- Gujarat
- ‘માપમાં રહીને જે રાજકીય રીતે થતું હોય તે કરો, બાકી તમારી આ બધી....’, BJP નેતા અને AAPના નેતા જિગીષા
‘માપમાં રહીને જે રાજકીય રીતે થતું હોય તે કરો, બાકી તમારી આ બધી....’, BJP નેતા અને AAPના નેતા જિગીષા પટેલ વચ્ચે તું-તું મેં-મેં
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ જૂનાગઢ જિલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. આમ આદમી પાર્ટીના નેતા જિગીષા પટેલે ગોંડલ બાદ તાજેતરમાં જ જૂનાગઢ જિલ્લાના ડુંગરપુર જિલ્લા પંચાયત હેઠળ આવતા આણંદપુર ગામની મુલાકાત લીધી હતી. અહીં તેમણે જૂનાગઢ જિલ્લા પંચાયતના AAPના ઉમેદવાર કાળુભાઈ ભાદરકા સાથે મુલાકાત દરમિયાન ગામમાં ચાલતી રાજકીય ખેંચતાણ અને કથિત ગુંડાગીરી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. બીજી તરફ, ભાજપના નેતા દિનેશ મૈતરે આ આક્ષેપો પર પોતાની પ્રતિક્રિયા આપી છે
દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, જિગીષા પટેલે જણાવ્યું હતું કે, ‘આજે હું અહીં ડુંગરપુર જિલ્લા પંચાયત હેઠળ આવતી બગડું તાલુકા પંચાયતના આણંદપુર ગામે આવી છું. હવે અહીંની પરિસ્થિતિ વિશે બધા જાણતા જ હશે. થોડા સમયથી તમે અહીં ભારતીય જનતા પાર્ટીની ભવાઈ જોઈ રહ્યા હશો કે તાલુકા પંચાયતમાં 9 સીટો ભાજપ અને 9 સીટો આમ આદમી પાર્ટી જીતીને આવ્યા પછી, જ્યારે તાલુકા પ્રમુખની વરણી કરવાની વાત આવી ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેજા હેઠળ તંત્રએ ક્યાંક ને ક્યાંક અમારા આમ આદમી પાર્ટીના સંજયભાઈ પાઘડારને ખોટા કેસમાં ફસાવીને જેલહવાલે કર્યા છે.’
તેમણે કહ્યું કે કે, ‘આ બધો ઘટનાક્રમ જોતા તમામ લોકો સમજી શકે એવી બાબત છે કે, આમ આદમી પાર્ટીના પ્રમુખ ન બનવા દેવા માટે આ ભારતીય જનતા પાર્ટીએ આખી ભવાઈ ઉભી કરી છે. હું આજે આણંદપુર ગામની મુલાકાતે આવી તો મને ખબર પડી કે આખી ભવાઈની અંદર એક માણસનો હાથ છે, એ છે દીનિયો... આ દીનિયો આખા ગામને દારૂના રવાડે ચડાવવા માટે મથતો હતો અને આખા ગામમાં જે ધાક-ધમકીથી પોતાનું વર્ચસ્વ જમાવવા માંગતો હતો, એ દીનિયાને મારે એટલું જ કહેવું છે કે, માપમાં રહે તો સારી વાત છે. કારણ કે હું ગામની અંદર આવી, ગામના લોકોએ મને બધી વાતચીત કરી કે, અહીંયા શું કાંડ-શું કૌભાંડ છે. દીનિયા મારે અહીંયા ઉતરવું ન પડે ગામમાં, એટલું ધ્યાન રાખજે.
જિગીષા પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ‘પાટીદારો અને નાના માણસોને દબાવવાના આ તારા બધા કાવાદાવા બંધ કરજે. તેમ જ ગામના લોકોએ પણ મને કહ્યું કે અમારા તાલુકા પંચાયતના સભ્યો પર તેં જે ખોટી ફરિયાદો કરાવી છે. એટલે જેવી રીતે હું ગોંડલમાં ગુંડાઓ સામે લડું છું, તેવી જ રીતે તારા જેવા ગુંડા સામે લડવા મારે અહીં ઊતરવું ન પડે એટલું ધ્યાન રાખજે.’
