- Gujarat
- વી. ટી. ચોકસી સાર્વજનિક લો કોલેજ ખાતે યુવાનોમાં ડાયાબિટીસ અને ઓબેસિટીને અંકુશમાં લાવવા અંગે સેમિનાર
વી. ટી. ચોકસી સાર્વજનિક લો કોલેજ ખાતે યુવાનોમાં ડાયાબિટીસ અને ઓબેસિટીને અંકુશમાં લાવવા અંગે સેમિનાર યોજાયો
સુરત સ્થિત વી. ટી. ચોકસી સાર્વજનિક લો કોલેજ ખાતે યુવાનોમાં ડાયાબિટીસ અને ઓબેસિટીને અંકુશમાં લાવવા અંગેની સભાનતા માટેના ઉદ્દેશથી તા. 12 સપ્ટેમ્બર, 2026ના રોજ સવારે 10:00 વાગ્યે "Sleep and Food... The Main Pillars of Health" (ઊંઘ અને આહાર... આરોગ્યના મુખ્ય આધારસ્તંભો) વિષયક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ વિદ્વાન એડવોકેટ શ્રેયસ દેસાઈ (ચેરમેન, એડમિનિસ્ટ્રેટિવ કમિટી, વી. ટી. ચોકસી સાર્વજનિક લો કોલેજ, સુરત)ની પ્રેરણા અને માર્ગદર્શનમાં તથા ડૉ. ઇરમલા દયાલ (ઇન્ચાર્જ આચાર્ય, વી. ટી. ચોકસી સાર્વજનિક લો કોલેજ, સુરત) સુચારુ સંકલનથી સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

સેમિનારમાં રિસોર્સ પર્સન તરીકે ડૉ. કરસન વી. નંદાણિયા (M.D. Physician, ICU In-Charge, Mahavir Hospital, Surat તથા SIDS Hospital, Surat) અને ડૉ. મંથન શેઠ (M.B.B.S., Diabetes Specialist; વિશેષ રુચિ—સ્થૂળતા અને થાઇરોઇડ સંબંધિત સમસ્યાઓ) ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે વિદ્વાન એડવોકેટ શ્રેયસ દેસાઈએ ડાયાબિટીસ અને સ્થૂળતા જેવી વિવિધ બીમારીઓનો ઊંઘ તથા આહાર સાથેનો સંબંધ સમજાવી આ વિષય અંગે ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

ડૉ. કરસન વી. નંદાણિયાએ સ્વસ્થ જીવન માટે પૂરતી અને ગુણવત્તાયુક્ત ઊંઘનું મહત્ત્વ સમજાવ્યું હતું. તેમણે અનિયમિત ઊંઘ, તણાવ અને અસંતુલિત જીવનશૈલીને કારણે શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય પર થતી વિપરીત અસરો અંગે માર્ગદર્શન આપ્યું હતું. નિયમિત ઊંઘ, સમયબદ્ધ દિનચર્યા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની જરૂરિયાત પર તેમણે વિશેષ ભાર મૂક્યો હતો.

ડૉ. મંથન શેઠે સંતુલિત અને પૌષ્ટિક આહારના મહત્ત્વ અંગે વિસ્તૃત સમજ આપી હતી. તેમણે ડાયાબિટીસ અને સ્થૂળતા જેવી જીવનશૈલી સંબંધિત સમસ્યાઓને નિયંત્રિત કરવામાં યોગ્ય આહાર, નિયમિત કસરત અને સમયસર આરોગ્ય તપાસની ભૂમિકા સમજાવી હતી. તેમણે વિદ્યાર્થીઓને જંક ફૂડ અને અતિશય ખાંડયુક્ત ખોરાકથી દૂર રહીને સ્વાસ્થ્યપ્રદ આહાર અપનાવવા પ્રેરિત કર્યા હતા.
સેમિનારના અંતે યોજાયેલા પ્રશ્નોત્તરી સત્રમાં વિદ્યાર્થીઓએ ઊંઘ, આહાર, ડાયાબિટીસ, સ્થૂળતા અને થાઇરોઇડ સંબંધિત પ્રશ્નો પૂછ્યા હતા, જેના બંને નિષ્ણાતોએ સરળ અને માર્ગદર્શક રીતે જવાબ આપ્યા હતા.

વી. ટી. ચોકસી સાર્વજનિક લો કોલેજના 164થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓની વિશાળ ઉપસ્થિતિ અને સક્રિય સહભાગિતાને કારણે કાર્યક્રમ સફળ અને અસરકારક બન્યો હતો.

