- Gujarat
- સુરતમાં બોનસ અને રજા મુદ્દે શ્રમિકોનો વિરોધ ઉગ્ર બન્યો: પોલીસ પર પથ્થરમારો થતા લાઠીચાર્જ
સુરતમાં બોનસ અને રજા મુદ્દે શ્રમિકોનો વિરોધ ઉગ્ર બન્યો: પોલીસ પર પથ્થરમારો થતા લાઠીચાર્જ
સુરતના અમરોલી સ્થિત ટેક્સટાઈલ અને એમ્બ્રોઈડરી ખાતામાં કામ કરતા પરપ્રાંતીય શ્રમિકો દ્વારા રવિવારે બોનસ અને રજાઓ સહિતની વિવિધ પડતર માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન અને હડતાળનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વેદાંત ઈન્ડસ્ટ્રીઝ ચાર રસ્તા પાસે ભેગા થયેલા આશરે 500 શ્રમિકોના ટોળાએ પોલીસ પર અચાનક પથ્થરમારો શરુ કરી દીધો હતો. પરિસ્થિતિ બેકાબૂ બનતાં પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા લાઠીચાર્જ કરવો પડ્યો હતો.
એમ્બ્રોઇડરી, સાંઈ એમ્બ્રો, વેદાંત અને અંજની ઈન્ડસ્ટ્રીઝ જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય શ્રમિકો રોજગારી મેળવે છે. છેલ્લા કેટલાક દિવસોથી પોતાની માંગણીઓ સંતોષવા માટે રવિવારે હડતાળ પાળવા અંગેના મેસેજ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા હતા. આથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અમરોલી અને જહાંગીરપુરા પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ અને બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

રવિવારે વેદાંત ઈન્ડસ્ટ્રીઝ ચાર રસ્તા નજીક 500થી વધુ કારીગરો એકઠા થયા હતા. ઘટનાસ્થળે પહોંચેલી ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે માઈક પર એનાઉન્સમેન્ટ કરીને લોકોને શાંતિ જાળવવા વિનંતી કરી હતી. પોલીસે સમજાવ્યું હતું કે, પરવાનગી વગર આ રીતે એકઠા થવું ગેરકાયદેસર છે અને કાયદો હાથમાં લીધા વિના શાંતિપૂર્ણ રીતે રજૂઆત કરવી જોઈએ. પરંતુ, ઉશ્કેરાયેલા ટોળાએ કાયદાનો અનાદર કરીને પોલીસ ટીમ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો.
આ પથ્થરમારામાં ડીસીબી શાખા સાથે ફરજ બજાવતા પીસીબી શાખાના હેડ કોન્સ્ટેબલ અનુકુલકુમાર મદનમોહન દુબેના મોઢાના ભાગે પથ્થર વાગતાં તેઓ ગંભીર રીતે ઘવાયા હતા. ક્રાઈમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક તેમને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. પરિસ્થિતિ વણસતાં એસઓજી, પીસીબી અને અન્ય પોલીસ સ્ટેશનોમાંથી વધારાની પોલીસ ફોર્સ સ્થળ પર પહોંચી હતી અને ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો, જેનો વીડિયો પણ વાઇરલ થયો છે.

અમરોલી પોલીસ સ્ટેશનના પીઆઈ જે.બી. વનારે જણાવ્યા અનુસાર, સબ ઇન્સ્પેક્ટર આર.બી. ઝાલાની ફરિયાદના આધારે ગેરકાયદે મંડળી રચી, પૂર્વ આયોજિત કાવતરૂં ઘડી ફરજ પરના પોલીસ કર્મચારીઓ પર જીવલેણ હુમલો કરવા બદલ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ હાલ સીસીટીવી અને વાઇરલ વીડિયો રેકોર્ડિંગના આધારે મુખ્ય સૂત્રધારો અને પથ્થરમારો કરનારા તત્વોની ઓળખ કરી કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.
ઘટના બાદ અમરોલી પોલીસ સ્ટેશન ખાતે શ્રમિકોના પ્રતિનિધિઓ અને પોલીસ અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં શ્રમિકોએ પોતાની મુખ્ય માંગણીઓ રજૂ કરી હતી. પોલીસે આ માંગણીઓની લેખિત નોંધ લઈ લેબર ઓફિસર સમક્ષ રજૂ કરવાની ખાતરી આપી છે. મંગળવારે શ્રમ વિભાગ સાથે શ્રમિકોની બેઠક યોજાશે. જો આ બેઠકમાં યોગ્ય ઉકેલ નહીં આવે, તો શ્રમિકો મંગળવારે ફરીથી શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરશે તેમ જણાવવામાં આવ્યું છે.

