- National
- શું પંજાબ પોલીસે CM ભગવંત માનને બચાવવા માટે 10 લાખ રૂપિયાની લાંચ આપી હતી? 2ની ધરપકડ
શું પંજાબ પોલીસે CM ભગવંત માનને બચાવવા માટે 10 લાખ રૂપિયાની લાંચ આપી હતી? 2ની ધરપકડ
પંજાબના CM ભગવંત માન સાથે સંકળાયેલા વિવાદાસ્પદ વીડિયો કેસમાં નવો વળાંક આવ્યો છે. 23 જૂનના રોજ, હરિયાણાના ગુરુગ્રામ પોલીસે FIR દાખલ કરી. ફરિયાદી, જસપ્રીત સિંહ ઉર્ફે જસ્સીએ આરોપ લગાવ્યો હતો કે, પંજાબ સરકારના કેટલાક વરિષ્ઠ અધિકારીઓએ તેમના પર CM ભગવંત માનના કથિત વીડિયોને AI-જનરેટેડ જાહેર કરવા દબાણ કર્યું હતું. અધિકારીઓએ કથિત રીતે જસપ્રીતને વીડિયોને AI-જનરેટેડ, નકલી અથવા હેરફેર કરેલ જાહેર કરવા સૂચના આપી હતી. ગુરુગ્રામ પોલીસે આ કેસમાં બે લોકોની ધરપકડ કરી છે.
એક અંગ્રેજી અખબારમાં છપાયેલા અહેવાલ મુજબ, જસપ્રીત સિંહનો દાવો છે કે, તેમણે પંજાબના અધિકારીઓને સ્પષ્ટપણે કહ્યું હતું કે, કથિત વીડિયોની સામગ્રી એવી નથી કે કોઈ પણ વ્યક્તિ અથવા AI મેનીપ્યુલેશનની ઓળખ વિશે વિશ્વસનીય નિષ્કર્ષ કાઢી શકાય. આમ હોવા છતાં, તેમના પર સતત દબાણ કરવામાં આવ્યું હતું. ફરિયાદમાં એવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે, તેમની ઈચ્છા પ્રમાણેનો રિપોર્ટ મેળવવા માટે તેમની કારમાં આશરે 10 લાખ રૂપિયા બળજબરીથી મૂકવામાં આવ્યા હતા.
શ્રી અકાલ તખ્ત સાહેબે પહેલાથી જ આ વીડિયોને અસલી જાહેર કરી ચૂક્યું છે. જ્યારે FIR દાખલ કરવામાં આવી ત્યારે અકાલ તખ્તે ભગવંત માનને નિશાન બનાવ્યું, અને સમગ્ર મામલાને શીખ સમુદાયને ગેરમાર્ગે દોરવાનું કાવતરું ગણાવ્યું.
FIR મુજબ, જસપ્રીત સિંહે જણાવ્યું હતું કે, જૂન 2026માં ગુરુગ્રામની એક હોટલમાં બેઠકો યોજાઈ હતી, જેમાં કથિત રીતે પંજાબના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. એવો આરોપ છે કે વીડિયોને નકલી સાબિત કરવા માટે કસ્ટમ ફોરેન્સિક રિપોર્ટ તૈયાર કરવાની યોજના ઘડવામાં આવી હતી. શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલે X પર આ બેઠકોના કથિત વીડિયો શેર કર્યા હતા. તેમણે લખ્યું હતું કે, 'ગુરુની આજ્ઞા ન માનવાવાળા અને ખાલસા પંથના વિરોધી CM ભગવંત માનએ પોતાના હોદ્દાનો ખોટો ઉપયોગ કરીને શ્રી અકાલ તખ્ત સાહિબને ખોટું સાબિત કરવા માટે જે બનાવટી લેબ રિપોર્ટ બનાવી હતી, તેની સચ્ચાઈ આ વીડિયોથી સામે આવી ગઈ છે. આ વીડિયોમાં, લુધિયાણા પોલીસ કમિશનર સ્વપ્ન શર્મા અને સાયબર ક્રાઇમના અધિક્ષક જસનદીપ સિંહ ગુરુગ્રામની એક પ્રખ્યાત હોટલમાં નકલી ફોરેન્સિક લેબ નિષ્ણાત સાથે મળ્યા હતા અને પૈસાના બદલામાં નકલી રિપોર્ટ તૈયાર કરવા માટે સોદો કર્યો હતો.'
