- Politics
- ‘હું વકીલ છું; ખુલ્લેઆમ લડીશ’, ભાજપ સામે મમતા બેનર્જીની મોટી જાહેરાત
‘હું વકીલ છું; ખુલ્લેઆમ લડીશ’, ભાજપ સામે મમતા બેનર્જીની મોટી જાહેરાત
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને TMC સુપ્રીમો મમતા બેનર્જીએ ફરી એકવાર કેન્દ્રમાં શાસક ભાજપ સામે બ્યૂગલ ફૂંકી દીધું છે. રવિન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં બોલતા મમતા બેનર્જીએ હુંકાર ભરતા કહ્યું હતું કે, ‘હું પોતે એક વકીલ છું, અને હવે, ભાજપ સામે આ કાનૂની અને રાજકીય લડાઈ ખુલ્લેઆમ લડવામાં આવશે.’ મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે બંગાળમાં સરમુખત્યારશાહીનો યુગ શરૂ થયો છે, જ્યાં તેમને પ્રતિષ્ઠિત વ્યક્તિઓની જન્મજયંતિ ઉજવવાની પણ પરવાનગી આપવામાં આવી રહી નથી.
તેમણે કહ્યું કે તેમણે કાલીઘાટ વળાંક અને ફાયર બ્રિગેડ સ્ટેશન જેવા સ્થળોએ ટાગોરની જન્મજયંતિ ઉજવવાની પરવાનગી માંગી હતી, પરંતુ વહીવટીતંત્રએ ત્રણેય સ્થળો માટે પરવાનગી આપવાનો ઇનકાર કર્યો હતો. આને લોકશાહીની હ*ત્યા ગણાવતા તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, TMCને ચૂપ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ નિર્ભય નાગરિકો તેમની માતૃભૂમિની રક્ષા કરવા માટે એકજૂથ થઇને જવાબ આપશે.
મમતાએ ખૂબ જ ભાવુક થઇને આરોપ લગાવ્યો કે ભાજપ બંગાળમાં આતંક મચાવી રહી છે. તેમણે 92 વર્ષીય દલિત મહિલા અને નવપરિણીત દુલ્હનને તેમના ઘર ખાલી કરવાનો ઉલ્લેખ કરતા ગે પોલીસના મૌન પર સવાલ ઉઠાવ્યા. પોતાની સુરક્ષા હટાવવા પર નારાજગી વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, જ્યારે તેઓ 2011માં સત્તામાં આવ્યા ત્યારે તેમણે ભૂતપૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્ય માટે સુરક્ષાની સંપૂર્ણ ખ્યાલ રાખ્યો હતો; જોકે, ભાજપે સત્તા સંભાળતા જ તેમની સુરક્ષા તાત્કાલિક દૂર કરી દીધી હતી.
મમતા બેનર્જીએ દાવો કર્યો હતો કે દેશભરના અનેક મોટા વિપક્ષી નેતાઓ તેમના સંપર્કમાં છે. તેમણે જણાવ્યું હતું કે તેમણે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને ખડગે સાથે વાત કરી છે. ઉદ્ધવ ઠાકરે, તેજસ્વી યાદવ, અખિલેશ યાદવ અને અરવિંદ કેજરીવાલ જેવા નેતાઓ પણ તેમની સાથે છે.
તેમણે ઉમેર્યું હતું કે કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંઘવી જેવા અનુભવી વકીલો આ કાનૂની લડાઈમાં પોતાનો ટેકો આપશે. સાંસદ મહુઆ મોઇત્રાનો ઉલ્લેખ કરતા મમતાએ આરોપ લગાવ્યો હતો કે દિલ્હી જતી ફ્લાઇટમાં મુસાફરી કરતી વખતે તેમને પરેશાન કરવામાં આવ્યા હતા. મમતાના મતે, તેમની પાસે આ ઘટનાના નક્કર પુરાવા અને વીડિયો ફૂટેજ છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેઓ અને તેમના પક્ષના વકીલ-નેતાઓ, જેમ કે કલ્યાણ બેનર્જી આ લડાઈને અંજામ સુધી પહોંચાડશે.

