- Politics
- ‘SIRમાં મત કઢાવો અને પોતાના MLA બનાવડાવો’, પંજાબ ચૂંટણી પહેલા BJP નેતાનો વીડિયો વાયરલ થયો
‘SIRમાં મત કઢાવો અને પોતાના MLA બનાવડાવો’, પંજાબ ચૂંટણી પહેલા BJP નેતાનો વીડિયો વાયરલ થયો
પંજાબમાં હાલમાં મતદાર યાદીનું સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ચાલી રહ્યું છે. આ વચ્ચે પંજાબ BJPના રાજ્ય સચિવ રેણુ કશ્યપનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં તેઓ SIR પ્રક્રિયા દરમિયાન હજારો મતો કઢાવીને પોતાના ધારાસભ્ય બનાવવાની વાત કરે છે આ વીડિયો સૌપ્રથમ 'ડૉ. SP' નામના X હેન્ડલ દ્વારા શેર કરવામાં આવ્યો હતો. તેમાં BJP રાજ્ય સચિવ અને દીનાનગરના પ્રભારી રેણુ કશ્યપ બોલતા દેખાય છે.
રેણુ કશ્યપના આ વીડિયો પર કોંગ્રેસ પાર્ટીએ કડક પ્રતિક્રિયા આપી છે. પંજાબ કોંગ્રેસના પ્રમુખ અમરિન્દર સિંહ રાજા વારિંગે X પર લખ્યું કે, રેણુ કશ્યપનું આ કથિત નિવેદન ખૂબ જ પરેશાન કરનારું છે. તે ચૂંટણી પ્રક્રિયાની અખંડિતતા પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. ભાજપ ગમે તેટલો પ્રયાસ કરે, કોંગ્રેસ એક પણ સાચો મત કાઢી નાખવા દેશે નહીં. દરેક લાયક મતદારને મતદાન કરવાનો બંધારણીય અધિકાર છે, અને અમે તે અધિકારનું રક્ષણ કરવા માટે તૈયાર રહીશું. ચૂંટણી પંચે તાત્કાલિક આ કથિત વાતોની તપાસ કરવી જોઈએ અને ખાતરી કરવી જોઈએ કે ચૂંટણી પ્રક્રિયા સ્વતંત્ર, નિષ્પક્ષ અને ભેદભાવ વિનાની રહે.
https://twitter.com/sphavisha/status/2077248193679515931?s=20
આ દરમિયાન, દીનાનગરના કોંગ્રેસના ધારાસભ્ય અરુણા ચૌધરીએ મુખ્ય ચૂંટણી અધિકારી અનિંદિતા મિત્રાને વીડિયો અંગે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં વાયરલ વીડિયોની સત્યતાની તપાસની માંગ કરવામાં આવી છે. તેમાં SIR ફરજો માટે તૈનાત અધિકારીઓને કોઈપણ રાજકીય દબાણ વિના નિષ્પક્ષ રીતે કામ કરવાની સ્વતંત્રતા સુનિશ્ચિત કરવાની પણ માંગ કરવામાં આવી છે.
ઇન્ડિયા ટૂડેના અહેવાલ મુજબ, ભાજપના નેતા રેણુ કશ્યપે 15 જુલાઈના રોજ વાયરલ વીડિયો અંગે સ્પષ્ટતા કરી હતી. તેમનો દાવો છે કે વિરોધી પક્ષો અને તોફાની તત્વોએ તેમના નિવેદનને તોડી-મરોડીને રજૂ કર્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વીડિયો કોઈ જાહેર નિવેદન નહોતું. તે પક્ષના કાર્યકરો સાથેની એક ખાનગી બેઠક હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય ફક્ત મતદાર નોંધણી પ્રક્રિયા વિશે મતદાર મતવિસ્તારના લોકોમાં જાગૃતિ લાવવાનો હતો. મતોનું યોગ્ય રીતે સંચાલન અને રક્ષણ કરવું જોઈએ જેથી દીનાનગરનો કોઈ પણ સાચો નાગરિક આગામી ચૂંટણીઓમાં મત આપ્યા વિના ન રહે. મારા આદેશ પર ન તો મત કાઢી શકાય છે કે ન તો ઉમેરી શકાય છે; આ સમગ્ર પ્રક્રિયા ચૂંટણી પંચ અને કાનૂની પ્રક્રિયાઓ હેઠળ થાય છે. મેં ફક્ત ગેરકાયદેસર અને નકલી મતો સામે કાર્યવાહી કરવાની વાત કરી હતી.
રેણુ કશ્યપે 20,000 થી 25,000 મત કાઢી નાખવા અંગેના નિવેદનને સ્પષ્ટપણે નકારી કાઢ્યું. તેમણે દાવો કર્યો હતો કે આધુનિક ટેકનોલોજી (AI) અથવા વીડિયો એડિટિંગનો ઉપયોગ કરીને નિવેદનોમાં છેડછાડ થવાનું જોખમ હોય છે, જેની તેઓ તપાસ કરાવશે.
બીજી તરફ દીનાનગરના SDM ગગનદીપ સિંહે જણાવ્યું કે, આ વીડિયો અમારા ધ્યાનમાં આવ્યો છે. આ બાબતે કોઈ લેખિત ફરિયાદ મળી નથી, પરંતુ અમે સ્વતઃ નોંધ લઈ રહ્યા છીએ અને વીડિયોની તપાસ કરી રહ્યા છીએ. તપાસ બાદ જે તથ્યો સામે આવશે, તેના આધારે યોગ્ય પગલાં લેવામાં આવશે.
તેમણે જણાવ્યું કે વહીવટીતંત્ર વીડિયોની તપાસ કરી રહ્યું છે કે તે અસલી છે કે તેની સાથે છેડછાડ કરવામાં આવી છે. દીનાનગરના SDMએ ઉમેર્યું હતું કે સત્યને પ્રકાશમાં લાવવા માટે રેણુ કશ્યપ પાસેથી પણ જવાબ માંગવામાં આવ્યો છે.