સુખબીર સિંહ બાદલે હરિયાણાના CM નાયબ સિંહ સૈનીનો કાર્યવાહી કરવા બદલ આભાર માન્યો, લખ્યું, 'હું સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવા બદલ હરિયાણાના CM નાયબ સિંહ સૈનીનો આભાર માનું છું. હું એ પણ અપીલ કરું છું કે, ગુરુ સાહેબના સમ્માનની સાથે, આ ગુનેગારો સામે શક્ય તેટલી કડક કાર્યવાહી કરવામાં આવે.'
ફરિયાદ મુજબ, જસપ્રીત સિંહનો પરિચય પાછળથી અરુણ મહેન્દ્ર અને અંકિત સાથે થયો હતો. અરુણ અને અંકિત કથિત રીતે બે ખાનગી લેબ, સાઇફર સેન્ટીનેલ લેબ અને સાયબરયાન લેબના રિપોર્ટ્સ લેવામાં સામેલ હતા. જસપ્રીતનો દાવો છે કે, તે આ લેબ્સની સરકારી માન્યતા અને કાનૂની આવશ્યકતાઓથી અજાણ હતો. ગુરુગ્રામ પોલીસે અરુણ અને મહેન્દ્ર બંનેની ધરપકડ કરી છે.
જસપ્રીત સિંહે રિપોર્ટ્સ તૈયાર કરવા, ડ્રાફ્ટ કરવા, મંજૂરી આપવા, તેને ફરતો કરવા અને ઉપયોગમાં સામેલ તમામ લોકોની ભૂમિકાઓની વિગતવાર તપાસની માંગ કરી છે. ફરિયાદમાં મોબાઇલ ફોન, લેપટોપ, પેન ડ્રાઇવ, ઇમેઇલ્સ, વોટ્સએપ ચેટ્સ, CCTV ફૂટેજ, ક્લાઉડ સ્ટોરેજ રેકોર્ડ્સ અને કેસ સંબંધિત અન્ય ઇલેક્ટ્રોનિક ડેટા સહિત ડિજિટલ પુરાવાઓને સાચવવા અને જપ્ત કરવાની પણ માંગ કરવામાં આવી છે.
https://twitter.com/officeofssbadal/status/2069453614477885712
ACP ક્રાઇમ-1 નવીન શર્માએ જણાવ્યું હતું કે, 'બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. એક અંકિત છે, જે જીંદ જિલ્લાનો રહેવાસી છે, અને બીજો અરુણ છે, જે સિરસા જિલ્લાનો રહેવાસી છે. એક લેબનો ઉલ્લેખ છે. લેબ કોઈપણ સરકારી વિભાગ સાથે અથવા તેની માન્યતા પ્રાપ્ત કરાયેલી નથી અથવા તેની સાથે જોડાયેલી નથી.'
ACP નવીન શર્માએ વધુમાં જણાવ્યું હતું કે, 'ગુરુગ્રામ પોલીસની તપાસમાં રૂ. 10 લાખનો વ્યવહાર થયો હોવાનું બહાર આવ્યું છે. ફરિયાદીએ તેના બેંક ખાતામાં કેટલાક પૈસા જમા કરાવ્યા હતા. ફરિયાદમાં એક વરિષ્ઠ અધિકારીનો ઉલ્લેખ છે. લોકો તેમની સાથે મળ્યા હતા... તેથી આ તપાસનો વિષય છે. તપાસમાં જે ખુલાસો થાય છે તેના આધારે કાર્યવાહી કરવામાં આવશે.'
જસપ્રીતે દાવો કર્યો હતો કે, કેટલીક ખાનગી લેબમાંથી રિપોર્ટ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, અને રિપોર્ટના ડ્રાફ્ટ કથિત રીતે વરિષ્ઠ અધિકારીઓને બતાવવામાં આવ્યા હતા. ફરિયાદમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે, પૂર્વનિર્ધારિત વાર્તા બનાવવા માટે રિપોર્ટમાં ફેરફાર કરવા અને ઉમેરવાના સૂચનો કરવામાં આવ્યા હતા.
તપાસ પછી, ગુરુગ્રામ પોલીસના ACP ક્રાઇમ-1 નવીન શર્માની ભલામણ પર ભારતીય દંડ સંહિતા (IPC) અને માહિતી ટેકનોલોજી અધિનિયમ (IT એક્ટ)ની ઘણી કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. ફરિયાદીએ પોતાની અને પોતાના પરિવારની સુરક્ષા માટે ખતરો હોવાનું જણાવીને હરિયાણા પોલીસ પાસેથી સુરક્ષાની પણ માંગ કરી છે.
