- Opinion
- અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે
અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે
(ઉત્કર્ષ પટેલ)
ગુજરાતમાં સેવા અને સાંસ્કૃતિક વારસાના ક્ષેત્રે અનારબેન પટેલ એક પ્રેરણાદાયી નામ છે. પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના પુત્રી અનારબેન પટેલ માત્ર એક ઉદ્યોગસાહસી જ નહીં પરંતુ ભક્તિ, સેવા અને સમર્પણના ત્રિવેણી સંગમનું જીવંત ઉદાહરણ છે. તેમનું વ્યક્તિત્વ નિરાભિમાની, સહજ પારદર્શી અને સેવા સમર્પિત છે જે અનેક મહિલાઓ, કારીગરો અને સવિશેષ યુવાવર્ગ માટે પ્રેરણાદાયી છે.
અનારબેન માટે તેમની માતા આનંદીબેન પટેલ જ આદર્શ છે. માતાના સેવાભાવ, કર્મયોગ અને સમાજપ્રત્યેના સમર્પણથી પ્રભાવિત થઈને અનારબેન નાની ઉંમરથી જ સેવાના માર્ગે પગલાં માંડ્યાં હતા. 1995માં તેમણે ગ્રામશ્રી ટ્રસ્ટની સ્થાપના કરી જે અંતરિયાળ વિસ્તારોની કપરી સ્થિતિમાં જીવતી મહિલાઓને આર્થિક સ્વાવલંબન અને સન્માન આપવાનું માધ્યમ બની. માતાના માર્ગદર્શનમાં અનારબેને ક્યારેય પ્રસિદ્ધિ કે પદની પાછળ દોડ્યાં નથી અને તેમનું જીવન આજ સુધી માત્ર સેવા અને સમર્પણનું પ્રતીક રહ્યું છે.

અનારબેનનું વ્યક્તિત્વ સાવ નિરાભિમાની છે. તેઓ જીવનમાં યોગ અને ધ્યાન ને મહત્ત્વ આપે છે. ઘરમાં માતૃત્વની જવાબદારીઓ નિભાવતી, સેવા કાર્યોનું સંચાલન કરતી અને સમાજના દુ:ખી પીડિત વર્ગની વાતો સાંભળતી વખતે તેઓ હંમેશા સંતુલન જાળવી રાખે છે. “હું મારા શ્રેષ્ઠ પ્રયાસ કરું છું” આ સરળ વાક્ય તેમની વિનમ્રતાનું પ્રતીક છે. કોઈ પણ પ્રસંગે તેઓ પોતાની વાતને મોટી કરતાં નથી, પરંતુ સેવાના કાર્યને આગળ ધપાવે છે. આ નિરાભિમાની વલણ તેમને સમાજમાં અનોખું સ્થાન આપે છે.
શ્રી ખોડલધામ ટ્રસ્ટમાં અનારબેનની ભક્તિ અને પાટીદાર સમાજ માટે સેવાભાવ કેન્દ્રસ્થ રહે છે. જાન્યુઆરી 2026માં તેમને ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. આ પહેલાં તેઓ ટ્રસ્ટી અને મહિલા વિભાગના નેતૃત્વમાં સક્રિય હતાં. લેઉવા પાટીદાર સમાજના આસ્થાના કેન્દ્ર શ્રી ખોડલધામમાં તેઓ ભક્તિના સાથે સેવા અને સમાજસુધારાને જોડી રહ્યાં છે. સમાજની યુવા પેઢીને ઇતિહાસ, સંસ્કાર, સંસ્કૃતિ અને એકતાનો પાઠ આપવા માટે તેઓ સતત પ્રયાસ કરે છે. પાટીદાર સમાજના વિકાસ, મહિલા સશક્તિકરણ અને સામાજિક સંગઠનમાં તેમની સક્રિયતા ગુજરાતની બહેન દીકરીઓ માટે એક મોટી પ્રેરણા છે.
