અંબાલાલ પટેલે જણાવ્યું- ગુજરાતમાં ક્યારથી સાર્વત્રિક વરસાદ પડશે
એવું લાગે છે કે આ વખતે મેઘરાજા રિસાયા છે. અલનીનોને કરને ખેડૂતો હજી પણ મેઘરાજાની પધરામણીની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. રાજ્યમાં પુષ્કળ બફારો છે, પરંતુ હજી પણ વરસાદ આવવાનું નામ લઈ રહ્યો નથી. મોનસૂનની રાજ્યમાં એન્ટ્રી બાદ પણ મોટાભાગના જિ્લ્લા હજુ કોરા જ છે. એક ત્યારે અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યુ છે કે રાજયમાં ક્યારથી સાર્વત્રિક વરસાદ નોંધાશે. તેમની આગાહી વિષે વાત કરીએ તે પહેલા નિષ્ણાંતો શું કહે છે તેના પર એક નજર કરી લઈએ.
ABP અસ્મિતાના અહેવાલ મુજબ, હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં કોઈ મજબૂત લૉ-પ્રેશર સિસ્ટમ સક્રિય ન હોવાથી ચોમાસાની ગતિ ધીમી પડી છે. સાથે જ મોનસૂન ટ્રફ ઉત્તર તરફ ખસી જતા ગુજરાત તરફ આવતા ભેજયુક્ત પવનોનો પ્રવાહનો વેગ પણ નબળો પડ્યો છે. તેના કારણે રાજ્યમાં વરસાદી માહોલ જામવામાં વિલંબ થઈ રહ્યો છે. ચોમાસાની ધીમી ગતિએ ખેડૂતોની ચિંતા પણ વધારી છે.
આ બધાની વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાહતભર્યાં સંકેત આપ્યાં છે. અંબાલાલ પટેલે જૂનના અંતના દિવસોમાં સારા વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ 28 જૂનથી રાજ્યમાં સાર્વત્રિક સારો વરસાદ વરસી શકે છે. 28 જૂન બાદ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે તો પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં પણ જુલાઇના પહેલા સપ્તાહમાં સારો વરસાદ વરસી શકે છે.
આગાહીકાર અંબાલાલ પટેલે 16 જુલાઈ બાદ વરસાદનો વધુ એક રાઉન્ડ આવવાની શક્યતા વ્યક્ત કરી છે. આ સમયે સારા વરસાદના કારણે નર્મદાના જળસ્તરમાં પણ વધારાની શક્યતા છે. ત્યારબાદ 2 ઓગસ્ટ બાદ રાજ્યમાં ફરી એક સારા વરસાદના રાઉન્ડની શક્યતા વ્યક્ત કરી છે.
ગુજરાતમાં ચોમાસાની શરૂઆત બાદ વરસાદી ગતિવિધિઓમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યમાં અટકી ગયેલું ચોમાસું આગામી 3 દિવસમાં ફરી સક્રિય થઈ આગળ વધે તેવી શક્યતા છે. જોકે આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં માત્ર હળવાથી મધ્યમ વરસાદની જ આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં વરસાદના આંકડાઓ પણ ચિંતાજનક સ્થિતિ દર્શાવી રહ્યા છે. 26 જૂન સુધીમાં ગુજરાતમાં સરેરાશ માત્ર 2.85 ટકા વરસાદ નોંધાયો છે, જે છેલ્લા 10 વર્ષમાં સૌથી ઓછો ગણાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં માત્ર 1.03 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે ગયા વર્ષે આ જ સમયગાળામાં રાજ્યમાં 26.24 ટકા વરસાદ નોંધાયો હતો.
વરસાદની ઘટને કારણે ખેડૂતોમાં પણ ચિંતા વધી રહી છે. ઘણા વિસ્તારોમાં વાવણી માટે ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે. રાજ્યના એક પણ તાલુકામાં અત્યાર સુધી 10 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો નથી, જે વરસાદની અછતનો સ્પષ્ટ સંકેત આપે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં ચોમાસું ફરી ગતિ પકડે તેવી સંભાવના છે. જો અરબી સમુદ્રમાં અનુકૂળ સિસ્ટમ સર્જાશે તો રાજ્યમાં વરસાદની તીવ્રતા વધી શકે છે. હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં વરસાદ કેવો રહેશે, શું આ વખતે ખેડૂતોએ ફરી એક વખત રડવાનો વારો આવશે? જો સારો વરસાદ નહીં પડે તો ચોક્કસ ખેડૂતોએ રડવાનો વારો આવવાનો જ છે કારણ કે તડકા અને બફારાને કારણે ઘણી જગ્યાએ પાણીનું સ્તર નીચે જતું રહ્યું છે.

