સૂચના આપી હતી. તપાસના અંતે અધ્યક્ષે વિધાનસભાના રેકોર્ડના આધારે સ્પષ્ટતા કરી હતી કે, ‘મેં રેકોર્ડ તપાસ્યા છે, તેમાં ગોપાલ ઇટાલિયા જે કહી રહ્યા છે તેવી કોઈ પણ બાબત નોંધાયેલી નથી. નાયબ મુખ્યમંત્રીએ આવું કોઈ નિવેદન આપ્યું નથી. નાયબ મુખ્યમંત્રીનું જન્મ સ્થળ પર જ રજીસ્ટેશન થશે તેવું નિવેદન નથી.’
આ વિવાદ વકરતા મંત્રી ઋષિકેશ પટેલે કડક વલણ અપનાવ્યું હતું અને ગોપાલ ઇટાલિયાને સસ્પેન્ડ કરવાની રજૂઆત કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે જો ઇટાલિયા માફી નહીં માંગે તો તેમને ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવે. ભાજપના નેતા નરેશ પટેલે પણ આ રજૂઆતને ટેકો આપ્યો હતો.
શરૂઆતમાં ગોપાલ ઇટાલિયા પોતાની વાત પર મક્કમ રહ્યા હતા, પરંતુ સસ્પેન્શનની લટકતી તલવાર જોઇને, તેમજ અધ્યક્ષની કડક સૂચના બાદ તેમણે માફી માંગવી પડી હતી. ત્યારબાદ સમગ્ર મામલો થાળે પડી ગયો હતો. સોશિયલ મીડિયા પર આ ઘટનાને લઈને લોકો કહી રહ્યા છે કે, એક વકીલ તરીકેની છાપ ધરાવતા ગોપાલ ઇટાલિયા પર હર્ષ સંઘવી ભારે પડી ગયા.
આ વિવાદ છતા, UCC વિધેયક અંગેની ચર્ચામાં સ્પષ્ટ થયું છે કે નવા કાયદાનો અમલ સામાજિક સમાનતા લાવવા માટે કરવામાં આવી રહ્યો છે, જેમાં લગ્ન નોંધણી અને અન્ય પારિવારિક નિયમોમાં સુસંગતતા લાવવાનો પ્રયાસ છે. 2006ના કાયદા અને નવા UCC વચ્ચેના ટેક્નિકલી તફાવતો પરની આ ચર્ચાએ રાજકીય ગરમાવો લાવી દીધો હતો.

