- National
- પતિના 8 લાખ ફોલોઅર્સ...પણ માનસિકતા કરિયાવર લેવાની! કાર ન મળતા પત્નીનો ભોગ લેવાયો
પતિના 8 લાખ ફોલોઅર્સ...પણ માનસિકતા કરિયાવર લેવાની! કાર ન મળતા પત્નીનો ભોગ લેવાયો
લખનઉના સઆદતગંજમાં એક નવપરિણીત સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું. તેના પતિ સાગર રાજપૂત સહિત 6 લોકો સામે દહેજ હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે, તેનો પતિ કે જેના 7.93 લાખ ફોલોઅર્સ હતા.
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર માનસીનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું છે. આ ઘટના સઆદતગંજ વિસ્તારમાં બની હતી, જ્યાં નવપરિણીતનો મૃતદેહ ફાંસીથી લટકતો મળી આવ્યો હતો. આ ઘટનાથી વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. મૃતકના પરિવારે તેના પતિ અને સાસરિયાઓ પર કારની માંગણીને લઈને હત્યાનો ગંભીર આરોપ લગાવ્યો છે.
કાનપુરના TP નગર બગાહીના રહેવાસી સુનિલ કુમાર વર્માએ 9 ડિસેમ્બર, 2024ના રોજ તેમની ભત્રીજી માનસીના લગ્ન લખનઉના સઆદતગંજના રહેવાસી સાગર રાજપૂત સાથે કર્યા. સાગર રાજપૂત, જે પોતે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે, તેના ઇન્સ્ટાગ્રામ પર આશરે 7.93 લાખ ફોલોઅર્સ છે. મૃતક છોકરી પણ સોશિયલ મીડિયા પર પણ સક્રિય રહેતી હતી.
પરિવારનો દાવો છે કે, તેમને લગ્નમાં આશરે રૂ. 7 લાખ રોકડા, તિલક વિધિ અને અન્ય ઘરગથ્થુ વસ્તુઓ તેમની ક્ષમતા મુજબ આપવામાં આવી હતી, પરંતુ સાસરિયાઓ આનાથી નાખુશ હતા.
કન્યાના માતા-પિતાનો આરોપ છે કે, લગ્ન પછીથી યુવતીને ઓછું દહેજ લાવવા બદલ ટોણા મારવામાં આવતા હતા. તેના પતિ સાગર, સસરા રાજેશ, નણદોઈ અનુ, નણંદ બરખા અને ચાંદની અને ફોઈ સાસુ આશા સતત વધારાના દહેજ તરીકે કારની માંગણી કરી રહ્યા હતા. જ્યારે તેમની માંગણીઓ પુરી ન થઈ, ત્યારે તેને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.
મૃતક છોકરીએ વારંવાર તેના પરિવારને પોતાને અપાતા ત્રાસની જાણ કરવા માટે ફોન કર્યો હતો. પરિવારે સમાધાન માટે ઘણી વખત લખનઉ પણ જઈ આવ્યા હતા, પરંતુ ત્રાસ યથાવત રહ્યો.
શનિવારે, પરિવારને સંબંધીઓ તરફથી માહિતી મળી કે તેમની પુત્રીએ ફાંસી લગાવી લીધી છે. જોકે, માતાપિતાએ સીધો આરોપ લગાવ્યો છે કે, સાસરિયાઓએ પહેલા તેની હત્યા કરી કારણ કે તેમની દહેજની માંગણીઓ પૂરી ન થઈ અને પછી તેને આત્મહત્યા જેવું દેખાડવા માટે તેના મૃતદેહને લટકાવી દીધો.
સઆદતગંજના ઇન્સ્પેક્ટર સંતોષ આર્યએ જણાવ્યું હતું કે, પીડિત પક્ષની ફરિયાદના આધારે, પતિ સહિત 6 લોકો સામે દહેજ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે.
પોલીસ આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. રિપોર્ટ અને અન્ય વૈજ્ઞાનિક પુરાવાઓના આધારે આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

