- World
- નેપાળના પૂરમાં ડૂબેલો બેંકનો ખજાનો '50 કરોડ રૂપિયાનું સોનું' 8 કલાકની મહેનત પછી મળ્યું, નોટના બંડલો
નેપાળના પૂરમાં ડૂબેલો બેંકનો ખજાનો '50 કરોડ રૂપિયાનું સોનું' 8 કલાકની મહેનત પછી મળ્યું, નોટના બંડલો તો...
નેપાળમાં આવેલા પૂરમાં જાનમાલ સહિત સંપત્તિ અને કિંમતી ચીજવસ્તુઓને ખુબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ભોટેકોશી નદીમાં આવેલા ભયંકર પૂરથી ભારે વિનાશ થયો છે. અત્યાર સુધીમાં 903 લોકોનાં મોત થયા છે. ઘરો, રસ્તાઓ અને પુલો નાશ પામ્યા છે. પૂરના પાણીમાં બધું જ વહી ગયું. નુવાકોટ જિલ્લામાં એક બેંક પણ ડૂબી ગઈ. પરિસ્થિતિ સુધરતા, બેંકની કરોડો રૂપિયાની સંપત્તિને બચાવવા માટે કામગીરી શરૂ થઈ. આશરે 50 કરોડ નેપાળી રૂપિયાનું સોનું મળી આવ્યું. રોકડ, ચાંદી અને દસ્તાવેજો પણ મળી આવ્યા.
26 ઓગસ્ટના રોજ, નેપાળમાં ભયંકર પૂર આવ્યું. નેપાળની કૃષિ વિકાસ બેંકની ત્રિશુલી-ધૂંગે શાખાને ભારે અસર થઈ. બેંકના લોકર અને મહત્વપૂર્ણ ભાગો સુધી પહોંચવું અત્યંત મુશ્કેલ બન્યું. વસ્તુઓને સુરક્ષિત રીતે મેળવવાની કામગીરી અત્યંત મુશ્કેલ હતી.
મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, નેપાળ પોલીસે જણાવ્યું હતું કે, 8 કલાકની સખત મહેનત પછી, બચાવ ટીમ બેંકની આવશ્યક વસ્તુઓ મેળવવામાં સફળ રહી હતી. પોલીસ અધિકારીઓએ માહિતી આપી હતી કે ત્રિશુલી-ધૂંગે શાખામાંથી આશરે દોઢ કરોડ નેપાળી રૂપિયા રોકડા અને આશરે 50 કરોડ નેપાળી રૂપિયાનું સોનું મળી આવ્યું હતું. આ ઉપરાંત, મહત્વપૂર્ણ બેંક દસ્તાવેજો સુરક્ષિત રીતે સલામત જગ્યાએ પહોંચાડવામાં આવ્યા હતા.
ફોટોગ્રાફ્સ બતાવે છે કે બચાવ ટીમને રોકડથી ભરેલા બોક્સ મળ્યા છે. નોટોના બંડલ પુરી રીતે કાદવથી ઢંકાયેલા હતા. શાખાની ઇમારતને ભારે નુકસાન થયું હતું. વિવિધ સ્થળોએ કાટમાળ અને પાણી હોવાને કારણે, બેંકની સામગ્રી મેળવવામાં એક મોટો પડકાર હતો. પ્રાથમિક ચિંતા સોના, ચાંદી અને મહત્વપૂર્ણ દસ્તાવેજોની સુરક્ષિત પુનઃપ્રાપ્તિ હતી. બચાવ ટીમે આ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કર્યું.
https://twitter.com/NepalPoliceHQ/status/2094094631139234037
નેપાળમાં પૂર અને ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં 903 લોકોના મોત થયા છે. 4,247 લોકો હજુ પણ ગુમ છે. નેપાળની રાષ્ટ્રીય આપત્તિ જોખમ ઘટાડા અને વ્યવસ્થાપન સત્તામંડળ (NDRRMA)એ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 10,451 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, ભારત અને ચીનના નિષ્ણાતોની મદદથી બચાવ ટીમો ત્રિશુલી-3A સહિત લગભગ અડધો ડઝન બંધ થઇ ગયેલી હાઇડ્રોપાવર ટનલમાં શોધ કામગીરી ચલાવી રહી છે. નેપાળના ડિઝાસ્ટર ઓથોરિટીએ જણાવ્યું હતું કે, હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ સાથે સંકળાયેલા 933 લોકો ગુમ છે, જ્યારે બચાવ ટીમો ફસાયેલા લોકો સુધી પહોંચવા માટે કાદવ અને ખડકો દૂર કરી રહી છે.
ભારતીય ટનલ બચાવ ટીમે ચિલીમે અને લાંગટાંગમાં હાઇડ્રોપાવર સ્થળોએ નેપાળી સેનાને મદદ કરી. કાટમાળ સાફ કરવા માટે અર્થ-મુવિંગ મશીનરી અને સૈનિકો રાતભર કામ કરી રહ્યા છે. નેપાળી સેનાના પ્રવક્તા રાજા રામ બસનેતે જણાવ્યું હતું કે, કાટમાળના ભારે સંચયને કારણે ટનલ સુધી પહોંચવું મુશ્કેલ છે.

