- Gujarat
- શું સુરતમાં એડવર્ટાઇઝમેન્ટ બોર્ડ માટે વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે? પૂર્વ કોર્પોરેટરનો ગંભીર આક્ષેપ
શું સુરતમાં એડવર્ટાઇઝમેન્ટ બોર્ડ માટે વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે? પૂર્વ કોર્પોરેટરનો ગંભીર આક્ષેપ
સુરતમાં જાહેરાતના બોર્ડ, બિલ્ડરોના પ્રોજેક્ટ અને અન્ય વિકાસકાર્યોના નામે વર્ષો જૂના વૃક્ષો કાપવામાં આવી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે.
ગુજરાત સમાચારના અહેવાલ મુજબ, એવો આરોપ છે કે ગાર્ડન વિભાગના કેટલાક જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓની સાંઠગાંઠના કારણે રાત્રેના સમયે પણ વૃક્ષો કપાઈ રહ્યા છે. આ સાથે જ વિજીલન્સ તપાસની માંગ કરવામાં આવી રહી છે. ચોમાસાની દરમિયાન શહેરમાં ગ્રીન કવર વધે અને પર્યાવરણનું જતન થાય તે માટે સુરત મહાનગરપાલિકાએ સ્થાયી સમિતિ સમક્ષ હરિયાળી વધારતા 3 મહત્ત્વની દરખાસ્ત મંજૂર કરી છે. તેમાં શહેરભરમાં પાંચ ફૂટ ઊંચાઈના 50 હજાર રોપાની ખરીદી, ખુલ્લા પ્લોટમાં મોટા પાયે વૃક્ષારોપણ અને ભાઠા લેક ગાર્ડનમાં મિયાવાકી પદ્ધતિથી ઘન વન ઊભું કરવાનો સમાવેશ થાય છે. કતારગામ વિસ્તારમાં ખુલ્લી જમીનમાં વૃક્ષારોપણ અને તેની જાળવણીની કામગીરી માટે પણ નિર્ણય કરાયો છે.
શહેરવ્યાપી વૃક્ષારોપણ અભિયાનને વેગ આપવા માટે 5 ફૂટ ઊંચાઈના 50 હજાર રોપા માટે કવાયત થઈ રહી છે અને તેના માટે 22 લાખથી વધુનો ખર્ચ થઈ રહ્યો છે. તેની વચ્ચે શહેરના અનેક વિસ્તારમાં મોટા વૃક્ષો કાપવામાં આવી રહ્યા હોવાના ગંભીર આરોપ લાગી રહ્યા છે.
રાંદેર ઝોન વિસ્તારમાં પૂર્વ કોર્પોરેટર ઉષા પટેલે ગાર્ડન વિભાગ સામે ગંભીર આક્ષેપો કરતા કહ્યું છે કે, ‘રાંદેર ઝોનમાં ગૌરવ પથ સહિત અનેક સ્થળોએ જાહેરાતના બોર્ડ લગાવવા માટે મોટા વૃક્ષોનું નિકંદન કરવામાં આવી રહ્યું છે. વિનસ એડવર્ટાઇઝમેન્ટના બોર્ડ સ્પષ્ટ દેખાય તે માટે રસ્તા કિનારે આવેલા પરિપક્વ વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં, પાલ કબ્રસ્તાનની બાજુમાં ચાલી રહેલા એક બિલ્ડરના પ્રોજેક્ટમાં પણ રાત્રીના સમયે વર્ષો જૂના વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે.’
પૂર્વ કોર્પોરેટરે સવાલ ઉઠાવતા કહ્યું કે, શહેરમાં વૃક્ષો કાપવાની મંજૂરી કોણ આપે છે? કયા નિયમોના આધારે મંજૂરી આપવામાં આવે છે? અને તેની દેખરેખ કોણ રાખે છે? આ સાથે જ તેમણે માંગ કરી કે, સમગ્ર મામલે વિજિલન્સ દ્વારા તપાસ કરાવી વૃક્ષો કાપવા માટે આપવામાં આવેલી મંજૂરીઓની સમીક્ષા કરવામાં આવે તેમજ ગેરરીતિમાં સંડોવાયેલા અધિકારીઓ, કર્મચારીઓ અને જવાબદાર લોકો સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે. અને જરૂર પડે તો પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવે જેથી ભવિષ્યમાં ગેરકાયદે વૃક્ષોનું નિકંદન અટકાવી શકાય.

