- Politics
- TMCમાં બળવાની શરૂઆત કેવી રીતે થઈ? બંગાળમાં 'મહારાષ્ટ્ર મોડેલ' પાછળનું સત્ય શું છે?
TMCમાં બળવાની શરૂઆત કેવી રીતે થઈ? બંગાળમાં 'મહારાષ્ટ્ર મોડેલ' પાછળનું સત્ય શું છે?
પશ્ચિમ બંગાળમાં રાજકીય ગતિવિધિઓ હાલમાં તેજ છે. એક તરફ, મમતા બેનર્જી તેમના ભત્રીજા પરના હુમલાનો વિરોધ કરવા માટે રસ્તાઓ પર છે, તો બીજી તરફ તેમના પોતાના પક્ષ તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં બળવાના વાદળો મંડરાઈ રહ્યા છે. સત્તા ગુમાવ્યા બાદ, TMCમાં આંતરિક કલેશે એવું સ્વરૂપ ધારણ કર્યું છે કે 'મહારાષ્ટ્ર મોડેલ' અંગે ચર્ચાઓ હવે વેગ પકડી રહી છે.
પશ્ચિમ બંગાળમાં નવી સરકારની રચનાના લગભગ એક મહિના પછી, મમતા બેનર્જી મંગળવારે મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીના નેતૃત્વ હેઠળની સરકાર સામે વિરોધ કરવા માટે રસ્તાઓ પર ઉતર્યા હતા. તેમણે કોલકાતાના રાણી રશ્મોની એવન્યૂ ખાતે ધરણા પ્રદર્શન કર્યું. આ વિરોધ પ્રદર્શનનો હેતુ તેમના ભત્રીજા અને સાંસદ અભિષેક બેનર્જી, તેમજ કલ્યાણ બેનર્જી પર થયેલા હુમલાઓ સામે કાર્યવાહીની માંગણી કરવાનો હતો. મમતાએ આરોપ લગાવ્યો છે કે વર્તમાન સરકાર આ હુમલાઓના ગુનેગારો સામે કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહી છે.
જો કે, કોલકાતા પોલીસે પ્રદર્શન માટે પરવાનગી આપી નહોતી, છતા મમતા બેનર્જી ન માન્યા અને ધરણા પ્રદર્શન ચાલુ રાખ્યા. આ ઘરણામાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો તેમની સાથે હતા. ઘરણા સ્થળ પરથી મમતા બેનર્જીએ કહ્યું કે, ઘરે-ઘરે જઈને ધારાસભ્યોને ધમકાવવામાં આવી રહ્યા છે. અમારી પાસે અભિષેક બેનર્જી પર હુમલાના પ્રયાસ સાથે સંબંધિત વાતચીતનું રેકોર્ડિંગ છે, જેમાં 'તેમને માર માર' જેવા વાક્યો સ્પષ્ટપણે સાંભળી શકાય છે.
શું TMC તૂટી રહી છે?
મમતા બેનર્જી રસ્તા પર ઉતરી રહ્યા છે તેના કરતા પણ વધુ મોટી વાત તેમના પોતાના પક્ષમાં વધી રહેલો બળવો છે. અહેવાલો અનુસાર, નારાજ TMC ધારાસભ્યો અલગ-અલગ બેઠકો કરી રહ્યા છે અને દાવો કરી રહ્યા છે કે તેમને લગભગ 50 થી 60 ધારાસભ્યોનું સમર્થન મળ્યું છે.
TMCમાં બળવો શા માટે થઈ રહ્યો છે?
