- Opinion
- ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને...
ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા
(ઉત્કર્ષ પટેલ)
સ્વભાવે સરળ અને સ્પષ્ટ વ્યક્તિત્વ ધરાવતા ડૉ. મહેન્દ્રસિંહ દેવસિંહ ચૌહાણ ગુજરાતના પ્રસિદ્ધ આંખના સર્જન છે. 24 ડિસેમ્બર 1964ના દિવસે તેમનો જન્મ થયો હતો. તેઓ કેશવી આંખ હોસ્પિટલના સંચાલક છે અને લાંબા સમયથી ગરીબોની સેવા કરી રહ્યા છે. તેમણે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી 1987માં એમબીબીએસ, 1990માં ડીઓએમએસ, 1991માં એમએસ (ઓફ્થલ્મોલોજી) અને 2014માં પીએચડીની ડિગ્રી મેળવી છે. તેઓ ઘણા વર્ષ સુધી સરકારી મેડિકલ કોલેજ સુરતમાં અસિસ્ટન્ટ અને એસોસિયેટ પ્રોફેસર તરીકે કામ કરી ચૂક્યા છે. હાલમાં તેઓ શ્રી ભારતી મૈયા કોલેજ ઓફ ઓપ્ટોમેટ્રી એન્ડ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ છે.

આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રમાં તેમનું યોગદાન નોંધનીય રહ્યું છે. તેઓ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સિંડિકેટ, સેનેટ અને મેડિસિન ફેકલ્ટીના ડીન તરીકે કામ કરી ચૂક્યા છે. રાષ્ટ્રીય સ્તરે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં પણ તેઓ ઇલેક્ટેડ મેમ્બર હતા અને ત્યાં અનેક સબ-કમિટીમાં સેવા આપી છે. દેશમાં મેડિકલની બેઠકો વધારવા અંગે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ સતત રજૂઆતો કરી હતી જેનું પરિણામ મળ્યું હતું. ગુજરાતમાં મેડિકલ શિક્ષણ અને હેલ્થકેર સુધારવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી છે.

ડૉ. ચૌહાણ સેવાકાર્ય માટે વિશેષ જાણીતા છે. વર્ષ 2000થી સત્ય સાઈ આંખ હોસ્પિટલમાં તેઓ ઓનરરી સર્જન તરીકે કામ કરે છે. અત્યાર સુધીમાં તેમણે 20000થી વધુ કેટેરેક્ટની સર્જરીઓ ગરીબ લોકો માટે સંપૂર્ણ મફત કરી છે. આ સેવા માટે તેમને શ્રી સત્ય સાઈ ધન્વંતરી સેવા એવોર્ડ મળ્યો છે.
તેઓ ભરત કેન્સર હોસ્પિટલના ચેરમેન છે. આઈ વ્યુ લેસર વિઝનના સ્થાપક છે જ્યાં દક્ષિણ ગુજરાતના 40 જેટલા આંખના ડોક્ટરો સાથે મળીને અદ્યતન લેસર સર્જરીની સુવિધા પૂરી પાડે છે. તેઓ કે.પી. સંઘવી જનરલ અને આંખ હોસ્પિટલના ટ્રસ્ટી પણ છે. સુરત પોલીસના સ્ટાફ માટે સ્માર્ટ કોપ હેલ્થ કાર્ડ શરૂ કરવામાં તેમનો મહત્વનો ફાળો રહ્યો છે.
સમાજસેવામાં તેઓ રાજપૂત સમાજ સાથે પણ જોડાયેલા છે. તેઓ રાજપૂત સમાજ સાઉથ ગુજરાત ક્ષત્રિય સંઘના એક્ઝિક્યુટિવ મેમ્બર અને રાજપૂત સમાજ ડોક્ટર એસોસિયેશનના સ્થાપક સેક્રેટરી છે.

તેમનું વ્યક્તિત્વ નમ્ર, કાર્યક્ષમ અને સ્પષ્ટ નિર્ણયો માટે ચર્ચામાં છે. તેઓ વિવાદ ટાળીને સર્વસમ્મતિથી કાર્યો કરે છે. વિદ્યાર્થી જગત અને રાજકીય સમીકરણોમાં તેઓ હંમેશા ચર્ચાઓમાં રહેતા હોય છે. તેમણે અનેક સંશોધન પેપર્સ પ્રકાશિત કર્યા છે અને ચાર વિદ્યાર્થીઓએ તેમના માર્ગદર્શન હેઠળ પીએચડી પૂર્ણ કરી છે. તેમને ડૉ. કે.જે. ગણાત્રા રોટેટિંગ ટ્રોફી (2011-12) જેવા પુરસ્કારો મળ્યા છે. તેમના પત્ની ડૉ. બિનોદિની ચૌહાણ પણ તબીબી ક્ષેત્રમાં સક્રિય છે અને દીકરી કેશવી પણ ડોક્ટર છે.
ડૉ. ચૌહાણ એમના જીવનમાં આપણા દેશના વધપ્રધાન નરેન્દ્રભાઈ મોદીથી વિશેષ પ્રભાવિત રહ્યા છે. તેઓ કહેતા હોય છે કે " નરેન્દ્ર ભાઈ આપણા દેશનું ગૌરવ છે અને આપણાથી બને એટલો આપણે એમને સાથ આપવો જોઈએ. એમના કહે દેશ સેવા કરવી એ સાચી સેવા છે. "
ડોક્ટર હોવું અને વ્યસ્તતા વચ્ચે વિદ્યાર્થી જગત અને મેડિકલ સંસ્થાગત સેવાઓ આપવી અને એના માટે સમયનું સંતુલન કરવાની વિશેષ આવડત ડૉ. ચૌહાણ ધરાવે છે. સમાજ પાસે વળતર મેળવવાની અપેક્ષા વિના અવિરત સેવામાં રચ્યાપચ્યા રહેતા આવા લોકોથી જ સમાજસેવા નો દીપ પ્રકાશ ફેલાવતો રહે છે.
(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