29.jpg)
અનારબેનના સેવાકીય કાર્યો અનેક છે અને તે લાખો લોકોના જીવનને સ્પર્શે છે. 1995માં ગ્રામશ્રી દ્વારા તેમણે અમદાવાદની સ્લમ વિસ્તારની મહિલાઓને સિલાઈ, કાપડકામ, એમ્બ્રોઇડરી કામ જેવી કુશળતા આપીને આર્થિક સ્વાવલંબનનો માર્ગ ખોલ્યો. આજે ગ્રામશ્રી 3000થી વધુ મહિલાઓને પ્રત્યક્ષ રીતે લાભ આપે છે. 2001ના કચ્છ ભૂકંપ પછી તેમણે લુડિયા, ગાંધીનું ગામ જેવા ગામડાઓનું પુન:નિર્માણ કર્યું અને કારીગરોને રોજગારી આપી. માનવ સાધના જેવી સંસ્થા દ્વારા 1000થી વધુ સ્લમ બાળકોને શિક્ષણ અને મૂલ્યોનું પોષણ આપવામાં પણ તેમનો મહત્વનો ફાળો છે. આ તમામ કાર્યોમાં તેમનો હેતુ માત્ર સહાય કરવાનો નથી પરંતુ સમાજને સ્વાવલંબી અને સમૃદ્ધ બનાવવાનો છે.

કલા પ્રત્યે અનારબેનનો સમર્પણભાવ અસાધારણ છે. ક્રાફ્ટરૂટ્સ તેમની આ દ્રષ્ટિનું જીવંત સ્વરૂપ છે. ગ્રામશ્રી હેઠળ સ્થાપિત ક્રાફ્ટરૂટ્સે છેલ્લા બે દાયકામાં 35000થી વધુ કારીગરોને જોડ્યા છે અને ૭૫થી વધુ પરંપરાગત હસ્તકલાઓને પુનર્જીવન આપ્યું છે. મશરુ વણાટ જેવી મરતી કલાઓને પુન:સ્થાપિત કરીને ગુજરાતના મુખ્ય શહેરો ઉપરાંત દુબઈ થી મુંબઈ સુધી પ્રદર્શનો યોજીને તેઓએ કારીગરોને વૈશ્વિક ઓળખ અને બજાર આપ્યું છે. મહિલા કારીગરોને તાલીમ, ડિઝાઇન વર્કશોપ અને આર્થિક સમર્થન આપીને ક્રાફ્ટરૂટ્સે એમને સમાજમાં સન્માનનું વાતાવરણ પૂરું પાડ્યું છે. અનારબેન માને છે કે “દરેક કારીગરને સન્માન સાથે રોજગારી આપવી એ જ સાચી સેવા છે.” આ સમર્પણભાવથી તેઓ ભારતીય હસ્તકલાને આગામી પેઢી સુધી પહોંચાડી રહ્યાં છે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે અનારબેનનો આદરભાવ તેમની વાતો અને કાર્યોમાં સતત પ્રગટ થાય છે. તેઓ પીએમ મોદીને કર્મયોગી, અને કરુણામય વ્યક્તિત્વના આદરભાવથી હંમેશા વર્ણવે છે. તેમના કાર્યોમાં ‘નેશન ફર્સ્ટ’ની ભાવના સ્પષ્ટ જોવા મળે છે. ગ્રામશ્રી અને ક્રાફ્ટરૂટ્સ દ્વારા તેઓ મહિલા સશક્તિકરણ સાથે આત્મનિર્ભર ભારત અને સાંસ્કૃતિક વારસાના જતન જેવા પીએમ નરેન્દ્રભાઈ મોદીના વિઝનને વાસ્તવિક રૂપ આપી રહ્યાં છે. આમ જોતા તેમના કાર્યોમાં ‘સબકા સાથ, સબકા વિકાસ’નો મંત્ર સતત રણકે છે.
અનારબેન પટેલ એક સાદું , સમર્પિત અને પ્રેરણાદાયી વ્યક્તિત્વ છે જેમનું જીવન સદેશ આપે છે કે સેવા એ જ સાચી ભક્તિ છે. તેમના કાર્યો દર્શાવે છે કે નિરાભિમાની હૃદયથી કરેલું કામ સમાજને કેવી રીતે બદલી શકે છે. આજની યુવા પેઢી માટે અનારબેન એક આદર્શ કહી શકાય જેમણે માતાના આદર્શને અપનાવીને, સમાજ માટે સમર્પિત થઈને અને કલાને જીવનનો અંગ બનાવીને એક નવો સેવાસેતુ બનાવ્યો છે.
(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

