- Politics
- અમદાવાદને મળ્યા સૌથી અમીર મેયર, 57 તોલા સોનું, 88 જગ્યાએ 228 વીઘા જમીન, 110 કરોડ...
અમદાવાદને મળ્યા સૌથી અમીર મેયર, 57 તોલા સોનું, 88 જગ્યાએ 228 વીઘા જમીન, 110 કરોડ...
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ને નવા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક મળી ગયા છે. AMCમાં જે લોકો પદાધિકારી બન્યા છે, તેમને ભાજપે બનાવેલા નિયમોના કારણે એક સમયે ટિકિટ મળશે કે નહીં તે એક સવાલ હતો. પરંતુ પાર્ટીએ તેમના પર વિશ્વાસ કર્યો અને તેમની ગુજરાતની સૌથી અમીર કોર્પોરશનમાં સૌથી મહત્ત્વના પદ પર વરણી પણ કરી. તો આવો જાણીએ AMCના પદાધિકારીઓને ટિકિટ મળી તેની ઈન્સાઇડ સ્ટોરી.
દિવ્યભાસ્કરના અહેવાલ અનુસાર, સાથે જ અમદાવાદના મેયર હિતેશ બારોટે ચૂંટણી સમયે જમા કરાવેલા એફિડેવિટ મુજબ, આ વખતે અમદાવાદને કરોડપતિ મેયર મળ્યા છે. અમદાવાદ અને આસપાસની 88 જગ્યાએ 228 વિઘા જમીન, 57 તોલા સોનું, થાર ગાડી, રિવોલ્વર સહિત પતિ-પત્નીની મળીને કુલ 110 કરોડની સંપત્તિ છે.
મેયર બંગલાનો ઉપયોગ નહીં કરું: હિતેશ બારોટ અમદાવાદના પ્રથમ નાગરિક એવા મેયર હિતેશ બારોટે પદગ્રહણ કરતા જ મેયર બંગલાનો ઉપયોગ નહીં કરવાનો અને ભેટ નહીં સ્વીકારવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. હિતેશ બારોટે જણાવ્યું હતું કે મેયર તરીકે હું કોઈ સુવિધાઓ લઇશ નહીં. આજ દિન સુધી બધા પદ પર રહ્યો છું, ક્યાય પણ મેં કોઈ સુવિધા લીધી નથી. આજે મેયર તરીકે પદગ્રહણ કર્યું છે ત્યારે જૂના મેયર કિરીટ પરમાર અગાઉ એક જ રૂમમાં રહેતા હતા અને તેમણે પણ બંગલાનો ઉપયોગ નહોતો કર્યો. ત્યારે હું પણ મારા નિવાસ્થાન પર જ રહીશ અને મેયર બંગલાનો ઉપયોગ કરીશ નહીં.
દંપતી પાસે કુલ 109.40 કરોડની સંપત્તિ હિતેશ બારોટ અને તેમની પત્નીની સંયુક્ત સંપત્તિની વાત કરીએ તો રોકડ, થાપડ, શેર-બોન્ડ, LIC પોલિસી, વાહન, ઘરેણા, હથિયાર, ખેતી-બિનખેતીની જમીન, કોમર્શિયલ પ્રોપર્ટી અને મકાન સહિત કુલ 109.40 કરોડની સંપત્તિ દંપતી પાસે છે.
મેયર હિતેશ બારોટની સંપત્તિમાં છેલ્લાં 5 વર્ષમાં પોણા ત્રણ ગણાનો વધારો થયો છે. વર્ષ 2021માં તેમની સંપત્તિ 38.66 કરોડ હતી, જે 2026માં વધીને 109 કરોડ એટલે કે 282%નો વધારો નોંધાયો હતો. જ્યારે સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન કમલેશ પટેલની સંપત્તિ 2021માં 46.80 લાખ હતી, જે વર્ષ 2026માં વધીને 1.70 કરોડ થઈ હતી. એટલે કે તેમની સંપત્તિમાં સાડા ત્રણ ગણો (363%) વધારો થયો છે.
જનરલ બેઠક પર જનરલ ઉમેદવારને જ લડાવાના હતા. મેયર તરીકે વરણી કરવામાં આવેલા થલતેજ વોર્ડના કોર્પોરેટર હિતેશ બારોટની બીજી ટર્મ છે. વર્ષ 2021માં હિતેશ બારોટને સૌપ્રથમ વખત ચૂંટણી લડાવવામાં આવી હતી જે જનરલ બેઠક પરથી લડાવવામાં આવી હતી. જ્યારે વર્ષ 2026માં થલતેજ વોર્ડમાં SC અનામત અને પુરુષ અનામત બેઠક આવી હતી. દરેક વોર્ડમાં હવે OBC અનામત બેઠક હોવાના કારણે દરેક OBC જ્ઞાતિમાંથી આવનારા લોકોને ત્યાંથી જ લડાવવાનો નિર્ણય પાર્ટીએ લીધો હતો અને જનરલ બેઠક ઉપરથી જનરલ જ્ઞાતિના જ લોકોને લડાવવાના હતા.
જનરલ બેઠક પર લડાવ્યા થલતેજ વોર્ડમાં અનામત બેઠક હોવા છતા પણ વર્ષ 2021માં ચૂંટાયેલા અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રહી ચૂકેલા હિતેશ બારોટને ફરીથી થલતેજ વોર્ડમાંથી જ જનરલ બેઠક પરથી ચૂંટણી લડાવવામાં આવી હતી. દરેક વોર્ડમાં અનામત મુજબ જ ચૂંટણી લડાવવાના હતા. જોકે થલતેજ વોર્ડમાં ઓબીસી અનામત ના હોવા છતા પણ તેમને જનરલ બેઠક પરથી ચૂંટણી લડાવવામાં આવી હતી.
