- Gujarat
- સુરત પૂર પીડિતો માટે હર્ષ સંઘવીની અનેક સહાયની જાહેરાત, 1 લાખ સુધી સહાય તેમજ 30 લાખ સુધી લોન મળશે અને...
સુરત પૂર પીડિતો માટે હર્ષ સંઘવીની અનેક સહાયની જાહેરાત, 1 લાખ સુધી સહાય તેમજ 30 લાખ સુધી લોન મળશે અને વ્યાજ...
સુરતની શરૂઆતના અઠવાડીયામાં (6 જુલાઈ)એ પડેલા ભારે વરસાદ બાદ પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, જેને કારણે જનજીવન ખોરવાઇ ગયું હતું અને શહેરના અનેક વિસ્તારોમાં બેટમાં ફેરવાઇ ગયા હતા. પૂરના પાણી વેપારીઓની દુકાનો અને ધંધાના સ્થળોમાં ઘૂસી જતા લાખો રૂપિયાના સામાનને નુકસાન થયું હતું અને અનેક વેપારીઓને ભારે આર્થિક નુકસાન વેઠવું પડ્યું હતું.
મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક કેશ ડોલ અને ઘરવખરી સહાય પહોંચાડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. શહેરમાં સ્વચ્છતા અને આરોગ્ય સેવાઓ ઝડપથી પુનઃસ્થાપિત થાય તે માટે ડોર-ટૂ-ડોર આરોગ્ય તપાસ, મેડિકલ કેમ્પો અને વિશેષ સફાઈ અભિયાન ચલાવવા પણ સૂચનાઓ આપવામાં આવી હતી. છેલ્લા એક અઠવાડિયાથી 9 હજારથી વધુ સ્વચ્છતા કર્મચારીઓ સતત કામગીરી કરી રહ્યા છે.
રાજ્ય સરકારે અત્યાર સુધીમાં 19 હજારથી વધુ નાગરિકોને કેશ ડોલ અને ઘરવખરી સહાય ચૂકવી દીધી છે. ખાસ વાત એ છે કે પ્રથમ માળે રહેતા અને પાણી ન ભરાયા હોવા છતાં રોજગાર પર અસર પડવાથી નોકરીએ જઈ શક્યા ન હોય એવા લોકોને પણ સહાય આપવામાં આવી છે.
ભારે વરસાદના કારણે વીમા સુરક્ષા વિના નુકસાન વેઠનારા વેપારીઓ અને નાના ધંધાર્થીઓને મદદરૂપ થવા માટે રાજ્ય સરકારે વિશેષ રાહત પેકેજ જાહેર કર્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે અસરગ્રસ્ત વેપારીઓ માટે વિશેષ રાહત પેકેજની જાહેરાત કરી છે.
દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, સરકારે વેપારીઓને 7,500 રૂપિયાથી લઈને 1 લાખ રૂપિયા સુધીની સહાય તેમજ ફરી ધંધો શરૂ કરી શકે તે માટે 30 લાખ રૂપિયા સુધીની લોન અને વ્યાજ સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ લારી-રેકડી ચલાવતા અને નુકસાન પામેલા લોકોને 7500 રૂપિયાની સહાય આપવામાં આવશે. આ ઉપરાંત 40 ફૂટ સુધીની નાની કેબિન ધરાવતા વેપારીઓને 25 હજાર રૂપિયા અને 40 ફૂટથી વધુ કદની કેબિન ધરાવતા વેપારીઓને 50 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે. જ્યારે પાકી દુકાનમાં નુકસાન થયેલા વેપારીઓને 1 લાખ રૂપિયા સુધીની સહાય ચૂકવવામાં આવશે. આ સહાયનો લાભ છેલ્લા 3 મહિનામાં GST રિટર્ન ભરનાર વેપારીઓને મળશે.
સરકારે અસરગ્રસ્ત વેપારીઓ માટે લોન સહાય યોજનાની પણ જાહેરાત કરી છે. આ યોજના હેઠળ ત્રણ વર્ષ સુધી લોનના વ્યાજ પર 7 ટકા સહાય રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. યોજનાના માપદંડ મુજબ, જીએસટીમાં 7 લાખ રૂપિયા સુધીનું ટર્નઓવર ધરાવતા વેપારીઓને 20 લાખ રૂપિયા સુધીની લોન અને 5 લાખ રૂપિયા સુધીની વ્યાજ સહાય મળશે. 7.5 લાખ રૂપિયા સુધીના ટર્નઓવર ધરાવતા વેપારીઓને 25 લાખ રૂપિયા સુધીની લોન અને 8 લાખ રૂપિયા સુધીની વ્યાજ સહાય આપવામાં આવશે. જ્યારે 7.5 લાખ રૂપિયાથી વધુ ટર્નઓવર ધરાવતા વેપારીઓને 30 લાખ રૂપિયા સુધીની લોન અને 10 લાખ રૂપિયા સુધીની વ્યાજ સહાય સરકાર દ્વારા આપવામાં આવશે.

