- Gujarat
- PPSK બન્યું આશાનું કવચ : સ્વ. રમેશભાઈના પરિવારને રૂ. 10 લાખની સહાય
PPSK બન્યું આશાનું કવચ : સ્વ. રમેશભાઈના પરિવારને રૂ. 10 લાખની સહાય
સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ-સુરત પ્રેરિત “પાટીદાર પરિવાર સુરક્ષા કવચ (PPSK)” યોજના સમાજમાં મુશ્કેલીના સમયમાં પરિવારો માટે મજબૂત આધારરૂપ બની રહી છે. PPSK યોજના અંતર્ગત સભ્ય સ્વ. રમેશભાઈ બફલીપરાના બ્રેઈનડેડ થવાને કારણે થયેલા દુઃખદ અવસાન બાદ તેમના પરિવારને રૂપિયા 10 લાખની સહાયનિધિનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા સ્વ. રમેશભાઈ એમ્બ્રોડરી મશીન ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમના ભાઈ મુકેશભાઈ સાથે થયેલી વાતચીત દરમિયાન જાણવા મળ્યું કે માત્ર એક મહિના અગાઉ જ તેમના પિતાનું પણ અવસાન થયું હતું. ત્યારબાદ ટૂંકા સમયમાં જ રમેશભાઈનું પણ અવસાન થતાં પરિવાર પર દુઃખનો ડબલ આઘાત આવ્યો હતો. પરિવારની આર્થિક પરિસ્થિતિ મધ્યમ હોવાથી PPSK યોજનાની આ સહાય તેમના માટે આશીર્વાદ સમાન બની રહી છે.

સ્વ. રમેશભાઈની દીકરી નેત્રાબેને લાગણીસભર શબ્દોમાં જણાવ્યું હતું કે, “મારા પિતાના અવસાન પછી PPSK દ્વારા મળેલી ₹ 10 લાખની આર્થિક સુરક્ષાથી હવે મારા કોલેજનું ભણતર પૂર્ણ થઈ શકશે. આ સહાય માત્ર રકમ નથી, પરંતુ અમારા પરિવાર માટે નવી આશા અને હિંમત છે.”
તેમના દીકરા યજ્ઞએ જણાવ્યું હતું કે, “મેં રાજકોટ ગુરુકુલમાં એડમિશન લઈ લીધું છે અને મને 4th રેન્ક મળ્યો છે. હવે PPSK દ્વારા મળેલી આર્થિક સહાયથી મારું ભણતર પણ સારી રીતે પૂર્ણ થઈ જશે.”
પત્ની શિલ્પાબેને ભાવુક બની જણાવ્યું હતું કે, “મને મારી દીકરી અને દીકરાના ભવિષ્યની ખૂબ ચિંતા હતી. તેમના કરિયર અને ભણતર માટે પૈસા વગર આગળ કેવી રીતે વધવું એ મોટો પ્રશ્ન હતો. પરંતુ હવે PPSK દ્વારા મળેલી ₹ 10 લાખની સહયોગ નિધિ પછી મનમાં કોઈ ચિંતા રહી નથી. હવે બાળકોનું ભવિષ્ય વધુ સુરક્ષિત લાગે છે.”
PPSK યોજના અંતર્ગત 18 થી 55 વર્ષના કાર્યરત સભ્યનું અવસાન થાય ત્યારે તેમના પરિવારજનોને રૂપિયા 10 લાખની સહાય પહોંચાડવામાં આવે છે, જેથી પરિવારને તાત્કાલિક આર્થિક આધાર મળી રહે અને પત્ની તથા બાળકોને કોઈની લાચારી કરવી ન પડે. આ યોજનાની વિશેષતા એ છે કે આ માત્ર વીમા સુરક્ષા નથી, પરંતુ સમાજમાં આર્થિક સંવેદના અને સહકારનું જીવંત ઉદાહરણ છે.

કોઈપણ ઘરમાં આધારભૂત પરિવારજન છીનવાઈ જાય ત્યારે પરિવાર નિરાધાર બની જતો હોય છે. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં પરિવારને ફરી ઉભો કરવામાં PPSK યોજના મહત્વપૂર્ણ સહયોગ આપી રહી છે.
મૃતકના ભાઈ મુકેશભાઈએ PPSK યોજનાની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, “જે પરિવારે મોભી ગુમાવ્યો હોય તેની ખોટ તો ક્યારેય પૂરી થઈ શકતી નથી, પરંતુ આવી મુશ્કેલ ઘડીએ 10 લાખ જેવી સહાય પરિવાર માટે મોટો આધાર બની શકે છે. સમાજની આ સૌથી ઉપયોગી અને માનવતાભરી યોજનાઓમાંની એક છે. હવે મારા પર એક પરિવારના બદલે બે પરિવારની જવાબદારી આવી ગઈ છે, પરંતુ PPSK દ્વારા મળેલી સહયોગ નિધિથી મારી ચિંતામાં ઘણો ઘટાડો થયો છે. સમાજ દ્વારા ચાલતી આવી ઉત્તમ યોજનામાં દરેક સભ્યએ જોડાવું જોઈએ અને આ યોજનાનો ગામે ગામ તેમજ દરેક પરિવારમાં વધુમાં વધુ પ્રસાર કરવો જોઈએ.”
સ્વ. રમેશભાઈ બફલીપરાના દુઃખદ અવસાન બાદ PPSK હોદ્દેદારો તથા આગેવાનો પરિવારને સાંત્વના પાઠવવા ઉપસ્થિત રહ્યા હતા.
મનિષભાઈ રમેશભાઈ કાપડિયા (લોઠપુર) – PPSK પ્રમુખ
ગણપતભાઈ ભુરાભાઈ ધામેલિયા (ઘેટી દુધાળા) – PPSK ઉપપ્રમુખ
શૈલેષભાઈ લાલજીભાઈ રાદડીયા (સનાળિયા) – PPSK મંત્રી
હસમુખભાઈ રાઘવભાઈ શિંગાળા (વિકળીયા) – PPSK સહમંત્રી
આગેવાનોએ જણાવ્યું હતું કે PPSK યોજના સમાજના દરેક પરિવાર માટે સંવેદના અને સુરક્ષાનું મજબૂત કવચ બની રહી છે. સમાજના આગેવાનો દ્વારા વધુમાં વધુ પરિવારોને PPSK યોજના સાથે જોડાવા અનુરોધ કરવામાં આવ્યો છે, જેથી કોઈપણ પરિવાર મુશ્કેલીના સમયમાં એકલો ન રહે.

