- National
- માતાને વધુ પ્રેમ કરતા બાળકોને પિતા બાઇક પર બેસાડીને લઇ ગયો અને નહેરમાં ફેંકી દીધા
માતાને વધુ પ્રેમ કરતા બાળકોને પિતા બાઇક પર બેસાડીને લઇ ગયો અને નહેરમાં ફેંકી દીધા
કર્ણાટકના યાદગિર જિલ્લાના શાહપુર તાલુકાના ગોગી ગામમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં, એક પિતાએ કૌટુંબિક વિવાદને કારણે પોતાના જ માસૂમ બાળકોને નહેરમાં ફેંકી દીધા. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી પિતાનું નામ શાંતપ્પા છે. આરોપી શાંતપ્પાનો પોતાની પત્ની રેણુકા સાથે મિલકતના વિવાદને લઈને વારંવાર ઝઘડો થતો રહેતો હતો. ઘટનાના દિવસે પણ દંપતી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
ઝઘડા પછી ગુસ્સે ભરાયેલા શાંતપ્પાએ તેના ત્રણ બાળકોને બાઇક પર બેસાડ્યા અને ઘરેથી નીકળી ગયો. તે બાળકોને લઇને નજીકની નહેર પાસે પહોંચ્યો. ત્યાં, તેણે તેની 9 વર્ષની પુત્રી સાનવી અને અઢી વર્ષના પુત્ર સૃજનને નહેરમાં ધકેલી દીધા. આ ભયાનક ઘટના દરમિયાન શાંતપ્પાની ત્રીજી પુત્રી 6 વર્ષની સંજના પણ હતી. જ્યારે તેણે તેના ભાઈ-બહેનોને નહેરમાં ફેંકતા જોયા ત્યારે તે ગભરાઈ ગઈ.
નાની સંજનાએ તેના પિતાના પગ પકડી લીધા અને રડતા પોતાના જીવન માટે વિનંતી કરવા લાગી. તેણે પોતાના પિતાને કહ્યું કે તે તેને ન મારે અને તેને વળગી પડી. તેની પુત્રીની નિર્દોષ વિનંતીઓને કારણે તેણે સંજનાને ન મારી. ત્યારબાદ તે તેને સુરક્ષિત રીતે યાદગિર પાછો લઇ આવ્યો.
યાદગીર પહોંચ્યા પછી, આરોપી શાંતપ્પાએ પોતે પોલીસ ઇમરજન્સી નંબર,112 ડાયલ કર્યો. તેણે પોલીસ કર્મચારીઓને જાણ કરી કે તેણે તેના બાળકોને નહેરમાં ફેંકી દીધા છે. આરોપીએ પોતે જ આટલી ગંભીર ઘટનાની જાણ કરવા માટે ફોન કરતા પોલીસ આશ્ચર્યચકિત થઈ ગઈ. પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી અને એક ટીમ ઘટનાસ્થળે મોકલી.
યાદગિરના પોલીસ અધિક્ષક (SP) પૃથ્વી શંકરે ઘટના અંગે સંપૂર્ણ વિગતો આપી છે. તેમણે જણાવ્યું હતું કે આ ઘટના ગોગી પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળ આવતા વિસ્તારમાં બની હતી. SP પૃથ્વી શંકરે જણાવ્યું કે માહિતી મળી ત્યાં સુધીમાં રાત થઈ ગઈ હતી, જેના કારણે ફાયર અને રેસ્ક્યૂ ટીમ માટે અંધારામાં શોધખોળ હાથ ધરવી અશક્ય બની ગઈ હતી. ત્યારબાદ, બીજા દિવસે સવારે લગભગ 6:00 વાગ્યે કેનાલમાં ગુમ થયેલા બાળકોને શોધવા માટે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી. અમારી ફાયર અને રેસ્ક્યૂ ટીમ નવ વર્ષની સાનવી અને અઢી વર્ષની સૃજનના મૃતદેહ મેળવવા માટે સતત પ્રયાસો કરી રહી છે. પોલીસનું કહેવું છે કે બાળકોના મૃતદેહ મળતાની સાથે જ આરોપીઓ સામે હત્યાનો કેસ નોંધવામાં આવશે અને કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી શાંતપ્પા માનસિક રીતે પરેશાન લાગી રહ્યો હતો છે. પૂછપરછમાં એ પણ ખુલાસો થયો કે બંને બાળકોને તેમની માતા પ્રત્યે વધુ લાગણી હતી; આરોપીએ દાવો કર્યો હતો કે તેની એ બાળકો સાથે લાગણી નહોતી. હાલમાં, પોલીસ શક્ય તેટલી ઝડપથી બાળકોને શોધવા માટે શક્ય તેટલા બધા પ્રયાસો કરી રહી છે. પોલીસનું કહેવું છે કે બાળકો મળી આવ્યા પછી કેસ અંગે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

