- Politics
- મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો, કેટલાક મંત્રીઓની વિદાય નક્કી; મોટા ફેરબદલની શક્યતા
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો, કેટલાક મંત્રીઓની વિદાય નક્કી; મોટા ફેરબદલની શક્યતા
દેશના રાજકારણમમાં એક મોટા ઘટનાક્રમના સમાચાર સામે આવી રહ્યા છે. ચાર રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીએ નવા પ્રદેશ પ્રમુખોની જાહેરાત બાદ, હવે મોદી કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ બની છે. ન્યૂઝ24ના અહેવાલ મુજબ, સુત્રોનું કહેવું છે કે 18 જૂને યોજાનારી રાજ્યસભાની ચૂંટણી પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના મંત્રીમંડળમાં મોટો ફેરફારો કરી શકે છે. આ ફેરબદલમાં કેટલાક વર્તમાન મંત્રીઓની વિદાય થઇ શકે છે, જેમને પાર્ટી સંગઠનમાં નવી અને મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવશે.
નીતિન નવીન નવી ટીમની જાહેરાત કરી શકે છે
જાન્યુઆરીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ભૂમિકા સંભાળનારા નીતિન નવીન આ મહિનાના અંત સુધીમાં તેમની નવી ટીમની જાહેરાત કરે તેવી અપેક્ષા છે. પાર્ટી સંગઠન અને સરકાર વચ્ચે વધુ સારા સંકલન સુનિશ્ચિત કરવા માટે મંત્રીમંડળમાં ફેરબદલ માટેનું માળખું તૈયાર કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં, ભાજપે પંજાબ, હરિયાણા, ત્રિપુરા અને દિલ્હીમાં નવા પ્રદેશ પ્રમુખોની નિમણૂક કરી છે. કેન્દ્રીય મંત્રી હર્ષ મલ્હોત્રાને દિલ્હીમાં કમાન સોંપવામાં આવી છે, જ્યારે કેન્દ્રીય મંત્રી પંકજ ચૌધરીને અગાઉ ઉત્તર પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
તો, 18 જૂને રાજ્યસભાની 24 બેઠકો અને એક પેટાચૂંટણી બેઠક માટે મતદાન થવાનું છે. ધારાસભ્યોની સંખ્યાના આધારે, ભાજપ 10 બેઠકો જીતશે તે નિશ્ચિત માનવામાં આવે છે. આમાં ગુજરાતની 4, રાજસ્થાનની 2, મધ્ય પ્રદેશની 2, મણિપુર અને અરુણાચલ પ્રદેશની 1-1 બેઠકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ઓડિશાની પેટાચૂંટણી બેઠક માટે ભાજપનો વિજય નિશ્ચિત છે.
આશ્ચર્યની વાત એ છે કે, વર્તમાન કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુ અને જ્યોર્જ કુરિયનને રાજ્યસભા માટે ફરીથી નામાંકિત કરવામાં આવ્યા નથી, જ્યારે તેમનો કાર્યકાળ આ મહિને પૂરો થઈ રહ્યો છે. સૂત્રોનું કહેવું છે કે રવનીત સિંહ બિટ્ટુને આગામી વર્ષે યોજાનારી પંજાબ વિધાનસભા ચૂંટણીમાં મુખ્ય જવાબદારી સોંપવામાં આવી શકે છે.
ભાજપનું આગામી મુખ્ય ફોકસ પંજાબ પર
પશ્ચિમ બંગાળમાં પોતાની જીતથી ઉત્સાહિત, ભાજપ હવે સંપૂર્ણપણે પંજાબ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. પાર્ટીએ તાજેતરમાં શીખ નેતા કેવલ સિંહ ધિલ્લોંને નવા પંજાબ પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે અને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ભાજપ શિરોમણી અકાલી દળ વિના આગામી વિધાનસભા ચૂંટણી પોતાના દમ પર લડશે. પાર્ટી પંજાબમાં કાયદો અને વ્યવસ્થા, ડ્રગ્સનું દૂષણ, ધર્મ પરિવર્તન અને અટકેલા વિકાસને ણોટા મુદ્દાઓ બનાવીને આમ આદમી પાર્ટીને સત્તા પરથી દૂર કરવા માટે તૈયારી કરી રહી છે. ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ સુનિલ જાખડને પણ મુખ્ય ભૂમિકા સોંપવામાં આવી શકે છે.

