- Gujarat
- સુરતમાં 7 વૃક્ષોને રાતોરાત કેમ કાપી નાંખવામાં આવ્યા?
સુરતમાં 7 વૃક્ષોને રાતોરાત કેમ કાપી નાંખવામાં આવ્યા?
એક તરફ સુરત મહાનગરપાલિકા શહેરમાં 75 લાખ વૃક્ષો વાવવાનો દાવો કરી રહી છે, 50 હજાર નવા રોપા ખરીદવાની તૈયારી કરી રહી છે અને મિયાવાકી ફોરેસ્ટ જેવા પ્રોજેક્ટને વેગ આપી હરિયાળી વધારવાના મોટા દાવા કરી રહી છે. બીજી તરફ શહેરમાં બિલ્ડિંગના નડતરરૂપ થતા રાતોરાત કાપાયાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.
આ સાથે જ દેશભરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહ્વાન પર 'એક પેડ મા કે નામ' અંતર્ગત વ્યાપક વૃક્ષારોપણ ઝુંબેશ ચાલી રહી છે, ત્યારે સુરતના ઉધના ઝોનમાં વૃક્ષ કાપો, પેનલ્ટી ભરો જેવો વિવાદાસ્પદ ઘાટ સર્જાયો છે. દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, સુરતના ઉધના વિસ્તારમાં જોગાણી માતાના મંદિરથી નવજીવન શોરૂમ તરફ જતા જાહેર માર્ગ પર આવેલા 7 જેટલા મોટા અને ઘટાદાર વૃક્ષોને રાતોરાત કાપી નાખવાનો કિસ્સો સામે આવ્યો છે. નજીકની બિલ્ડિંગમાં નડતરરૂપ બનતા આ વૃક્ષોને પાલિકા કે વન વિભાગની મંજૂરી વિના કાપી નાખવામાં આવ્યા હતા. આ મામલે ઉધના ઝોનના અધિકારીઓએ માત્ર રૂ. 90,000નો મામૂલી દંડ ફટકારીને કાર્યવાહી પૂર્ણ કરવાનો પ્રયાસ કરતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સ્થાનિક લોકોના આક્ષેપો મુજબ, રસ્તાની નજીક આવેલી બિલ્ડિંગ માટે નડતરરૂપ બનતા 10-15 વર્ષ જૂના 7 જેટલા ઘટાદાર વૃક્ષો પર પરવાનગી વિના જ કૂરતાપૂર્વક કુહાડી ચલાવી દેવામાં આવી હતી. પર્યાવરણને મોટા પાયે નુકસાન પહોંચાડવા છતા પાલિકાએ માત્ર દંડકીય કાર્યવાહી કરી સંતોષ માનતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.
આટલી મોટી બેદરકારી છતાં માત્ર દંડની સામાન્ય કાર્યવાહી કેમ કરાઈ તે અંગે ડેપ્યુટી કમિશનર મીના ગજ્જરનો સંપર્ક કરતા તેમણે બનાવ અંગે અજાણ હોવાનું જણાવ્યું હતું. તેમણે સમગ્ર ઘટનાની વિગતો મેળવી, વૃક્ષો કોના કહેવાથી કપાયા તેની યોગ્ય તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.
આ પહેલી વખત નથી જ્યારે શહેરમાં મંજૂરી વિના વૃક્ષ કાપવાના આક્ષેપ લાગ્યા હોય. અગાઉ પણ આવા આક્ષેપ લાગી ચૂક્યા છે. જુલાઈમાં શહેરના અનેક વિસ્તારમાં મોટા વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવી રહ્યું હોવાની ગંભીર આક્ષેપ થયા હતા. રાંદેર ઝોન વિસ્તારમાં પૂર્વ કોર્પોરેટર ઉષા પટેલે ગાર્ડન વિભાગ સામે ગંભીર ફરિયાદ કરતા કહ્યું છે કે, રાંદેર ઝોનમાં ગૌરવ પથ સહિત અનેક સ્થળોએ જાહેરાતના બોર્ડ લગાવવા માટે મોટા વૃક્ષોનું નિકંદન કરવામાં આવી રહ્યું છે. વિનસ એડવર્ટાઇઝમેન્ટના બોર્ડ સ્પષ્ટ દેખાય તે માટે રસ્તા કિનારે આવેલા પરિપક્વ વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં, પાલ કબ્રસ્તાનની બાજુમાં ચાલી રહેલા એક બિલ્ડરના પ્રોજેક્ટમાં પણ રાત્રીના સમયે વર્ષો જૂના વૃક્ષો કાપી નાખવામાં આવ્યા.