‘કેન્દ્રીય ગૃહમંત્રીના ખૂબ નજીકના ગણવામાં આવે છે’ ડેપ્યુટી મેયર તરીકે વરણી કરવામાં આવેલા સાબરમતી વોર્ડના કોર્પોરેટર અંજૂબેન શાહને ફરીથી રીપિટ કરવામાં આવ્યા છે. સાબરમતી વોર્ડમાં વર્ષ 2021માં અંજૂબેન શાહ કોર્પોરેટર તરીકે રહી ચૂક્યા હતા અને ત્યારબાદ વર્ષ 2026ની ચૂંટણીમાં સ્થાનિક સાબરમતીના જૈનો દ્વારા ભાજપમાંથી પુરુષ જૈન ઉમેદવારને ટિકિટ આપવામાં આવે એવી માગ ઉઠી હતી. જોકે ભાજપે ફરીથી અંજૂબેન શાહને જ રીપિટ કર્યા હતા. અંજૂબેન શાહ મહિલા છે અને મૂળ મુંબઈના રહેવાસી છે. જોકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ખૂબ નજીકના તેઓને ગણવામાં આવે છે અને શિક્ષિત મહિલા હોવાના કારણે તેમજ સમાજમાં પણ સારું એવું સ્થાન ધરાવતા હોવાના કારણે તેમને ફરીથી રીપીટ કરવામાં આવ્યા અને ડેપ્યુટી મેયર તરીકે પદ આપવામાં આવ્યું છે.
ખોખરા વોર્ડમાંથી ચૂંટાયેલા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનેલા કમલેશ પટેલને પણ ફરીથી રીપિટ કરવામાં આવ્યા છે. કમલેશ પટેલ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના અત્યંત નજીકના અને વિશ્વાસુ વ્યક્તિઓમાંથી એક ગણવામાં આવે છે. ભાજપ દ્વારા જે વોર્ડમાં રહેતા હોય તે જ વોર્ડમાંથી ટિકિટ આપવાનો નિર્ણય લીધો હતો. જોકે કમલેશ પટેલનું અમરાઈવાડી વોર્ડમાં ઘર આવેલું છે અને તેમની સામેની સોસાયટી ખોખરા વોર્ડમાં આવેલી છે. કમલેશ પટેલનું ઘર અમરાઈવાડી અને ખોખરા એમ બંને વોર્ડની બોર્ડર ઉપર આવેલું છે. બાદમાં ખોખરા વોર્ડમાંથી જીત મેળવ્યા બાદ તેઓ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા છે.
શાહીબાગ વોર્ડમાંથી ચૂંટાયેલા અને રીપિટ કરાયેલા કોર્પોરેટર જશુ ઠાકોરને શાસક પક્ષના નેતા તરીકે નિમણૂક આપવામાં આવી છે. જશુ ઠાકોર શાહીબાગ વોર્ડમાં વર્ષ 2021માં કોર્પોરેટર તરીકે ચૂંટાયા બાદ અમદાવાદ શહેર ભાજપની વર્ષ 2026ની નવી સંગઠનની ટીમ બની તેમાં શહેર મહામંત્રી તરીકેનો હોદ્દો આપવામાં આવ્યો હતો. જોકે મહામંત્રી તરીકે ત્રણ મહિના રહ્યા બાદ તેમને રાજીનામું અપાવી ફરીથી શાહીબાગ વોર્ડમાંથી જ ચૂંટણી લડાવી અને શાસક પક્ષના નેતા તરીકે મૂકવામાં આવ્યા છે. સંગઠનમાં થોડા સમય માટે નિમણૂક આપી અને ફરીથી ચૂંટણી લડાવી તેમને હોદ્દેદાર બનાવવામાં આવ્યા છે.
કોંગ્રેસના ઉમેદવારે ગેરકાયદે બાંધકામને લઇને સવાલ ઉઠાવ્યા તેમણે દંડક બનાવ્યા દંડક તરીકે નિમણૂક પામેલા ચાંદખેડા વોર્ડના કોર્પોરેટર અતુલ મિશ્રા સૌપ્રથમ વખત ચૂંટણી લડ્યા અને તેઓને દંડક તરીકે હોદ્દો આપવામાં આવ્યો છે. અતુલ મિશ્રા પ્રદેશમાં અન્ય ભાષા-ભાષી સેલના સંયોજક રહી ચૂક્યા છે. ચાંદખેડા વોર્ડમાં ટિકિટ માટે સૌથી વધારે માથાકૂટ સર્જાઇ હતી. ચાંદખેડા વોર્ડમાં હરિ પ્રકાશ શર્માને ટિકિટ આપવા માટે ખૂબ જ ખેંચતાણ થઈ હતી. ચાંદખેડા વોર્ડમાં આવતા ડીકેબીનમાંથી ફરી પ્રકાશ શર્માને ટિકિટ આપવા માટે બેનરો પણ લાગ્યા હતા અને અતુલ મિશ્રાનો વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના ઉમેદવારે તેમના ગેરકાયદે બાંધકામને લઇને સવાલ ઉઠાવ્યા હતા. તેમ છતા પણ તેમને પાર્ટીએ ટિકિટ આપી અને વોર્ડમાંથી સૌથી વધારે મત મેળવીને જીત્યા હતા. વિરોધ વચ્ચે પણ ટિકિટ લાવી જીત મેળવ્યા બાદ તેમને દંડક તરીકે નિમણૂક આપવામાં આવી છે.