અકાલ તખ્તે આ ઘટના પર કડક પ્રતિક્રિયા આપી છે. એક અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ, શ્રી અકાલ તખ્ત સાહિબના મીડિયા સલાહકાર જસકરણ સિંહે જણાવ્યું હતું કે, CM ભગવંત માનના વાંધાજનક વીડિયોને ખોટો સાબિત કરવાનો અને અકાલ તખ્તને બદનામ કરવાનો પ્રયાસ ખૂબ જ ગંભીર બાબત છે. તેમણે કહ્યું કે ઇતિહાસ સાક્ષી છે કે, અકાલ તખ્તની ગરિમાને પડકારનારાઓએ ભોગવવું પડ્યું છે.
https://twitter.com/officeofssbadal/status/2069436193373380713
અકાલ તખ્ત કહે છે કે, સરકારે શીખ સમુદાય અને પંજાબના લોકોને ગેરમાર્ગે દોરવા માટે નકલી અહેવાલનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો હતો. જસકરણ સિંહે માંગ કરી હતી કે, હરિયાણા પોલીસ સમગ્ર મામલાની નિષ્પક્ષ અને સંપૂર્ણ તપાસ કરે, કથિત ષડયંત્રમાં સામેલ તમામ લોકોની ભૂમિકાઓનો પર્દાફાશ કરે. તેમણે એમ પણ કહ્યું કે, ગુરુ સાહેબ અને અકાલ તખ્ત સાથે દગો ન કરી શકાય અને ગુનેગારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.
જાન્યુઆરીમાં CM ભગવંત માનનો ગુરુદ્વારાઓની 'ગોલક' (તીર્થયાત્રા) પર કથિત રીતે ટિપ્પણી કરતો વાંધાજનક વીડિયો સામે આવ્યો ત્યારે આ વિવાદ ફાટી નીકળ્યો હતો. તેમને આ મામલે અકાલ તખ્ત સમક્ષ હાજર થવાનું કહેવામાં આવ્યું હતું. તે સમયે, CM ભગવંત માનએ દાવો કર્યો હતો કે, આ વીડિયો AI દ્વારા જનરેટ થયેલો છે અને તપાસની માંગણી કરી હતી. 15 જૂનના રોજ, અકાલ તખ્તે તારણ કાઢ્યું હતું કે આ વીડિયો AI દ્વારા જનરેટ થયેલો નથી અને તેને અસલી જાહેર કર્યો હતો.
કથિત વીડિયોના આધારે, અકાલ તખ્તે CM ભગવંત માનને 'ગુરુ-દોખી' અને 'પંથક વિરોધી' ગણાવ્યા હતા. આ પછી, અકાલ તખ્તે CM ભગવંત માન અને પંજાબ કેબિનેટને 29 જૂને હાજર થવા માટે સમન્સ પાઠવ્યું.
અકાલ તખ્તે દાવો કર્યો હતો કે આ વીડિયો અસલી છે અને દાવો કર્યો હતો કે, CM ભગવંત માન વીડિયોમાં હાજર હતા. પંજાબ સરકારે અકાલ તખ્તના દાવાઓને પડકાર્યા હતા. પંજાબના નાણામંત્રી હરપાલ સિંહ ચીમાએ દાવો કર્યો હતો કે, વીડિયોમાં દેખાતો વ્યક્તિ CM ભગવંત માન નથી. ગુરુગ્રામની બે ખાનગી લેબના અહેવાલોનો ઉલ્લેખ કરીને, સરકારે કહ્યું હતું કે વીડિયો CMની ઓળખ સાબિત કરતો નથી. હવે, તે અહેવાલોના આધારે ગુરુગ્રામમાં FIR દાખલ કરવામાં આવી છે, જાણે કારણે મામલો વધુ વકર્યો છે.
રાજકીય પક્ષોએ પણ આ મુદ્દા પર પંજાબમાં આમ આદમી પાર્ટી (AAP) સરકાર પર નિશાન સાધવાનું શરૂ કર્યું છે. શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલે CM ભગવંત માનના રાજીનામાની માંગણી કરી છે.
તેમણે આરોપ લગાવ્યો કે, સરકારી મશીનરીનો ઉપયોગ અકાલ તખ્તને બદનામ કરવા માટે કરવામાં આવ્યો હતો. જ્યારે, પંજાબ કોંગ્રેસના પ્રમુખ અમરિંદર સિંહ રાજા વારિંગે પણ કહ્યું કે જો આરોપો સાચા સાબિત થાય છે, તો CMએ તેમના આ પદ પર રહેવાનો પોતાનો નૈતિક અધિકાર ગુમાવી દીધો છે.