તેમણે વધુમાં જણાવ્યું કે, પાટીદાર સમાજને દબાવવાના તું જે નાટકો કરે છે, તેના સંદર્ભે હું પાટીદારની દીકરી તરીકે કહું છું કે અમે કંઈ બંગડીઓ પહેરી નથી. અમે સીધી રીતે ચાલીએ છીએ અને સીધી રીતે રહીએ છીએ, તો તમે પણ સીધી રીતે રહેવાનું રાખો. જો અમે આ બાબત હાથમાં લઈ લઈશું, તો તું ક્યાંય જડીશ નહીં. એટલે માપમાં રહીને જે થતું હોય તે કરો, રાજકીય રીતે જે કરવું હોય તે કરો, બાકી તમારી આ બધી ભવાઈઓ બંધ કરી દો તો વધુ સારું. હવે જો આ ગામમાંથી મને તારી કોઈ ફરિયાદ મળશે, તો હું પોતે તારી સામે બાયો ચડાવવાની છું, એટલું યાદ રાખજે.
તો બીજી તરફ ભાજપના જૂનાગઢ જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય દિનેશ મૈતરે પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે, ‘એક બહેને મારા વિશે ખોટી માહિતી આપતો અને મારા ગામ આણંદપુરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર મૂક્યો છે. કદાચ એ બહેનને મારા વિશે સાચી માહિતી નહીં હોય, પરંતુ મને એનું કોઈ દુઃખ નથી; કારણ કે સમાજમાં જ્યારે તમે સારા કામ કરો છો, ત્યારે વિરોધીઓ પણ ઊભા થાય જ છે. હું એ બહેનને કહેવા માગું છું કે, તેઓ આણંદપુરના લેઉવા પટેલ સમાજ અને તાલુકાના અન્ય લેઉવા પટેલ સમાજના લોકોને પણ પૂછી શકે છે કે દિનેશ મૈતર કેવી દાદાગીરી કરે છે?’
તેમણે કહ્યું કે, ‘મેં ગુજરાતમાં સર્વ સમાજને સાથે રાખીને કામ કર્યા છે અને મને એ વાતનું ગૌરવ છે. બહેનને કોઈ સ્પષ્ટતા આપવાની જરૂર નથી. હું 5 વર્ષ જિલ્લા પંચાયતનો સભ્ય રહ્યો, ત્યાં સુધી મેં લોક-કાર્યાલય ચલાવ્યું છે. કોઈપણ નાનામાં નાનો માણસ મારી ઓફિસે આવે, તેનું દરેક કામ ત્યાંથી વિનામૂલ્યે થતું હતું અને એ વાત મારા વિસ્તારના લોકો સારી રીતે જાણે છે.’
બહેન કહે છે કે હું દાદાગીરી કરું છું, પરંતુ તાલુકાના તમામ ખેડૂતો મને સારી રીતે ઓળખે છે. હું મગફળી અને તુવેરની ખરીદી કરતો હતો. જો એક પણ ખેડૂત આવીને એમ કહે કે દિનેશ મૈતર દાદાગીરી કરે છે, તો હું જાહેરમાં આત્મહત્યા કરી લઈશ. હું જાહેરમાં કહું છું કે, કોઈપણ ખેડૂત કે વ્યક્તિ દિનેશ મૈતરનો ભૂતકાળ જોઈ લે, મેં ક્યારેય જ્ઞાતિવાદ, જાતિવાદ કે દાદાગીરી કરી નથી. હું હંમેશાં લોકોના હિતમાં અને જનતા માટે કામ કરનારો માણસ રહ્યો છું.’

