- Gujarat
- એક વ્યક્તિએ RTGSથી પૈસા ટ્રાન્સફર કરાવ્યા, ભૂલથી બીજાના ખાતામાં ગયા, બેંક પર કેસ કર્યો, કોર્ટે આપ્યો...
એક વ્યક્તિએ RTGSથી પૈસા ટ્રાન્સફર કરાવ્યા, ભૂલથી બીજાના ખાતામાં ગયા, બેંક પર કેસ કર્યો, કોર્ટે આપ્યો આ ચુકાદો
સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન (એડીશનલ)એ RTGS ટ્રાન્ઝેક્શન સંબંધિત એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે ઇલેક્ટ્રોનિક બેંકિંગ વ્યવહારમાં ગ્રાહક દ્વારા ખોટો એકાઉન્ટ નંબર આપવામાં આવે અને તેના આધારે રકમ અન્ય ખાતામાં જમા થઈ જાય તો તે કારણસર બેંકને સેવા ખામી માટે જવાબદાર ઠેરવી શકાય નહીં. આ કેસમાં ગ્રાહક દ્વારા બેન્ક સામે કરવામાં આવેલી ફરિયાદ ગ્રાહક કમિશને નામંજૂર કરી છે.
સુરતના એક ફરિયાદીએ બેન્ક ઓફ બરોડા (સરથાણા બ્રાન્ચ, વરાછા રોડ, સુરત) તથા બેન્કના ડેપ્યુટી જનરલ મેનેજર, ક્ષેત્રીય કાર્યાલય ઘોડદોડ રોડ, સુરત (સામાવાળા) વિરૂધ્ધ સુરત જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન (એડીશનલ) સમક્ષ ગ્રાહક ફરિયાદ દાખલ કરી હતી. જેમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે તેમણે તેમના સગાના કેનેરા બેન્કના ખાતામાં રૂા. 5૦,૦૦૦/- RTGS મારફતે નિયત ફોર્મ ભરીને ટ્રાન્સફર કરાવ્યા હતા. પરંતુ ટ્રાન્ઝેકશન ફોર્મમાં એકાઉન્ટ નંબર ભૂલથી ખોટો ફરિયાદીથી લખાઈ ગયેલો. આમ એક આંકડામાં ભૂલ રહી જતાં ફરિયાદીએ ટ્રાન્સફર કરાવેલી રકમ અન્ય વ્યકિતના ખાતામાં જમા થઈ ગઈ હતી. ત્યારબાદ ફરિયાદીને પોતાના સગાના ખાતમાં રકમ ટ્રાન્સફર ન થવા બાબતની જાણ થતા તેઓએ તરત જ સંબંધિત સંપર્ક બેન્ક અધિકારીઓને જાણ કરી ખોટા ખાતમાં ટ્રાન્સફર થયેલ રકમ પરત અપાવવાના રજૂઆતો કરી હતી તેમ છતા બેન્ક દ્રારા રકમ પરત ન મળતા અંતે ગ્રાહક કમિશનનો દરવાજો ખટખટાવવામાં આવ્યો હતો.
ફરિયાદી તરફે રજૂઆત રહી હતી કે ટ્રાન્સફર ફોર્મમાં લાભાર્થીનું નામ અને એકાઉન્ટ નંબર વચ્ચે મિસમેસ હતો, છતાં બેંકે કોઈ તકેદારી રાખ્યા વગર ટ્રાન્ઝેક્શન પૂર્ણ કર્યું હતું. બેંક દ્વારા યોગ્ય ચકાસણી કરવામાં આવી હોત તો રકમ ખોટા ખાતામાં જમા થતી અટકાવી શકાય તેમ હતું. તેમ જણાવી ફરિયાદીએ તેથી બેંકની બેદરકારી અને સેવા ખામી બદલ તેમને રકમ પરત અપાવવા સાથે વળતર અપાવવાની દાદ પણ માંગી હતી.
બીજી તરફ બેન્ક ઓફ બરોડા તરફથી એડવોકેટ શ્રેયસ દેસાઇ/ઈશાન દેસાઇ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે RTGS અને NEFT જેવી ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર સિસ્ટમમાં વ્યવહાર મુખ્યત્વે ગ્રાહકે નિયત ફૉર્મમાં દર્શાવેલ લાભાર્થીના એકાઉન્ટ નંબરના આધારે જ કરવામાં આવે છે. RBIની માર્ગદર્શિકામાં ખાતા નંબરને જ મુખ્ય ઓળખ તરીકે માન્ય રાખવાનું જણાવવામાં આવેલ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગ્રાહક દ્વારા આપેલી વિગતોના આધારે જ ટ્રાન્ઝેક્શન પ્રક્રિયા કરવામાં આવેલ હતી અને તેમાં બેંક તરફથી કોઈ બેદરકારી અથવા સેવામાં ખામી રહી નહોતી.
સુરત જિલ્લા ગ્રાહક કમિશને (એડિશનલ) ના પ્રમુખ ન્યાયાધીશ કે. જે. દશૌંદી તથા સભ્ય પૂર્વી જોશીએ પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે ફરિયાદીએ પોતે જ ટ્રાન્ઝેક્શન ફોર્મમાં ખોટો એકાઉન્ટ નંબર દર્શાવ્યો હતો. કમિશન RBI ની માર્ગદર્શિકાનો પણ ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે RTGS અને NEFT વ્યવહારમાં ખાતા નંબરને મુખ્ય આધાર માનવામાં આવે છે અને લાભાર્થીના નામમાં મિસમેસ હોવા છતાં ટ્રાન્ઝેક્શન પ્રક્રિયા થઈ શકે છે. આવા સંજોગોમાં બેંકને જવાબદાર ગણાવી શકાય નહીં.
અંતમાં ગ્રાહક કમિશને ફરિયાદીઓ બેન્ક ઓફ બરોડા સામેની સેવામાં ખમીની ફરિયાદ નામંજૂર કરી હતી. આ ચુકાદો ઇલેક્ટ્રોનિક બેંકિંગ (E-Banking) ની સેવા મેળવતા હજારો ગ્રાહકો માટે સાવચેતીનું મહત્ત્વ દર્શાવતો મહત્ત્વપૂર્ણ નિર્ણય છે.

