- National
- આને બાપ કેવી રીતે કહેવો... 3 દીકરીઓ, પત્નીને પથ્થરથી પતાવી દીધી, રાત્રે બની ગયો હેવાન
આને બાપ કેવી રીતે કહેવો... 3 દીકરીઓ, પત્નીને પથ્થરથી પતાવી દીધી, રાત્રે બની ગયો હેવાન
રાતનો સમય હતો. ઘરમાં બધા સૂતા હતા. એક રૂમમાં પત્ની હતી અને બીજા રૂમમાં ત્રણ દીકરીઓ. કોઈને ખ્યાલ પણ નહોતો કે આવતીકાલની સવાર સુધીમાં આ પરિવારની કહાની આખા જયપુરને હચમચાવી નાખશે. પોલીસના જણાવ્યા અનુસાર, મોડી રાત્રે પરિવારનો મોભી એક પથ્થર લઇને ઉઠ્યો અને પછી... સવાર સુધીમાં ઘરમાંથી ચાર મૃતદેહો મળી આવ્યા. મૃતકોમાં એક મહિલા અને તેની ત્રણ દીકરીઓ હતી.
આરોપ ઘરના એ વ્યક્તિ પર છે, જે તે ત્રણ દીકરીઓના પિતા હતો. પોલીસ તપાસ દરમિયાન સામે આવેલો ઘટનાક્રમ વધુ ચોંકાવનારો છે. આરોપ છે કે પત્ની અને ત્રણ દીકરીઓની હત્યા કર્યા પછી, આરોપીએ સવારે દૂધ લીધુ, વૃદ્ધ પિતાને ચા બનાવીને પીવડાવી અને પછી ઘર ફરાર થઇ ગયો.
આ ઘટના જયપુરના કરધની વિસ્તારમાં બની હતી. શુક્રવારે સવારે લગભગ 10 વાગ્યે પોલીસને ગોવિંદ વાટિકામાં ચાર લોકોની હત્યાની માહિતી મળી હતી. સમાચાર મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘરની તપાસ શરૂ કરી. રાહુલ ઝાની પત્ની ગીતા ઝાનો મૃતદેહ પહેલા માળના એક રૂમમાંથી મળી આવ્યો હતો. ત્યારબાદ પોલીસ ગ્રાઉન્ડ ફ્લોર પર ગઈ, જ્યાં બે અલગ-અલગ રૂમમાંથી ત્રણ દીકરીઓના મૃતદેહો મળી આવ્યા હતા.
નંદિની (23), રાધિકા (18) અને ગૌરી (14)... એક જ ઘરમાં માતા અને તેની ત્રણ દીકરીઓના મૃત્યુના સમાચારથી સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. DCP (વેસ્ટ) પ્રશાંત કિરણના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં આશંકા છે કે આ ગુનો મોડી રાત્રે આચરવામાં આવ્યો હતો. પોલીસનું માનવું છે કે તે સમયે ચારેય પીડિતો ગાઢ નિદ્રામાં હતા. આરોપ છે કે રાહુલ ઝા તેમની પાસે ગયો અને પથ્થર વડે તેમના પર હુમલો કર્યો.
ચારેય પીડિતોના માથા અને ચહેરા પર ગંભીર ઈજાના નિશાન મળી આવ્યા હતા. પોલીસને ઘટનાસ્થળેથી એક પથ્થર પણ મળ્યો છે, જે ગુનામાં વપરાયેલું હથિયાર હોવાની શંકા છે. તપાસકર્તાઓ હવે તે રાત્રિના ઘટનાક્રમને ફરીથી સમજવા માટે ઘટનાસ્થળેથી મળેલા પુરાવાઓને જોડી રહ્યા છે. પોલીસ તપાસ દરમિયાન સામે આવેલી ઘટનાક્રમની વિગતો મુજબ, હત્યાઓ બાદ પણ રાહુલ ઝાનું વર્તન સામાન્ય રહ્યું હતું. સવારે લગભગ 7:00 વાગ્યે, તે દૂધ લેવા માટે દૂધવાળા પાસે ગયો અને ત્યારબાદ ઘરે પાછો ફર્યો. તેણે તેના વૃદ્ધ પિતા લક્ષ્મીનાથ માટે ચા બનાવી અને તેને પીવડાવી. પછી તે ઘરની બહાર નીકળી ગયો.
જરા કલ્પના કરો, જે ઘરમાં થોડા કલાકો પહેલાં જ ચાર લોકોએ જીવ ગુમાવ્યો હતો, તે જ ઘરમાં ચા બનાવવામાં આવી રહી હતી. પોલીસ હવે આ સમગ્ર ઘટનાક્રમની તપાસ કરી રહી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે રાહુલ ઝા શેર ટ્રેડિંગના વ્યવસાય સાથે સંકળાયેલો હતો અને થોડા દિવસો પહેલા જ ગુજરાતથી જયપુર ગયો હતો.
તેની પત્ની ગીતા ઝા ઘરના પહેલા માળે બુટિક ચલાવતી હતી, જ્યારે તેમની મોટી દીકરી નંદિની અભ્યાસની સાથે ખાનગી નોકરી કરતી હતી. જોકે, શુક્રવારની સવારે જે તસવીર સામે આવી, તેણે સમગ્ર પરિવારને હચમચાવી નાખ્યો. પત્ની અને ત્રણ દીકરીઓ હવે જીવિત નથી, અને જે રાહુલ ઝા પર હત્યાનો આરોપ છે, તે ફરાર હતો.
તપાસ દરમિયાન પોલીસને વધુ એક વિગત જાણવા મળી છે. ઘટનાના લગભગ ત્રણ દિવસ પહેલા રાહુલ ઝાએ પાડોશી પાસેથી 25,000 રૂપિયા ઉછીના લીધા હતા. પોલીસ હવે આ માહિતીને પણ તપાસમાં સામેલ કરી રહી છે. શું રાહુલ આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યો હતો? શું કોઈ કૌટુંબિક વિવાદ ચાલી રહ્યો હતો? શું તેને શેર ટ્રેડિંગમાં નુકસાન થયું હતું? કે પછી હત્યાઓ પાછળ કોઈ અન્ય કારણ હતું? આ પ્રશ્નોના જવાબ હજુ મળ્યા નથી. પોલીસ આર્થિક મુશ્કેલી અને કૌટુંબિક વિવાદ સહિતના વિવિધ પાસાઓથી આ કેસની તપાસ કરી રહી છે. હાલમાં, જયપુર પોલીસ આરોપી રાહુલ ઝાની સઘન શોધખોળ કરી રહી છે.
આખરે, હત્યાઓ પાછળનો હેતુ શું છે? અને મહત્ત્વની વાત એ છે કે, ચાર લોકોની હત્યા બાદ આરોપીના કથિત સામાન્ય વર્તનની કહાની શું કહે છે? આ પ્રશ્નોના જવાબ પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ અને આરોપીની ધરપકડ થયા પછી જ મળી શકશે.

