- National
- પહેલા પતિ સાથે મળીને બીજા પતિને પતાવી દીધો, 8 રાજ્યોમાં વેશ બદલીને છુપાતી પત્ની, સુરતથી પકડાયા બંને
પહેલા પતિ સાથે મળીને બીજા પતિને પતાવી દીધો, 8 રાજ્યોમાં વેશ બદલીને છુપાતી પત્ની, સુરતથી પકડાયા બંને
મધ્ય પ્રદેશના પન્ના જિલ્લામાં 2025માં બનેલા હાઇ-પ્રોફાઇલ નન્નુ સોની હ*ત્યા કેસમાં પોલીસે લગભગ એક વર્ષ પછી એક સનસનાટીભર્યો ખુલાસો કર્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ કાવતરું કોઈ બહારના વ્યક્તિ દ્વારા નહીં, પરંતુ મૃતકની પત્ની અર્ચના સોનીએ તેના પહેલા પતિ રામપ્રતાપ સોની સાથે મળીને રચ્યું હતું. બંનેએ મિલકતના વિવાદને કારણે નન્નુ સોનીને પતાવી દેવામાં આવ્યો અને ત્યારબાદ સતત સ્થાનો બદલતા આઠ રાજ્યોમાં વેશ બદલીને પોલીસથી બચતા રહ્યા. આખરે, પન્ના પોલીસે સુરત (ગુજરાત)માં બંને આરોપીઓની ધરપકડ કરી.
વિગતો જાહેર કરતા પોલીસ અધિક્ષક નિવેદિતા નાયડુએ જણાવ્યું હતું કે અજયગઢ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના બગહા ગામના રહેવાસી રામપ્રતાપ સોની અને અર્ચનાએ લગભગ 8-9 વર્ષ પહેલાં લગ્ન કર્યા હતા અને તેમને બે બાળકો પણ છે. કૌટુંબિક વિવાદને કારણે, અર્ચના તેના પિયરે પાછી જતી રહી હતી. બાદમાં, 27 મે, 2025ના રોજ, તેણે રૈપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળવા બઘવારકલાંના રહેવાસી નન્નુ સોની સાથે કોર્ટ મેરેજ કર્યા અને તેના બે બાળકો સાથે તેના ઘરે રહેવા લાગી.
બીજા લગ્નના થોડા સમય પછી દંપતી વચ્ચે વિવાદો શરૂ થયા. પોલીસના જણાવ્યા અનુસાર, અર્ચના ઇચ્છતી હતી કે નન્નૂ તેની જમીન અને મિલકત તેના બે પુત્રોના નામે કરી દે, જ્યારે નન્નુને અર્ચનાના બાળકો પસંદ નહોતા. આ વાતને કારણે તેમની વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. વધતા વિવાદ વચ્ચે અર્ચનાએ તેના પહેલા પતિ રામપ્રતાપનો સંપર્ક કર્યો અને સંપૂર્ણ પરિસ્થિતિ સમજાવી. ત્યારબાદ સાથે મળીને, તેઓએ નન્નુને ખતમ કરવાનું કાવતરું ઘડ્યું.
પોલીસના જણાવ્યા અનુસાર, 10 જુલાઈ, 2025ની રાત્રે રામપ્રતાપ ચૂપચાપ બઘવારકલાં પહોંચ્યો. જ્યારે નન્નૂ સોની તેના રૂમમાં સૂતો હતો, ત્યારે અર્ચના અને રામપ્રતાપે તેના માથા પર ભારે લાકડાના દંડાથી અનેક પ્રહાર કર્યા. નન્નૂને ગંભીર ઈજાઓ થઈ અને તેનો ઘટનાસ્થળે જ જીવ જતો રહ્યો. હત્યા બાદ, બંને આરોપીઓ અર્ચનાના બાળકોને પોતાની સાથે લઈ ફરાર થઇ ગયા.
હત્યા બાદ, આરોપીઓ વારંવાર તેમના દેખાવ, મોબાઇલ નંબર અને સ્થળો બદલતા હતા. પોલીસે તેમની શોધમાં મધ્યપ્ર દેશ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર, દિલ્હી, છત્તીસગઢ અને ગુજરાત સહિત અનેક રાજ્યોમાં દરોડા પાડ્યા હતા. લાંબા સમય સુધી કોઈ કડી ન મળ્યા બાદ આરોપીઓ સાયબર સેલ અને એક બાતમીદાર નેટવર્કની મદદથી સુરતના કાપોદ્રા વિસ્તારમાં મળી આવ્યા હતા; ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.
SP નિવેદિતા નાયડુએ જણાવ્યું હતું કે, આ કેસનું કોકડું ઉકેલવામાં રૈપુરા સ્ટેશન ઇન્ચાર્જ સબ-ઇન્સ્પેક્ટર સ્મિતા સિંહ બઘેલ, પન્ના સાયબર સેલ અને એક ખાસ પોલીસ ટીમની મુખ્ય ભૂમિકા ભજવી હતી. લગભગ એક વર્ષ સુધી ફરાર રહ્યા બાદ બંને આરોપીઓની ધરપકડ સાથે પોલીસે આ હાઇ-પ્રોફાઇલ કેસને સફળતાપૂર્વક ઉકેલી લીધો છે. બંને આરોપીઓની હાલમાં પૂછપરછ ચાલી રહી છે અને તેમને કોર્ટમાં રજૂ કરીને આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

