- National
- ફરી શશિ થરૂરે PM મોદીના વખાણ કર્યા, BJPએ કહ્યું- રાહુલ ગાંધી ખુલ્લા પડી ગયા
ફરી શશિ થરૂરે PM મોદીના વખાણ કર્યા, BJPએ કહ્યું- રાહુલ ગાંધી ખુલ્લા પડી ગયા
ફ્રાન્સમાં આયોજિત G7 સમિટ દરમિયાન PM નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની મુલાકાત ચર્ચામાં છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે આ મહત્વપૂર્ણ બેઠકને લઈને PM મોદીનું સમર્થન કર્યું છે. થરૂરના આ નિવેદન પછી તરત જ ભારતીય જનતા પાર્ટી (BJP) આક્રમક બની ગઈ છે અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કરતા કહ્યું છે કે, તેઓ પુરી રીતે 'ખુલ્લા' પડી ગયા છે.
શુક્રવારે કોંગ્રેસના નેતા શશિ થરૂરે સ્પષ્ટતા કરી હતી કે, PM નરેન્દ્ર મોદીએ નાગરિક નાવિકોની સુરક્ષાને લઈને ભારતની ચિંતાઓ વિશે US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને જાણ કરી હતી. તેમણે આગ્રહ કર્યો કે યુદ્ધ દરમિયાન વ્યાપારી ખલાસીઓને નિશાન બનાવવું જોઈએ નહીં. જી-7 સમિટ દરમિયાન PM મોદી અને ટ્રમ્પ વચ્ચેની દ્વિપક્ષીય બેઠકનો ઉલ્લેખ કરતા થરૂરે કહ્યું, 'જહાજો પર કામ કરતા નાગરિક નાવિક સૈનિક નથી, તેથી તેમને યુદ્ધમાં નિશાન બનાવવું જોઈએ નહીં. PM મોદીએ આ સંદેશ આપ્યો છે.' ભારતીય ખલાસીઓની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરતાં તેમણે કહ્યું હતું કે, 'અમારી પાસે ભારતીય ધ્વજવાળા જહાજો અને અન્ય જહાજો પર ભારતીય ખલાસીઓ છે. જો તેઓ તમારી કોઈપણ નાકાબંધીનું ઉલ્લંઘન કરી રહ્યા હોય, તો તેમને રોકવા માટે કોઈ અન્ય માર્ગ શોધો, પરંતુ લોકોને મારશો નહીં.'
થરૂરનું આ સમર્થન તેમના જ પક્ષના સત્તાવાર વલણથી તદ્દન વિપરીત છે. બુધવારે કોંગ્રેસે PM મોદી પર નિશાન સાધતા આરોપ લગાવ્યો હતો કે, ઓમાનની ખાડીમાં એક વેપારી જહાજ પર US હુમલામાં 3 ભારતીય નાવિકોના મોત પર PM મોદી 'મૌન' રહ્યા. મુખ્ય વિપક્ષી પાર્ટીએ સવાલ ઉઠાવ્યો હતો કે, આ ઘટના પર અમેરિકા પાસેથી માફી કે અફસોસ કેમ નથી માંગવામાં આવ્યો.
કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે PM મોદીના આ પગલાની પ્રશંસા કરતા કહ્યું કે, PM મોદીએ નાગરિક નાવિકોની સુરક્ષાના મુદ્દે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સમક્ષ ભારતની ચિંતાઓ ભારપૂર્વક વ્યક્ત કરી છે.
https://twitter.com/ANI/status/2068251073869996341
G-7 સમિટ દરમિયાન બંને વૈશ્વિક નેતાઓ વચ્ચેની બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ભારત અને અમેરિકા વચ્ચેના પરસ્પર સમજણ અને સંબંધોને વધુ મજબૂત કરવા પર ચર્ચા થઈ હતી. બંને નેતાઓએ પશ્ચિમ એશિયામાં શાંતિના પ્રયાસો અંગે પણ મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી.
હોર્મુઝ સ્ટ્રેટની આસપાસ વધી રહેલા તણાવ વચ્ચે PM મોદીએ ભારતીય ખલાસીઓની સુરક્ષાનો મુદ્દો મુખ્ય રીતે ઉઠાવ્યો હતો. શશિ થરૂરે આ પગલાની પ્રશંસા કરી છે.
વિદેશની ધરતી પર દેશના હિતોને લઈને શશિ થરૂરે PM મોદીને આપેલા સમર્થનને BJPએ સ્વીકાર્યું છે. થરૂરના આ સમર્થનનો ઉલ્લેખ કરીને BJPએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું અને નિવેદન બહાર પાડીને કહ્યું કે, રાહુલ ગાંધી હવે બધાની સામે ખુલ્લા પડી ગયા છે.
BJPના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું, 'શશિ થરૂરે રાહુલ ગાંધીને ખુલ્લા પાડ્યા છે. કોંગ્રેસના નેતાઓ ખુલ્લેઆમ PM મોદી જીની કૂટનીતિના વખાણ કરી રહ્યા છે! જ્યારે ભારતના રાષ્ટ્રીય હિતોની રક્ષાની વાત આવે છે, ત્યારે PM મોદી આગળ જ ઉભા હોય છે. અને જ્યારે ભારતના રાષ્ટ્રીય હિતોની વિરુદ્ધ બોલવાની વાત આવે છે, ત્યારે રાહુલ ગાંધી બધાને પાછળ છોડી દે છે.'