આખો વિવાદ વિધાનસભામાં વિપક્ષના નેતાની પસંદગીને લઇને થયો છે. વિપક્ષના નેતા પદ માટે શોભનદેવ ચટ્ટોપાધ્યાયના નામ પર પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો. જો કે, પાછળથી આરોપો સામે આવ્યા કે પ્રસ્તાવ પત્ર પર ઘણા ધારાસભ્યોની સહીઓ બનાવટી હતી. આ મામલે TMCના બે ધારાસભ્યોએ વિધાનસભાના અધ્યક્ષ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી; ફરિયાદ બાદ, CID તપાસ શરૂ કરવામાં આવી હતી. ફરિયાદ કરનારા બંને ધારાસભ્યોને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.
હકાલપટ્ટી બાદ, પાર્ટીમાં ખુલ્લેઆમ નારાજગી જોવા મળી રહી છે, અને બળવાના અવાજો વધુ તેજ થઇ ગયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે મમતા બેનર્જીએ રવિવારે ધારાસભ્યોની બેઠક બોલાવી હતી, ત્યારે તેમાં ફક્ત 20 ધારાસભ્યો હાજર રહ્યા હતા. લગભગ 60 ધારાસભ્યો આ બેઠકથી દૂર રહ્યા હતા અને હાલમાં એક અલગ રણનીતિ પર કામ કરી રહ્યા છે.
'મહારાષ્ટ્ર મોડેલ'નો ઉલ્લેખ કેમ કરવામાં આવી રહ્યો છે?
રાજકીય વર્તુળોમાં બંગાળના આ ઘટનાક્રમને 'મહારાષ્ટ્ર મોડેલ' કહેવામાં આવી રહ્યું છે. મહારાષ્ટ્રમાં, એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના સામે બળવો કર્યો હતો, અને ઘણા ધારાસભ્યોને પોતાની સાથે લઈને એક અલગ જૂથ બનાવ્યું હતું. ત્યારબાદ, તે જ જૂથે શિવસેનાના ચૂંટણી ચિહ્ન પર દાવો કર્યો હતો. હવે, એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે બંગાળમાં TMC સામે આ જ મોડેલનું પુનરાવર્તન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
TMCમાંથી સસ્પેન્ડ કરાયેલા નેતા રિજુ દત્તાએ ખુલ્લેઆમ બળવાખોર વલણ દર્શાવ્યું છે. તેમણે કહ્યું કે, બધા બળવાખોર ધારાસભ્યો સ્પીકર પાસે પહોંચી રહ્યા છે. લગભગ 50 ધારાસભ્યો અમારી સાથે છે, અને અમે ખરા TMC છીએ. ઋતાબ્રતા બંદોપાધ્યાય વિપક્ષના નેતા હશે. તો, બંગાળ ભાજપના પ્રમુખ સમિક ભટ્ટાચાર્યએ ટિપ્પણી કરી કે, બંગાળના લોકો મમતા બેનર્જીને વિરોધ પ્રદર્શન કરવા દેશે નહીં. TMCના પોતાના સભ્યો જ પક્ષ વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે. અત્યારે, TMC માટે ભાજપના દરવાજા બંધ છે.
નકલી સહીના કેસમાં CIDની તપાસ વધુ તેજ થઇ ગઇ છે. CIDએ મમતા બેનર્જીના ભત્રીજા અને સાંસદ અભિષેક બેનર્જીને નોટિસ જાહેર કરીને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. આ પગલાને TMC માટે વધુ એક મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. મમતા બેનર્જી બળવાની અટકળોને નકારી રહ્યા છે, તેમ છતા તેમની બેઠકમાં ગેરહાજર રહેલા 60 ધારાસભ્યો દ્વારા અપનાવવામાં આવેલી અલગ રણનીતિ 'નવી તૃણમૂલ'ની રચના અંગેની ચર્ચાઓએ બધાની નજરો તેમના પર ટકાવી દીધી છે કે શું બંગાળમાં ખરેખર મહારાષ્ટ્રની જેમ રાજકીય ઉથલપાથલનો ઘટનાક્રમ જોવા મળશે, કે પછી મમતા બેનર્જી સમય રહેતા બળવોને શાંત કરવામાં સફળ થશે?

