- Politics
- રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ
રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’
મંગળવારે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના નવા ડિરેક્ટરની નિમણૂક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસસ્થાન 7 લોક કલ્યાણ માર્ગ ખાતે પસંદગી સમિતિની બેઠક યોજાઈ હતી. આ સમિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) અને લોકસભામાં વિરોધ પક્ષના નેતાનો સમાવેશ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, CJI સૂર્યકાંત અને LOP રાહુલ ગાંધીની સમિતિએ નવા CBI ડિરેક્ટરના નામ પર ચર્ચા કરી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધીએ પસંદગી પ્રક્રિયાને લઇને પોતાની અસંમતિ વ્યક્ત કરી હતી. બેઠક બાદ, તેમણે અસંમતિનો એક પત્ર ફમ રજૂ કર્યો હતો. રાહુલ ગાંધીએ તેમના X હેન્ડલ પરથી એક પોસ્ટમાં લખ્યું કે, ‘મેં CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સાથે મારો અસંમતિ વ્યક્ત કરતો વડાપ્રધાનને પત્ર લખ્યો છે. હું પક્ષપાતી પ્રક્રિયામાં ભાગ લઈને મારી બંધારણીય ફરજનું ઉલ્લંઘન નહીં કરી શકું. વિપક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’
https://twitter.com/RahulGandhi/status/2054240346893385872?s=20
CBIના નવા ડિરેક્ટર માટે લગભગ 6 વરિષ્ઠ IPS અધિકારીઓના નામ પર વિચારણા કરવામાં આવી રહી છે. વર્તમાન CBI ડિરેક્ટર પ્રવીણ સૂદનો કાર્યકાળ 25 મે, 2026ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે તેમને 2025માં એક વર્ષનું એક્સટેન્શન આપ્યું હતું. હરિયાણા કેડરના 1990 બેચના IPS અધિકારી શત્રુજીત સિંહ કપૂરને CBI ડિરેક્ટર પદની રેસમાં સૌથી આગળ માનવામાં આવે છે. તેઓ હરિયાણાના DGP રહી ચૂક્યા છે અને હાલમાં તેઓ ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP)ના ડિરેક્ટર પદ પર છે.
આ ઉપરાંત, રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW)ના વર્તમાન વડા પરાગ જૈનનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. તેઓ પંજાબ કેડરના 1989 બેચના IPS અધિકારી છે. મધ્ય પ્રદેશ કેડરના 1989 બેચના IPS અધિકારી અજય કુમાર શર્મા પણ નવા CBI ડિરેક્ટર માટે સંભવિત દાવેદાર છે. તેઓ હાલમાં મધ્ય પ્રદેશ પોલીસ હાઉસિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશનના ચેરમેન છે. આ અગાઉ, તેમણે આર્થિક ગુના શાખા (EOW)ના DG અને ઈન્દોર ઝોનના ADG જેવા મહત્ત્વપૂર્ણ પદો પર કાર્ય કરી ચૂક્યા છે.
મહારાષ્ટ્રના વર્તમાન પોલીસ મહાનિર્દેશક (DGP) અને 1990 બેચના IPS અધિકારી સદાનંદ વસંત દાતે પણ CBI ડિરેક્ટરની રેસમાં સામેલ છે. દાતે આ અગાઉ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ના વડા રહી ચૂક્યા છે અને 26/11ના મુંબઈ આતંકવાદી હુમલા દરમિયાન તેમના કાર્યની ખૂબ પ્રશંસા થઇ હતી.

