- Politics
- ‘તમારો પગાર 2 લાખ છે, તમારા ડ્રાઇવરનો 20 હજાર...’, જ્યારે સીમાંકન પર શશિ થરૂરે CM નાયડુને સમજાવ્યું
‘તમારો પગાર 2 લાખ છે, તમારા ડ્રાઇવરનો 20 હજાર...’, જ્યારે સીમાંકન પર શશિ થરૂરે CM નાયડુને સમજાવ્યું ગણિત!
કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે બુધવારે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ દ્વારા આપવામાં આવેલા નિવેદનનો વિરોધ કર્યો હતો, જેમાં નાયડુએ કેન્દ્રના પ્રસ્તાવિત સીમાંકન માળખાનો બચાવ કર્યો હતો. થરૂરે તર્ક આપ્યો કે જો બધા રાજ્યોમાં લોકસભા બેઠકો સમાન રીતે વધારવામાં આવે છે તો પણ રાજકીય પ્રભાવ મોટા રાજ્યો તરફ ઝુકશે. થરૂરે આ પ્રતિક્રિયા ત્યારે આપી, જ્યારે નાયડુએ સંસદમાં બંધારણ સુધારા બિલને રોકવા બદલ વિપક્ષની ટીકા કરી હતી અને કહ્યું હતું કે સીમાંકન અંગેની ચિંતાઓ પાયાવિહોણી છે.
એ નોંધનીય છે કે એપ્રિલમાં સંસદના વિષેશ સત્ર દરમિયાન રજૂ કરાયેલા બંધારણ (131મો સુધારો) બિલ, 2026માં લોકસભા બેઠકોની સંખ્યા 543 થી વધારીને 850 કરવાનો અને સીમાંકનને 2011ની વસ્તી ગણતરી સાથે જોડવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. તેમાં તમામ રાજ્યો માટે લોકસભા બેઠકોમાં પ્રમાણસર 50% વધારો કરવાનો પણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો.
બિલ જરૂરી બે-તૃતીયાંશ બહુમતી મેળવવામાં નિષ્ફળ રહ્યું હતું. મતદાન કરનારા 528 સભ્યોમાંથી 298 સભ્યોએ બિલને ટેકો આપ્યો, જ્યારે 230 સભ્યોએ તેનો વિરોધ કર્યો. તેને પસાર કરવા માટે ઓછામાં ઓછા 352 મતોની જરૂર હતી.
થરૂરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું કે, ‘નાયડુ-જી, ચાલો એક વિચાર-પ્રયોગ કરીએ. ધારો કે તમારો પગાર 2 લાખ છે અને તમારા ડ્રાઇવરનો 20,000 છે. તમે દરેક માટે 50% વધારો જાહેર કરો છો. હવે, તમારો પગાર 3 લાખ છે અને તમારા ડ્રાઇવરનો 30,000 છે. ટકાવારી અથવા પ્રમાણસર વધારો સમાન છે, પરંતુ શું તમે પહેલાની તુલનામાં તમારા ડ્રાઇવર કરતા ઘણી સારી સ્થિતિમાં નથી?’
થરૂરે તર્ક આપ્યો કે દક્ષિણ રાજ્યોના મુખ્યમંત્રીઓએ ચિંતા વ્યક્ત કરી છે કે, ભલે બેઠકોમાં વધારો પ્રમાણસર હોય, પરંતુ રાજકીય સંતુલન ખૂબ બદલાય છે. એક ઉદાહરણ આપતા તેમણે પૂછ્યું કે શું હકીકતમાં કોઇ અંતર નથી, જો ઉત્તર પ્રદેશનું પ્રતિનિધિત્વ 80 થી વધારીને 120 સાંસદો અને કેરળનું 20થી વધારીને 30 થઇ જાય. તેમણે કહ્યું કે જો સંખ્યાત્મક ગુણોત્તર સમાન રહેશે તો પણ રાજકીય વજનમાં ભારે અંતર એક ગંભીર ચિંતાનો વિષય રહેશે.

