- National
- દિલ્હીમાં Gen-Z પછી, UPમાં Gen-Alpha રસ્તા પર ઉતર્યા; અધિકારીઓએ તાત્કાલિક મોટાભાગની માંગણીઓ માટે લેખ...
દિલ્હીમાં Gen-Z પછી, UPમાં Gen-Alpha રસ્તા પર ઉતર્યા; અધિકારીઓએ તાત્કાલિક મોટાભાગની માંગણીઓ માટે લેખિત બાંહેધરી આપી
દિલ્હીમાં જંતર-મંતર ખાતે Gen-Z પછી, ઉત્તર પ્રદેશમાં Gen-Alpha પણ રસ્તા પર ઉતરી આવ્યા. પૂર્વી ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં, વર્ગોનો બહિષ્કાર કરીને રસ્તા પર ઉતરેલા આ ઇન્ટર-કોલેજ વિદ્યાર્થીઓના રોષે અધિકારીઓને થોડા કલાકોમાં જ પીછેહઠ કરવાની ફરજ પાડી, તેમની લગભગ બધી માંગણીઓ પુરી કરી દીધી. 9મા ધોરણથી 12મા ધોરણમાં અભ્યાસ કરતા આ વિદ્યાર્થીઓ ત્યારે રસ્તા પર ઉતરી આવ્યા હતા, જ્યારે સુપ્રીમ કોર્ટ જંતર-મંતર પ્રદર્શનની સુનાવણી કરી રહી હતી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, લોકશાહીમાં દરેકને શાંતિપૂર્ણ વિરોધ કરવાનો અધિકાર છે. વિરોધ પ્રદર્શન પછી સુપ્રીમ કોર્ટે વિદ્યાર્થીઓ સામે કોઈપણ કાર્યવાહી પર પણ રોક લગાવી હતી.
આ કેસ ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં કિશનપુરની સર્વોદય ઇન્ટર કોલેજનો છે. ત્યાંના વિદ્યાર્થીઓ લાંબા સમયથી કોલેજમાં ફેલાયેલી અવ્યવસ્થાથી પરેશાન હતા. કેમ્પસમાં વીજળી નહોતી, પંખા નહોતા અને પીવાનું સ્વચ્છ પાણી પણ નહોતું. મધ્યાહન ભોજન અને તેના માટે બેસવા યોગ્ય ટેબલ અને ખુરશીઓ ન હોવાને કારણે પણ દરેક છાત્રો પરેશાન હતા. વિદ્યાર્થીઓ ઘણા સમયથી આચાર્ય અને અન્ય અધિકારીઓને આ અંગે વિનંતી કરી રહ્યા હતા. યોગ્ય વ્યવસ્થાના અભાવે તેમના અભ્યાસ પર પણ અસર પડી રહી હતી. આવી અવ્યવસ્થાથી કંટાળીને, વિદ્યાર્થીઓએ દિલ્હી જેવો જ અભિગમ અપનાવ્યો, વર્ગોનો બહિષ્કાર કર્યો અને પોતાની માંગણીઓ પર દબાણ લાવવા માટે રસ્તાઓ પર ઉતર્યા. દિલ્હીની જેમ, વિદ્યાર્થીનીઓ પણ છોકરાઓ સાથે ખભે ખભા મિલાવીને ઉભી રહી.
વર્ગખંડમાં જ તેઓએ પહેલા મોટા કાર્ડ પર રંગબેરંગી પોસ્ટરો બનાવ્યા, તેના પર પોતાની માંગણીઓ લખી અને સૂત્રોચ્ચાર કરીને શાળાની બહાર કૂચ કરી. કેટલાક વિદ્યાર્થીઓએ બાબા સાહેબ ભીમરાવ આંબેડકરનો ફોટો પણ સાથે લઇ લીધો. વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો કે, જ્યારે પણ તેઓ વીજળી અને પાણી જેવી સુવિધાઓની માંગ કરે છે, ત્યારે તેમને પરીક્ષામાં નાપાસ કરવાની ધમકી આપવામાં આવે છે. વર્ગખંડોમાં પંખા ન હોવાને કારણે ઘણા વિદ્યાર્થીઓ અસહ્ય ઉકળાટ અને ગરમીથી બીમાર પડી જાય છે. તેઓએ આચાર્ય પર અભદ્ર વર્તનનો પણ આરોપ લગાવ્યો.
https://twitter.com/Sachingupta/status/2081976415214559674
વિદ્યાર્થીઓના રસ્તાઓ પર આવવાથી હોબાળો મચી ગયો અને મામલો અધિકારીઓ સુધી પહોંચ્યો. ત્યાંથી, કોલેજના આચાર્યનો સંપર્ક કરવામાં આવ્યો. આચાર્યએ વિદ્યાર્થીઓ સાથે સમજાવટ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓએ તેમની માંગણીઓ પુરી ન થાય ત્યાં સુધી વર્ગખંડમાં જવાનો ઇનકાર કર્યો. આખરે, અધિકારીઓએ વિદ્યાર્થીઓની માંગણીઓ સામે ઝૂકવું પડ્યું.
https://twitter.com/Sachingupta/status/2081999381289648490
જિલ્લા શાળા નિરીક્ષક રાકેશ કુમારે જાહેરાત કરી કે, વિદ્યાર્થીઓની એક સિવાયની બધી માંગણીઓ પૂર્ણ કરવામાં આવશે. તેમણે કહ્યું કે આવતીકાલ સુધીમાં દરેક વર્ગખંડમાં 4 પંખા લગાવવામાં આવશે. ઇલેક્ટ્રિકલ વાયરિંગનું સમારકામ કરવામાં આવશે. એક મહિનાની અંદર ડેસ્ક અને બેન્ચ ઉપલબ્ધ થશે. એક RO વોટર કુલર લગાવવામાં આવશે. MDM મેનુમાં સુધારો કરવામાં આવશે. DIOSએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ સાઇન્સ ક્લાસની પણ માંગ કરી રહ્યા હતા, પરંતુ તેના માટે લેબ અને માન્યતાની જરૂર પડશે. તેથી, તે એક સિવાયની બધી માંગણીઓ સ્વીકારવામાં આવી છે. વિદ્યાર્થીઓને લેખિતમાં આ માંગણીઓ આપવામાં આવ્યા પછી પ્રદર્શન સમાપ્ત કરવામાં આવ્યું હતું.

