- Gujarat
- સુરતના વરાછામાં રહેણાંક વિસ્તારોમાં ચાલતી કમર્શિયલ પ્રવૃત્તિથી કંટાળીને સ્થાનિકો રસ્તા પર ઉતર્યા, કહ...
સુરતના વરાછામાં રહેણાંક વિસ્તારોમાં ચાલતી કમર્શિયલ પ્રવૃત્તિથી કંટાળીને સ્થાનિકો રસ્તા પર ઉતર્યા, કહ્યું- નોટિસ નહીં કાર્યવાહી કરો
સુરત સરથાણા ઝોનમાં સ્થાનિક રહેવાસીઓનો રોષ હવે રસ્તા પર જોવા મળી રહ્યો છે તેનું કારણ છે રહેણાંક વિસ્તારોમાં વધી રહેલી કોમર્શિયલ પ્રવૃત્તિ અને ઔદ્યોગિક એકમો. આજે સવારે સંત દેવીદાસ સોસાયટી અને આસપાસના વિસ્તારના રહેવાસીઓ મોટી સંખ્યામાં સોસાયટીના મુખ્ય ગેટ પાસે ભેગા થયા હતા. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ સામેલ થઇ હતી. મહિલાઓ અને પુરુષોએ ભારે નારેબાજી સાથે સંત દેવીદાસ સોસાયટી સહિત આસપાસના વિસ્તારોમાં રહેણાંક વિસ્તારમાં ધમધમતાં કોમર્શિયલ એકમો સામે આજે મોટી સંખ્યામાં વિશાળ રેલી કાઢીને થાણા ઝોન કચેરીએ પહોંચ્યા હતા. ઝોન કચેરીએ પહોંચ્યા બાદ મહિલાઓએ એકસાથે રામધુન બોલાવી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. મહિલાઓના આ વિરોધને પગલે ઝોન કચેરી ખાતે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. સ્થાનિકોએ રહેણાંક વિસ્તારમાં ચાલતી ઔદ્યોગિક-કોમર્શિયલ પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી તેમજ સમગ્ર સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી હતી
ગુજરાત સમાચારના અહેવાલો અનુસાર, એવા આક્ષેપો છે કે, વારંવાર રજૂઆતો કરવા છતા તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી, જેને કારણે રેલીને પગલે સરથાણા ઝોન વિસ્તારમાં એક તબક્કે વાતાવરણ ગરમાયું હતું. સ્થાનિકોની ફરિયાદ છે કે, સરથાણા ઝોનના સંત દેવીદાસ સોસાયટી અને આસપાસના રહેણાંક વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદે બાંધકામ ઉપરાંત કોમર્શિયલ અને ઔદ્યોગિક ગતિવિધિઓ વધી રહી છે. રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ એકમો અને ગોડાઉનો શરૂ થતા સ્થાનિકોને અવરજવર, પ્રદૂષણ તેમજ સલામતી સહિતની સમસ્યાઓ ઉભી થઇ છે. સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો હતો કે આ અંગે ઝોનના અધિકારીઓને અનેક વખત મૌખિક અને લેખિત રજૂઆતો કરવા છતા સમસ્યાનું કાયમી નિરાકરણ નથી આવ્યું.
સ્થાનિકોએ જણાવ્યું કેટલાક કોમર્શિયલ એકમોના સંચાલકો અને તેમના કારીગરો સોસાયટીના ગેટની બહાર ઊભા રહીને અશ્લીલ તથા અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા હોવાના બનાવોને કારણે રહેવાસીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. રહેણાંક વિસ્તારને કોમર્શિયલ પ્રવૃત્તિના કેન્દ્રમાં ફેરવાતો અટકાવવા, નિયમોનું ઉલ્લંઘન કરતા એકમો સામે કડક કાર્યવાહી કરવા તેમજ મહિલાઓ સહિત તમામ રહેવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ સાથે સ્થાનિકોએ આજે ઝોન તંત્ર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી.
સ્થાનિકોનો આક્ષેપ છે કે, છેલ્લા ઘણા સમયથી આ સમસ્યા અંગે સરથાણા ઝોનના વહીવટી તંત્રને અવારનવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ તંત્ર દ્વારા નોટિસ આપવા સિવાય કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતા રહેવાસીઓએ મેયર અને મ્યુનિસિપલ કમિશનરને પણ રજૂઆત કરી સમગ્ર પ્રકરણથી વાકેફ કર્યા હતા. તેમ છતા સ્થિતિમાં કોઈ જ બદલાવ ન થતા આજે રહેવાસીઓએ રેલી કાઢીને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો.
સ્થાનિકોનો એવો પણ આક્ષેપ છે કે, સરથાણા ઝોનના સંત તુકારામ સોસાયટી અને આસપાસના વિસ્તારમાં પણ રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ પ્રવૃત્તિનું પ્રમાણ વધી રહ્યું છે. ખાસ કરીને ઑનલાઇન શોપિંગનાં ગોડાઉન સહિતના કોમર્શિયલ એકમોના કારણે રહેણાંક વિસ્તારમાં બહારના લોકોની અવરજવર વધી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. જેના કારણે મહિલાઓની સુરક્ષા સહિતના મુદ્દે પણ ચિંતા વધી છે.

